મેડિકલ પ્રવેશના નિયમોમાં મોટા સુધારા કરતી ગુજરાત સરકાર

PC: ihealthkonnect.com

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને ઉચ્ચશિક્ષણ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા 10 ટકા આર્થિક અનામત આપવાનો નિર્ણય કર્યો છે તેનો ગુજરાતે સૌ પ્રથમ અમલ કર્યો છે. ચાલુ વર્ષથી જ ગુજરાતના બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને મેડિકલ શિક્ષણમાં પ્રવેશ અપાશે. દાદરાનગર હવેલી ખાતેની સરકારી મેડિકલ કોલેજમાં 10 બેઠક ગુજરાતના વિદ્યાર્થીઓથી ગુજરાતની મેડિકલ પ્રવેશ સમિતિ પ્રવેશ અપાશે.

નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, વર્ષ-2019-20માં મેડિકલ પ્રવેશ માટેના નિયમોમાં પણ આ વર્ષથી રાજ્ય સરકાર દ્વારા સુધારા કરાયા છે તે મુજબ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે. રાજ્યમાં મેડિકલ પ્રવેશ માટે MBBS, BDS, BAMS, આયુર્વેદ, હોમિયોપેથી અને નેચરોપેથી માટે ઓનલાઇન રજીસ્ટ્રેશનની કામગીરી માટે પીન વિતરણ તા.17.06.2019 થી તા.23.06.2019 દરમ્યાન એક્સીસ બેંકમાંથી કરવામાં આવશે. દીવ, દમણ અને દાદરા નગર હવેલી માંથી ગુજરાતનાં મેડિકલ પ્રવેશ નિયમો મુજબ ધોરણ-12 પાસ કરેલ વિદ્યાર્થીઓને ડોમીસાઈલ સર્ટીફિકેટ રજૂ કરવામાંથી ગત વર્ષ 2018-19 પુરતી મુક્તિ આપી હતી અને મેડિકલ પ્રવેશ સમિતિની તમામ બેઠકો પર લાયક ગણીને પ્રવેશ આપવામાં આવ્યો હતો.

તેમણે ઉમેર્યું કે, વર્ષ 2019-20 માટે પણ દીવ, દમણ અને દાદરા નગર હવેલી નાં વિદ્યાર્થીઓ કે જેઓ ગુજરાતનાં મેડિકલ પ્રવેશ નિયમો મુજબ ગુજરાત બોર્ડમાં ધોરણ-12 પાસ કર્યું હોય તો તેઓને ડોમીસાઈલ સર્ટીફિકેટ રજૂ કરવામાંથી મુક્તિ આ વર્ષે પણ અપાશે. આ ઉપરાંત, વર્ષ 2019-20 થી દાદરા નગર હવેલી ની પણ 150 સીટની સરકારી મેડિકલ કોલેજ શરૂ થઇ છે અને તેઓએ આ સરકારી મેડિકલ કોલેજની 10 સીટ ગુજરાતની પ્રવેશ સમિતિને ગુજરાતનાં વિદ્યાર્થીઓ માટે ફાળવી દીધી છે. જેના પર ગુજરાતની મેડિકલ પ્રવેશ સમિતિ પ્રવેશ આપશે.

નીતિન પટેલે કહ્યું કે, વર્ષ-2017 થી ધોરણ-10 ગુજરાતમાં મેડિકલ પ્રવેશ માટે ફરજીયાત કર્યું હતું. વર્ષ-2018 માં ઘણાં વિદ્યાર્થીઓએ ધોરણ-10 ફરજીયાત ન કરવાં રજૂઆત કરી હતી. જેને ધ્યાને લઇને વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકાર દ્વારા પ્રવેશ નિયમોમાં વર્ષ-2018 માં પણ ધોરણ-10 ગુજરાતમાંથી પાસ ન કરેલ હોય, પરંતુ ધોરણ-12 ગુજરાત રાજ્યમાંથી પાસ કરેલ હોય અને ડોમીસાઈલ ગુજરાતનું સર્ટીફિકેટ ધરાવતાં હોય તેવાં વિદ્યાર્થીઓને મેડિકલ પ્રવેશ માટે લાયક ગણ્યા હતાં. વર્ષ 2019-20માં પણ વાલીઓની રજુઆતને ધ્યાને રાખીને જે વિદ્યાર્થીઓએ ધોરણ-10 ગુજરાત બહારથી કરેલ હોય અને ધોરણ-12 ગુજરાત રાજ્યમાંથી પાસ કરેલ હોય તેમજ ડોમીસાઈલ સર્ટીફિકેટ ધરાવતાં હોય તેવાં વિદ્યાર્થીઓને પણ આ વર્ષે મેડિકલમાં પ્રવેશ અપાશે.

તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં એમ.બી.બી.એસ.ની આજે અંદાજે 5000 જેટલી બેઠકો ઉપલબ્ધ છે. જેની પ્રવેશ પ્રક્રિયા ટુંક સમયમાં શરૂ થશે. આ ઉપરાંત ડેન્‍ટલ, આર્યુર્વેદિક, હોમીયોપેથી અને નેચરોપેથીમાં પણ લગભગ 5000 જેટલી બેઠકો છે. આ તમામ કોર્સમાં હજારો વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે. આવા વિદ્યાર્થીઓની સરળતા માટે જે વિદ્યાર્થીનો જન્‍મ ગુજરાત રાજયમાં થયો હોય અને તે વિદ્યાર્થીએ ધોરણ-12 ની પરીક્ષા ગુજરાતના માન્‍ય બોર્ડમાંથી પાસ કરેલ હોય, તેઓને ડોમીસાઇલ સર્ટીફીકેટ રજુ કરવાની જરૂરીયાત રહેશે નહીં. આ સિવાયના ગુજરાત રાજયના બહાર જન્‍મેલ વિદ્યાથીઓએ પ્રવેશ માટે ડોમીસાઇલ સર્ટીફીકેટ ફરજીયાત લાવવાનું રહેશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp