સૈફના પરિવારની 15000 કરોડની સંપત્તિ જપ્ત કરવાની તૈયારીમાં સરકાર, આ છે કારણ

PC: ndtv.com

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર તાજેતરમાં જીવલેણ હુમલો થયો છે. તે હજુ આમાંથી બહાર આવ્યો નથી અને તેના માટે વધુ એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. ખરેખર, સૈફના પટૌડી પરિવારની પૂર્વજોની મિલકતો ટૂંક સમયમાં કેન્દ્ર સરકારના નિયંત્રણ હેઠળ આવી શકે છે. આ બધી મિલકતો મધ્યપ્રદેશના ભોપાલમાં છે અને તેમની અંદાજિત કિંમત 15,000 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટે તેમના પર લાદવામાં આવેલ સ્ટે ઓર્ડર હટાવી દીધો છે. ચાલો તમને બતાવી દઈએ કે, શું છે આખો મામલો...

અભિનેતા સૈફ અલી ખાનને તાજેતરમાં જીવલેણ હુમલા પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને મંગળવારે જ તે ઘરે પરત ફર્યો હતો. આ દરમિયાન, મધ્યપ્રદેશ હાઈકોર્ટમાંથી તેના માટે એક ખરાબ સમાચાર આવ્યા. કેન્દ્ર સરકાર બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનના પટૌડી પરિવારની ભોપાલ અને રાયસેનમાં સ્થિત પૂર્વજોની મિલકતોનો કબજો લઈ શકે છે. MP હાઈકોર્ટ દ્વારા આના પરનો સ્ટે ઓર્ડર ઉઠાવી લેવામાં આવ્યો છે, ત્યાર પછી હવે કેન્દ્ર સરકાર તેમને દુશ્મન સંપત્તિ અધિનિયમ, 1968 હેઠળ હસ્તગત કરી શકે છે.

જેમ કે બતાવવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકાર દુશ્મન સંપત્તિ અધિનિયમ-1968 હેઠળ ભોપાલમાં સૈફ અલી ખાનની મિલકતો જપ્ત કરી શકે છે. તો અહીં એ જાણવું પણ મહત્વપૂર્ણ છે કે, આખરે આ સંપત્તિ શું છે. અહીં તમને જણાવી દઈએ કે, એનિમી પ્રોપર્ટી એક્ટ હેઠળ, ભારત સરકાર 1947માં ભાગલા પછી પાકિસ્તાન ગયેલા લોકોની મિલકતો પર દાવો કરી શકે છે અને સૈફ અલી ખાનના પટૌડી પરિવારની ભોપાલ મિલકતો પણ આ શ્રેણીમાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશ હાઈકોર્ટે આ કેસની સુનાવણી વર્ષ 2015માં ત્યારે શરૂ કરી હતી, જ્યારે મુંબઈ સ્થિત એનિમી પ્રોપર્ટી કસ્ટોડિયન ઓફિસ દ્વારા ભોપાલના નવાબની જમીનને સરકારી મિલકત તરીકે જાહેર કરવામાં આવી હતી. આ પછી, પટૌડી પરિવારને નોટિસ પણ મોકલવામાં આવી હતી. તેના જવાબમાં, સૈફ અલી ખાને આ નોટિસને હાઇકોર્ટમાં પડકારી અને મિલકત પર સ્ટે મેળવ્યો.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, ગયા વર્ષે 13 ડિસેમ્બરે, MP હાઈકોર્ટમાં જસ્ટિસ વિવેક અગ્રવાલની બેન્ચે સૈફની અરજી ફગાવી દીધી હતી અને તેને અપીલ દાખલ કરવા માટે 30 દિવસનો સમય આપ્યો હતો. પરંતુ, સૈફ અલી ખાન કે તેના પરિવારના કોઈપણ સભ્યએ હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી. જોકે, સૈફ પરિવાર પાસે હજુ પણ હાઈકોર્ટની ડબલ બેન્ચ સમક્ષ અપીલ દાખલ કરવાનો વિકલ્પ હજુ પણ છે. જોકે, જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, ભોપાલ કલેક્ટર કૌશલેન્દ્ર વિક્રમ સિંહે જણાવ્યું હતું કે, આ મામલે હાઈકોર્ટના આદેશ સ્પષ્ટ થયા પછી જ કોઈપણ કાર્યવાહી કરવામાં આવશે.

સૈફ અલી ખાનની જે મિલકતો જપ્ત થવાના જોખમમાં છે, તેમાં ભોપાલ અને રાયસેનમાં આવેલી તેમની મિલકતોનો સમાવેશ થાય છે. આમાં ફ્લેગ સ્ટાફ હાઉસ, નૂર-ઉસ-સબા પેલેસ, દાર-ઉસ-સલામ, હબીબીનો બંગલો, અમદાવાદ પેલેસ, કોહેફિઝાનો સમાવેશ થાય છે. અહીં તમને જણાવી દઈએ કે, સૈફે પોતાનું બાળપણ ફ્લેગ સ્ટાફ હાઉસમાં વિતાવ્યું હતું.

1947 સુધી, ભોપાલ એક રજવાડું હતું અને નવાબ હમીદુલ્લાહ ખાન તેના છેલ્લા નવાબ હતા. તેઓ મન્સૂર અલી ખાન પટૌડીના દાદા હતા અને તેમને ત્રણ પુત્રીઓ હતી, જેમાંથી આબિદા સુલતાન 1950માં પાકિસ્તાન ચાલી ગઈ હતી. તેમની બીજી પુત્રી સાજિદા સુલ્તાન ભારતમાં રહી અને સૈફ અલી ખાનના દાદા નવાબ ઇફ્તિખાર અલી ખાન પટૌડી સાથે લગ્ન કર્યા. આ પછી, 2019માં, કોર્ટે સાજિદા સુલતાનને કાનૂની વારસદાર તરીકે માન્યતા આપી અને સૈફ અલી ખાનને મિલકતનો એક ભાગ વારસામાં મળ્યો. જોકે, તેમની દાદીની મોટી બહેન આબિદા સુલતાના પાકિસ્તાન ગઈ હોવાથી, તેમની મિલકત દુશ્મન સંપત્તિ અધિનિયમ હેઠળ સરકારના દાવાનું કેન્દ્ર બની ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp