PMએ કહ્યું- અમારું લક્ષ્ય સ્પષ્ટ છે. યુવાનોએ માત્ર રોલ મોડલ ન બનવું જોઇએ પરંતુ…

PC: PIB

ભારત સરકારે કહ્યું કે, PM નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના મેરઠ ખાતે નિર્માણ પામનારી મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો હતો. આ સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપના લગભગ 700 કરોડ રૂપિયાના ખર્ચે થશે અને તે આધુનિક તેમજ અદ્યતન રમતગમતની માળખાકીય સુવિધાઓથી સજ્જ હશે જેમાં સિન્થેટિક હોકી ગ્રાઉન્ડ, ફુટબોલ ગ્રાઉન્ડ, બાસ્કેટબોલ / વોલીબોલ / હેન્ડબોલ / કબડ્ડીનું ગ્રાઉન્ડ, લોન ટેનિસ કોર્ટ, જીમ્નેશિયમ હોલ, સિન્થેટિક રનિંગ સ્ટેડિયમ, સ્વિમિંગ, પૂલ, બહુલક્ષી હોલ અને સાઇકલિંગ વેલોડ્રોમ પણ સામેલ રહેશે. આ યુનિવર્સિટીમાં શુટિંગ, સ્ક્વૉશ, જીમ્નાસ્ટિક્સ, વેઇટ લિફ્ટિંગ, તીરંદાજી, કેનોઇંગ અને કેયકીંગ તેમજ અન્ય સુવિધાઓ પણ સમાવી લેવામાં આવશે. આ યુનિવર્સિટીની ક્ષમતા 1080 રમતવીરોને તાલીમ આપવાની રહેશે જેમાં 540 મહિલાઓ અને 540 પુરુષ તાલીમાર્થીઓ રહેશે.

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન આપતા PMએ ભારતની સ્વતંત્રતાને નવી દિશા આપવામાં મેરઠ અને તેની આસપાના વિસ્તારોએ આપેલા નોંધનીય યોગદાનનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું હતું કે, આ પ્રદેશના લોકોએ દેશની સુરક્ષા માટે સરહદે બલિદાનો આપ્યા છે અને રમતના મેદાનમાં પણ દેશનું ગૌરવ વધાર્યું છે. PMએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ પ્રદેશે દેશભક્તિની જ્યોતિને હંમેશા પ્રજ્વલિત રાખી છે. PMએ વધુમાં ઉમેર્યું હતું કે, ભારતના ઇતિહાસમાં, મેરઠ માત્ર એક શહેર નથી પરંતુ સંસ્કૃતિ અને શક્તિનું મહત્વપૂર્ણ કેન્દ્ર રહ્યું છે. PMએ સ્વતંત્રતા સંગ્રહાલય, અમર જવાન જ્યોતિ અને બાબા ઔઘરનાથજીના મંદિરની ભાવનાની અનુભૂતિ પર પોતાના ઉત્સાહનું વર્ણન કર્યું હતું.

PMએ મેજર ધ્યાનચંદને યાદ કર્યા હતા, જેઓ મેરઠમાં એક્ટિવ હતા. થોડા મહિના પહેલાં, કેન્દ્ર સરકારે ભારતમાં રમતજગતના સૌથી મોટા પુરસ્કારને રમત ક્ષેત્રની આ મહાન હસ્તીનું નામ આપ્યું છે. PMએ કહ્યું હતું કે, આજે મેરઠમાં નિર્માણ પામી રહેલી સ્પોર્ટ્સ યુનિવર્સિટી પણ મેજર ધ્યાનચંદને સમર્પિત છે.

PMએ ઉત્તર પ્રદેશમાં આવેલા નૈતિક પરિવર્તનની નોંધ લીધી હતી. અગાઉના સમયમાં અહીં ગુનેગારો અને માફિયાઓ પોતાની રમત રમતા હતા. તેમણે એ સમયગાળો યાદ કર્યો હતો કે જ્યાં ગેરકાયદેસર વ્યવસાય, દીકરીઓની છેડતી ખુલ્લેઆમ અને બેરોકટોક થતા હતા. તેમણે પહેલાંના સમયની અસલામતી અને અંધેર સ્થિતિને યાદ કરી હતી. તેમણે યોગી સરકારની પ્રશંસા કરતા કહ્યું હતું કે, હવે યોગી સરકારના સમયમાં આવા ગુનેગારોમાં કાયદાનો ડર બેસી ગયો છે. આ પરિવર્તનના કારણે દીકરીઓમાં હવે આખા દેશ માટે નામ ઉજ્જવળ કરવાનો આત્મવિશ્વાસ જાગ્યો છે.

PMએ જણાવ્યું હતું કે, યુવાનો નવા ભારતના પાયાનું નિર્માણ કરનારા મુખ્ય પથ્થરો છે અને તેઓ જ વિસ્તરણના મુખ્ય આધાર પણ છે. યુવાનો વધુ તેજ છે અને તેઓ નવા ભારતના પ્રહરીઓ પણ છે. આજે આપણા યુવાનો પાસે પ્રાચીનતાનો વારસો છે અને આધુનિકતાની ભાવના પણ છે. અને આથી જ યુવાનો જ્યાં જશે ત્યાં ભારત પણ આગળ વધશે. અને ભારત જ્યાં જશે ત્યાં દુનિયા જશે.

PMએ છેલ્લા કેટલાક વર્ષો પર પ્રકાશ પાડતા કહ્યું હતું કે, તેમની સરકારે ભારતના ખેલાડીઓને ચાર સાધનો એટલે કે સંસાધનો, તાલીમ માટેની અદ્યતન સુવિધાઓ, આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રદર્શન કરવાની તક અને પસંદગીમાં પારદર્શકતા આપવા પર સૌથી વધારે પ્રાથમિકતા આપી છે. PMએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશમાં રમતગમતનો વિકાસ થાય તે માટે યુવાનોને રમતગમતમાં વિશ્વાસ હોવો જોઇએ અને રમતગમતને વ્યવસાય તરીકે લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે તે જરૂરી છે. તેમણે કહ્યું હતું કે, આ મારો સંકલ્પ છે, અને મારું સપનું પણ છે! હું ઇચ્છું છું કે આપણા યુવાનો રમતગમતને અન્ય વ્યવસાયોના દૃષ્ટિકોણથી જુએ. PMએ ટિપ્પણી કરી કે સરકારે રમતગમતને રોજગાર સાથે જોડી છે. ટાર્ગેટ ઓલિમ્પિક્સ પોડિયમ (TOPS) જેવી યોજનાઓના કારણે ટોચના ખેલાડીઓને ઉચ્ચ સ્તરે સ્પર્ધા કરવા માટે તમામ સહાયતા પૂરી પાડવામાં આવે છે. ખેલો ઈન્ડિયા અભિયાન ખૂબ જ વહેલી તકે પ્રતિભાવાન રમતવીરોને ઓળખી લેવામાં આવે છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમને તૈયાર કરવા માટે તમામ સમર્થન આપવામાં આવી રહ્યું છે. PMએ કહ્યું હતું કે, ઓલિમ્પિક્સ અને પેરા-ઓલિમ્પિક્સમાં ભારતનું તાજેતરમાં જોવા મળેલું પ્રદર્શન રમતગમતના ક્ષેત્રમાં નવા ભારતના ઉદયનો પુરાવો છે.

PMએ જણાવ્યું હતું કે, નવી શિક્ષણ નીતિમાં રમતોને પ્રાથમિકતા આપવામાં આવી છે. રમતગમતને હવે વિજ્ઞાન, વાણિજ્ય કે અન્ય અભ્યાસ જેવી જ શ્રેણીમાં રાખવામાં આવે છે. અગાઉ રમતગમતને અભ્યાસેતર પ્રવૃત્તિઓ તરીકે માનવામાં આવતી હતી, પરંતુ હવે સ્પોર્ટ્સ શાળાઓમાં તે યોગ્ય વિષય તરીકે રહેશે. PMએ કહ્યું હતું કે, રમતો, રમતગમત વ્યવસ્થાપન, રમતગમત લેખન, રમતગમત મનોવિજ્ઞાન વગેરેને સમાવતી સ્પોર્ટિંગ ઇકો-સિસ્ટમ નવી સંભાવનાઓનું સર્જન કરે છે. તેમણે કહ્યું હતું કે, આના કારણે સમાજમાં વિશ્વાસ બેસી રહ્યો છે કે, રમત ક્ષેત્રની દિશામાં આગળ વધવું એ સાચો નિર્ણય છે. તેમણે ઉમેર્યું હતું કે, સંસાધનોની મદદથી, રમતગમતની સંસ્કૃતિ આકાર લે છે અને સ્પોર્ટ્સ યુનિવર્સિટી આમાં ખૂબ જ મોટી ભૂમિકા નિભાવશે. મેરઠમાં રમતગમતની સંસ્કૃતિ વિશે વાત કરતા PMએ ટાંક્યું હતું કે, આ શહેર 100 કરતાં વધારે દેશોમાં રમતને લગતા માલસામાનની નિકાસ કરે છે. આ પ્રકારે, મેરઠ માત્ર વોકલ ફોર લોકલ નથી પરંતુ તે લોકલને ગ્લોબલમાં પરિવર્તિત કરવાનું પણ કામ કરે છે. PMએ ભારપૂર્વક કહ્યું હતું કે, ભરતી રહેલા રમતગમતના ક્લસ્ટરની મદદથી આ ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવું જરૂરી છે.

PMએ ઉલ્લેખ કર્યો હતો કે, ઉત્તર પ્રદેશમાં ડબલ એન્જિનની સરકાર સંખ્યાબંધ યુનિવર્સિટીઓની સ્થાપના કરી રહી છે. તેમણે ગોરખપુરમાં મહાયોગી ગુરુ ગોરખનાથ આયુષ યુનિવર્સિટી, પ્રયાગરાજમાં ડૉ. રાજેન્દ્ર પ્રસાદ લૉ યુનિવર્સિટી, લખનઉમાં સ્ટેટ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફોરેન્સિક સાયન્સ, અલીગઢમાં રાજા મહેન્દ્ર પ્રતાપસિંહ સ્ટેટ યુનિવર્સિટી, સહારનપુરમાં મા શાકુંબરી યુનિવર્સિટી અને મેરઠમાં મેજર ધ્યાનચંદ યુનિવર્સિટી વગેરેનો ઉલ્લેખ કર્યો હતો. PMએ ટિપ્પણી કરી હતી કે, અમારું લક્ષ્ય સ્પષ્ટ છે. યુવાનોએ માત્ર રોલ મોડલ બનવું જોઈએ નહીં પરંતુ તેમના રોલ મોડલને ઓળખવા પણ જોઈએ.

PMએ માહિતી આપી હતી કે, સ્વામીત્વ યોજના હેઠળ 75 જિલ્લામાં 23 લાખ કરતા વધારે મકાનોના હક પત્ર (ઘરૌની) આપવામાં આવ્યા છે. રાજ્યના ખેડૂતોને પ્રધાનમત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ તેમના બેંક ખાતાઓમાં કરોડો રૂપિયા પ્રાપ્ત થયા છે. શેરડીના ખેડૂતોને વિક્રમી પ્રમાણમાં કરવામાં આવેલી ચુકવણી દ્વારા પણ રાજ્યના ખેડૂતોને લાભ મળ્યો છે. PMએ વધુમાં માહિતી આપતા કહ્યું હતું કે, એવી જ રીતે ઉત્તર પ્રદેશમાંથી રૂપિયા 12 હજાર કરોડની કિંમતના ઇથેનોલની પણ ખરીદી કરવામાં આવી છે.

PMએ ટિપ્પણી કરી હતી કે, સરકારની ભૂમિકા પાલક જેવી હોય છે. સરકારે જેમનામાં પાત્રતા હોય તેમને પ્રોત્સાહન આપવું જોઇએ અને ભૂલોને યુવાનોમાં રહેલી ખામીઓ તરીકે ન ગણાવવી જોઇએ. PMએ ઉત્તર પ્રદેશની વર્તમાન સરકારે વિક્રમી સંખ્યામાં યુવાનોને નોકરીઓ આપી તે બદલ તમને અભિનંદન પાઠવ્યા હતા. ITI માંથી તાલીમ મેળવનારા હજારો યુવાનોને મોટી કંપનીઓમાં પણ રોજગારી પ્રાપ્ત થઇ છે. તેમણે ઉમેર્યું હતું કે, લાખો યુવાનોને રાષ્ટ્રીય એપ્રેન્ટિસશીપ યોજના અને PM કૌશલ વિકાસ યોજનાથી ફાયદો થયો છે. મેરઠ ગંગા એક્સપ્રેસ-વે, રિજનલ રેપિડ રેલ ટ્રાન્ઝિટ સિસ્ટમ અને મેટ્રોની મદદથી કનેક્ટિવિટીનું પણ હબ બની રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp