જેલમાંથી છૂટ્યા બાદ અલ્લુ અર્જૂને જાણો શું કહ્યુ, પહેલા ઘરે નહીં પણ આ જગ્યાએ ગયો

PC: prabhasakshi.com

સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને તેલંગાણા હાઈકોર્ટમાંથી જામીન મળ્યા પછી આજે (14 ડિસેમ્બર) સવારે હૈદરાબાદ સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. અભિનેતાના પિતા અલ્લુ અરવિંદ અને સસરા કંચરલા ચંદ્રશેખર તેમને રિસીવ કરવા પહોંચ્યા હતા. અલ્લુ અર્જુનના ફેન્સ તેની રિલીઝથી ઘણા ખુશ છે. જેલમાંથી છૂટ્યા પછી અલ્લુ અર્જુન તેના પરિવાર પાસે તેના ઘરે પહોંચી ગયો છે. ઘરે પહોંચીને તેણે તમામ ચાહકોના પ્રેમ અને સમર્થન માટે આભાર માન્યો.

જેલમાંથી બહાર આવ્યા પછી અલ્લુ અર્જુને મીડિયા સાથે વાત કરી હતી. તેણે કહ્યું, 'ચિંતા કરવાની કોઈ વાત નથી. હું ઠીક છું. હું કાયદામાં માનું છું. આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે તેથી હું વચ્ચે ટિપ્પણી નહીં કરું. હું કાયદાનું પાલન કરતો નાગરિક છું. હું પોલીસને સહકાર આપીશ.'

પીડિત પરિવાર પ્રત્યે દુઃખ વ્યક્ત કરતા અભિનેતાએ કહ્યું, જીવ ગુમાવનાર મહિલાના પરિવાર પ્રત્યે મારી સંવેદના. આ એક કમનસીબ ઘટના હતી. હું પરિવારને દરેક સંભવિત રીતે ટેકો આપવા અને આ મુશ્કેલ સમયમાં તેમને શક્ય તમામ મદદ આપવા માટે હાજર રહીશ.

આ ઘટના વિશે વાત કરતા અલ્લુ અર્જુને કહ્યું કે, આ ઘટના અજાણતા બની છે. અભિનેતાએ કહ્યું, જ્યારે હું ફિલ્મ જોવા ગયો હતો ત્યારે અચાનક આ ઘટના બની. આ ઇરાદાપૂર્વક કરવામાં આવ્યું ન હતું. છેલ્લા 20 વર્ષથી હું આ રીતે ફિલ્મો જોવા સિનેમા હોલમાં જઉં છું. તે હંમેશા એક સુખદ અનુભવ રહ્યો છે, પરંતુ આ વખતે વસ્તુઓએ અલગ વળાંક લીધો.

અલ્લુ અર્જુને પ્રશંસકો માટે કહ્યું, 'આ સમય દરમિયાન મારી સાથે ઉભા રહેલા તમામનો હું આભારી છું. દરેકના પ્રેમ અને સમર્થન માટે ખૂબ ખૂબ આભાર. તમારા સમર્થનને કારણે આજે હું અહીં છું. હું મારા ચાહકોનો આભાર માનવા માંગુ છું.'

જેલમાંથી બહાર આવ્યા પછી અલ્લુ અર્જુન ઘરે પહોંચતા પહેલા ગીતા આર્ટસની ઓફિસે પહોંચ્યો હતો. ગીતા આર્ટસ દક્ષિણ ભારતીય સિનેમાની સૌથી મોટી અને લોકપ્રિય ફિલ્મ નિર્માણ અને વિતરણ કંપની છે. તેની શરૂઆત 1972માં અલ્લુ અર્જુનના પિતા અલ્લુ અરવિંદે કરી હતી. અભિનેતા અલ્લુ અર્જુન પણ તેને ચલાવે છે. પોતાના પ્રોડક્શન હાઉસ ગીતા આર્ટ્સથી નીકળીને અલ્લુ તેના પરિવાર પાસે સીધો તેના ઘરે ગયો. તેમના ઘરની બહાર પહેલેથી જ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.

અહીં તમને જણાવી દઈએ કે, 4 ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં 'પુષ્પા 2'ની સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન ભાગદોડને કારણે એક મહિલાએ જીવ ગુમાવ્યો હતો. આ કેસમાં ગત રાત્રે (13 ડિસેમ્બર) એક્ટર અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી હતી. અલ્લુ અર્જુનને 14 દિવસના રિમાન્ડ પર મોકલ્યા પછી શુક્રવારે તેને ચંચલગુડા સેન્ટ્રલ જેલમાં લઈ જવામાં આવ્યો હતો.

ત્યાર પછી તેલંગાણા હાઈકોર્ટે તેને રૂ. 50,000ના અંગત બોન્ડ પર વચગાળાના જામીન આપ્યા હતા. પરંતુ તેમ છતાં પણ તેને જેલમાં એક રાત વિતાવવી પડી હતી, કારણ કે એવું કહેવામાં આવ્યું હતું કે, જામીન ઓર્ડરની નકલો ઓનલાઈન અપલોડ કરવામાં આવી ન હતી, જેના કારણે અભિનેતાને જેલમાં રાત વિતાવવી પડી હતી.

તેમના વકીલ અશોક રેડ્ડીએ અભિનેતાને આપવામાં આવેલા જામીનના આદેશનું પાલન ન કરવા બદલ હૈદરાબાદ જેલ સત્તાવાળાઓની ટીકા કરી હતી. વકીલે કહ્યું, 'હૈદરાબાદ પોલીસ અને ચંચલગુડા જેલ પ્રશાસનને ગઈકાલે જ હાઈકોર્ટના આદેશની કોપી મળી હતી, જેમાં જેલ અધિક્ષકને સ્પષ્ટપણે અલ્લુ અર્જુનને તાત્કાલિક મુક્ત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. સુપરિન્ટેન્ડેન્ટે તેની મુક્તિ સુનિશ્ચિત કરવા સૂચનાઓ પણ આપી હતી, પરંતુ જેલ પ્રશાસને તેને મુક્ત કર્યો ન હતો. આ ગેરકાયદેસર અટકાયત હતી અને તેના માટે તેમણે જવાબ આપવો પડશે. અમે કાયદેસરની કાર્યવાહી કરીશું.'

અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાન્નાની ફિલ્મ 'પુષ્પા 2: ધ રૂલ' વિશે વાત કરીએ તો, તેણે થિયેટરોમાં એક નવી ક્રાંતિ લાવી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ બ્રેક કમાણી કરી રહી છે. ફિલ્મને લઈને દર્શકોમાં કંઇક અલગ જ સ્તરનો ક્રેઝ જોવા મળી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp