છોટા ઉદેપુરની સુખી યોજના કરી રહી છે ખેડૂતોને દુઃખી

PC: Khabarchhe.com

છોટા ઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન સુખી જળાશય યોજના ચાર તાલુકા વિસ્તારમાં સિંચાઈનું પાણી પૂરું પાડે છે. આ સુખી સિંચાઈ યોજના આજે ખેડૂતો માટે દુઃખી યોજના સાબિત થવા જઈ રહી છે કારણ કે આ યોજના દ્વારા વર્ષો પહેલા બનાવેલી કેનલોમાં ઝાડી ઝાખરા ઉગી નીકળ્યા છે. તો સાથે જ આ સુખી જળાશયમાં કેટલીક જગ્યાએ ગાબડા પણ પડી ગયા છે. જેથી આ જળાશયનું પાણી ખેતરો સુધી પહોંચશે કે કેમ એ ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે.

છોટા ઉદેપુર જિલ્લાનો મોટામાં મોટો ગણાતો સુખી ડેમ પાવી જેતપુર તાલુકાના ડુંગરવાટ ખાતે 1986મા કાર્યરત થયો હતો અને આ ડેમમાંથી 2 હજાર 701 હેક્ટર જમીનને સિંચાઈનું પાણી આપવામાં આવતું હતું પણ હાલની સ્થિતિ એવી છે કે વર્ષોથી સુખી સિંચાઈ યોજનાની કેનાલમાં કોઈ સમારકામ ન થતા કેનલોમાં ગાબડા પડી ગયા છે. ડેમમાં ઠેર ઠેર ઝાડી ઝાખરા ઉગી નીકળ્યા છે જેને લઈ પાણીનો વેડફાટ થઈ જાય છે અને ખેતરો સુધી પાણી પહોંચતું નથી. ગયા વર્ષે પણ ફક્ત રવિ પાક માટે જ પાણી છોડવામાં આવ્યું હતું અને ફક્ત 3 હજાર 360 હેક્ટર જમીનને સિંચાઈનું પાણી મળ્યું હતું.

આ વર્ષે પણ ચોમાસુ નબળું ગયું હોવાથી ચોમાસાની સીઝન દરમિયાન ડેમમાં માત્ર 63 ટકા જ પાણી ભરાયું છે. તો બીજી બાજુ કેનલોમાં સમારકામનો અભાવ જોવા મળી રહ્યો છે અને ઝાડી ઝાખરા ઉગ્યા છે તે બાબતે અધિકારીને પૂછતા તેમણે લૂલો બચાવ કરતા જણાવ્યું હતું કે, આ કોઈ ચિંતાનો વિષય નથી. પાણી તો ખેડૂતોને મળશે જ.

જો કે અધિકારીના બચાવ જવાબનો નજર અંદાજ કરીએ તો, જર્જરિત કેનાલો કે જે સમારકામ માગી રહી છે. આમ છતાં અધિકારી જણાવી રહ્યાં છે કે પાણી તો ચોક્કસ મળશે જ. તો હવે જોવાનું એ રહે છે કે, તૂટેલી ફૂટેલી હાલતમાં રહેલી કેનાલો હોવા છતાં કેનાલનું પાણી કેવી રીતે ખેડૂતો સુધી પહોંચશે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp