CM રૂપાણીએ નીતિ આયોગને મનરેગા-કૃષિ ક્ષેત્રના સંયોજન માટે કર્યા મહત્ત્વપૂર્ણ સૂચન

PC: facebook.com/vijayrupanibjp

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેતીની ઓન ફિલ્ડ પ્રવૃત્તિઓને પણ મનરેગામાં સાંકળી લઇ ખેત પ્રવૃત્તિમાં કાર્યરત પરિવારોના સભ્યો જે ખેતમજૂરી કરે છે તેમને મનરેગા હેઠળ વેતન આપવાનું પ્રેરક સૂચન કર્યું છે.
આ સંદર્ભમાં મનરેગાની માર્ગદર્શિકામાં ફેરફાર કરવા માટે પણ તેમણે હિમાયત કરી છે.

મનરેગામાં કૃષિ ક્ષેત્રને સાંકળી લેવા માટેની નીતિ ઘડતરની ભલામણો માટે નીતિ આયોગ દ્વારા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ગુજરાતના મુખ્યમંત્રી સહિત પાંચ રાજ્યોના મુખ્યમંત્રીઓની સમિતિની વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મળેલી પ્રથમ બેઠકમાં વિજય રૂપાણીએ આ સૂચનો કર્યા હતા.

ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી વિડીયો કોન્ફરન્સ દ્વારા આ બેઠકમાં સહભાગી થતાં વિજય રૂપાણીએ કૃષિ ક્ષેત્રના સંકલિત અભિગમને સાંકળી લઇ કૃષિ વિકાસ અને ખેડૂતોની આવક બમણી કરવાના મહત્વપૂર્ણ સૂઝાવ આ બેઠકમાં આપ્યા હતા.

મુખ્યમંત્રીએ જળ સંગ્રહ માટે સંસાધનો ઉભા કરવાથી લઇ ખેતપેદાશોની યોગ્ય બજાર વ્યવસ્થા માટે હાટ બજાર, અઠવાડિક ખેડૂત બજાર, કલેક્શન અને ગ્રેડિંગ-સોર્ટિંગ સેન્ટર, ઓન ફાર્મ સ્ટોરેજ ગોડાઉન સહિત જમીનના પોષણ માટે ઓર્ગેનિક ઇનપુટ ઉત્પાદન, વાડી યોજના, શેઢા પાળે વાવેતર, ઘાસચારા માટે વિકાસ કાર્યક્રમ, દુધાળા પશુઓ, ઘેટા-બકરા, મરઘા માટે શેડ, મત્સ્ય પાલન માટે તળાવ બનાવવાની કામગીરી, મશીનના ઉપયોગથી ઉત્પાદન કરતા ખેડૂત જુથ દ્વારા કાર્યરત એકમોને મનરેગા હેઠળ સાંકળી લેવા સહિતની બાબતો અંગે અગત્યના સુચનો કર્યા હતા.

સમિતીના સભ્ય અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નીતિ આયોગના સભ્ય દ્વારા રાજ્યની સ્થિતિને ધ્યાને લઇ અગત્યના સુચનો કરવામાં આવ્યા હતા.

સમિતીના અધ્યક્ષ મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ અગત્યની ભલામણો સહિત આ ક્ષેત્રે વધુ બ્રેઇન સ્ટોર્મિંગ માટે રિજિયોનલ વર્ક્શોપના આયોજન માટે સૂચવ્યું હતું.

પ્રથમ બેઠકમાં થયેલ ભલામણો, તેના અમલ માટે રણનીતિ અને કૃષિ ક્ષેત્રે મનરેગાના સમાવેશ અંગે ચર્ચા માટે સમિતીની બીજી બેઠક ઓગષ્ટ માસના અંતે મળશે તેવું પણ આ વિડીયો કોન્ફરન્સ બેઠકમાં નિયત કરવામાં આવ્યું હતું.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, નીતિ આયોગની તાજેતરમાં નવી દિલ્હીમાં મળેલી ચોથી ગવર્નિંગ કાઉન્સીલ બેઠકમાં મહાત્મા ગાંધી નેશનલ રુરલ એમ્પ્લોયમેન્ટ ગેરન્ટી સ્કીમમાં કૃષિ ક્ષેત્રે સંસાધનો ઉભા કરી ખેડૂતોની આવક વધારવી અને કૃષિ ક્ષેત્રના સંકટના નિરાકરણ માટેના મુખ્ય હેતુ માટે સમિતિ રચવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં રચાયેલી આ સમિતિમાં સર્વ વિજય રૂપાણી (ગુજરાત), મમતા બેનરજી (પશ્ચિમ બંગાળ), યોગી આદિત્યનાથ (ઉત્તરપ્રદેશ), નીતિશકુમાર (બિહાર) અને એન. ચંદ્રાબાબુ નાયડુ (આંધ્રપ્રદેશ) તથા પવન ચામલિંગ (સિક્કીમ) તથા આયોગના સભ્ય પ્રો. રમેશચંદનો સમાવેશ કરાયો છે.

આ સમિતિના કાર્યક્ષેત્રમાં મુખ્યવે સાત બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતી કૃષિ ક્ષેત્રે વાવણી પહેલાં અને લણણી પછીના સમયગાળામાં મનરેગાના માધ્યમથી કૃષિ સંલગ્ન ગતિવિધીઓ થકી ખેડૂતોની આવક વૃદ્ધિની શક્યતાઓ ચકાસીને તેના અમલ અંગે ભલામણ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp