પ્રદૂષિત પાણીને શુદ્ધ કરતા દેશની તાકાતવર કંપનીઓના પ્લાન્ટને બંધ કરવા આદેશ

PC: all-about-water-filters.com

'વડોદરા એન્વાયરો ચેનલ લિમિટેડ'નું શરૂઆતનું નામ 'એફ્લુએન્ટ ચેનલ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ' હતું. વડોદરા પેટ્રો કેમિકલ કોમ્પલેક્ષમાં આવેલા મોટા ઉદ્યોગો GSFC, GACL, રિલાયન્સ અને નંદેસરીમાં આવેલા કેમિકલ ઉદ્યોગો તથા 1994 પછી આ ચેનલ - પાઈપલાઇન ધનોરા ગામથી સરોદ 55.6 કિમીની આસપાસમાં આવેલા ઉદ્યોગો સ્થાપાયા, જે તમામનું એફ્લુએન્ટ આ ચેનલ - પાઈપલાઇન દ્વારા સરોદ ખાતે મહીસાગર નદીની એસ્ચ્યુરીમાં ડિસ્ચાર્જ કરે છે. આ બધી કંપનીઓ મધ્યમ અને મોટા પ્રકારની છે અને આમાંની જ કેટલીક કંપનીઓએ જ આ કંપની GIDC સાથે રહીને સ્થાપી છે.

250 સીઓડીના બદલે વધારે છે

1983થી 2019 સુધીનો રૅકોર્ડ જોઈએ તો આ કહેવાતું ટ્રીટેડ એફ્લુએન્ટ, મોટા ઉદ્યોગોનું એફ્લુએન્ટ, પાદરા ગામની ECP ચેનલનું અને આસપાસના ઉદ્યોગોનું એફ્લુએન્ટ મહીસાગર નદીની એસ્ચ્યુરીમાં નાખવામાં આવે છે, જે માટે નિયમો નક્કી કરવામાં આવ્યા છે. નિયમોના અમલ માટે પણ એક વ્યવસ્થા છે. એ મુજબ જે એફ્લુએન્ટ ડિસ્ચાર્જ કરવા હોય તેનો COD 250 હોય તો જ એને ડિસ્ચાર્જ કરી શકાય. 'વડોદરા એન્વાયરો ચેનલ લિમિટેડ'નો ટ્રેક રૅકોર્ડ જોઈએ તો એફ્લુએન્ટનો COD 250 mg લીટરે હોવું જોઈએ, તેના બદલે 700-1000-2500-4000 mg/litની વચ્ચે જ રહ્યો છે. 2018ના વર્ષમાં તો એફ્લુએન્ટનો CODની એવરેજ 2500 mg/litની રહી છે, જે ખરેખર 250 mg લીટરે જ હોવો જોઈએ. જે પોઈન્ટ પર 03 ડિસેમ્બર 2018ના રોજ પર્યાવરણ સુરક્ષા સમિતિએ COD ચેક કરેલી, જે 1871 mg લીટરે આવેલો અને એમોનિકલ નાઇટ્રોજન 370 (50 mg લીટરે હોવો જોઈએ) હતો. 10 જાન્યુઆરી 2019ના રોજ સેમ્પલ ચેક કરેલ COD 995 mg લીટરે અને એમોનિકલ નાઇટ્રોજન 49.5 હતો. કંપનીઓ એફ્લુએન્ટ ડિસ્ચાર્જ કરે છે.

સુપ્રીમ કોર્ટનો ક્લોઝર માટે આદેશ

આટલા લાંબા વર્ષોના સમયથી GPCB નોર્મ્સનું પાલન થતું ન હોવાથી GPCBએ પર્યાવરણ સુરક્ષા સમિતિની નોટીસને આધારે કે જેમાં સુપ્રીમ કોર્ટની રિટ પિટિશન 375/2012ના 22 ફેબ્રુઆરી 2017ના ઓર્ડરનો ઉલ્લેખ કર્યો છે ક્લોઝર નોટીસ આપી છે. ચુકાદામાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે, કે આખા દેશમાં કોઈપણ ઉદ્યોગોને કોઈપણ પ્રકારનું એફ્લુએન્ટ ડિસ્ચાર્જ કરે અને જો તે નિયત કરેલ ધારાધોરણ મુજબ ન હોય તો એ નદીમાં કે અન્ય સ્થળો અથવા તો જળસ્ત્રોતમાં છોડી શકાતું નથી. જે આ રીતે પ્રદુષણ યુક્ત એફ્લુએન્ટ છોડશે તો તેની સામે ફોજદારી રાહે કાનૂની કાર્યવાહી કરવી. કંપનીને 'ક્લોઝર નોટીસ' પણ આપવી, મુખ્ય માલિક સામે ફોજદારી રૂપે કાર્યવાહી કરવી અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, દિલ્હીએ સુપ્રીમ કોર્ટ દ્વારા જે કાર્યવાહી સોંપવામાં આવી હતી, તેને જો પર્યાવરણને નુકસાન થાય છે તો એનું પૂરેપૂરું વળતર કંપનીએ કરવાનું રહેશે તેમ પણ કહ્યું છે.

જેના આધારે GPCBએ 'વડોદરા એન્વાયરો ચેનલ લિમિટેડ'ને 13 ડિસેમ્બર 2018ના રોજ ક્લોઝરની નોટીસ આપી હતી. કંપનીનો MGVCLને પાવર સપ્લાયનું જોડાણ/કનેક્શન કાપી નાખવાનો પણ આદેશ આપેલ છે, તદુપરાંત J point એટલે કે જંબુસર પાસેનું ડિસ્ચાર્જ પોઇન્ટ પર એફ્લુએન્ટ ડિસ્ચાર્જ બંધ કરવાનો આદેશ આપ્યો છે.

પ્રદૂષિત પાણીના પાઈપ લાઇન લીક

બધું એફ્લુએન્ટનું વહન કરાતી પાઈપલાઇન લીક પણ થાય છે અને આસપાસના વિસ્તારના ભૂગર્ભીય જળ પણ પ્રદૂષિત થઈ ગયા છે. તા. 13 ડિસેમ્બર 18ના રોજ અપાયેલ ક્લોઝર નોટિસ મુજબ જે પોઇન્ટ પર એફ્લુએન્ટ છોડવાની સમય મર્યાદા 13 જાન્યુઆરી 2019ના રોજ પૂરી થાય છે.

આ સંદર્ભ વડોદરા એન્વાયરો ચેનલ લિ.એ સ્પેશિયલ સિવિલ એપ્લીકેશન નં. 21189 of 2018ના નામે કેસ ગુજરાત હાઈકોર્ટમાં કરેલો અને જેની તારીખ 7 જાન્યુઆરી 2019 હતી. ત્યાર બાદ તા. 08 જાન્યુઆરી 2019ના રોજ સુનાવણી થઈ હતી.

તાળાબંધી અટકાવવા કંપની ઝડપથી કેસ ચલાવવા માગે છે

11 જાન્યુઆરી 2019ના રોજની સુનાવણીમાં પર્યાવરણ સુરક્ષા સમિતિના રોહિત પ્રજાપતિએ હાજર રહી સુપ્રીમ કોર્ટની પર્યાવરણ સુરક્ષા સમિતિની રિટ પિટિશન 375/2012ના 22 ફેબ્રુઆરી 2017ના ઓર્ડરની જાણકારી કોર્ટને આપી હતી. વડોદરા એન્વાયરો ચેનલ લિ.એ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે તેમનો કેસ પ્રાયોરિટીમાં સાંભળવામાં આવે. તે સમયે પર્યાવરણ સુરક્ષા સમિતિના રોહિત પ્રજાપતિએ હાજર રહી કોર્ટને જણવ્યું હતું કે કોઈપણ ઓર્ડર પસાર કરતા પહેલા કોર્ટેએ એક મહત્ત્વની વાત ધ્યાનમાં લેવાની જરૂર છે કે સુપ્રીમ કોર્ટનાં રીટ પિટિશન સિવિલ નં. 375/2012 અને NGTના કેસ નં. 593/2017ના ઓર્ડર મુજબ કંપનીને ક્લોઝર આપવામાં આવેલો છે અને સુપ્રીમ કોર્ટના ઓર્ડરનો અમલ કરવાનું કામ NGTને સોંપવામાં આવ્યું છે એને આધારે જ આ ક્લોઝર આપવામા આવ્યું છે. જો આ ક્લોઝર નોટિસનો અમલ કરવામા ન આવે તો સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન થાય અને પરિસ્થિતિ વધુ આપત્તિજનક બની જાય. GPCB તરફથી તેમના વકીલે પણ વિગતે દલીલો કરી હતી.

વડી અદાલતનો અસ્વીકાર

Vadodara Enviro Channel Limitedની માગણી ગુજરાત હાઇકોર્ટે સ્વીકારી નથી. આ ચેનલમાં 300થી વધુ કંપનીઓનું એફ્લુએન્ટ જાય છે. જે એફ્લુએન્ટ નોર્મ્સ મુજબનું નથી, પાઇપલાઇનમાં મોટા પાયે લીક થાય છે. ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના 13 ડિસેમ્બર 2018ના ક્લોઝર ઓર્ડરના અમલ થતા આ તમામ કંપનીઓ પણ બંધ થાય તેમ છે.

ગુજરાત હાઇકોર્ટે 11 જાન્યુઆરી 2019ના રોજ Vadodara Enviro Channel Limitedની Special Civil Application No. 21189/2018ના કેસમાં કંપનીને ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના 13 ડિસેમ્બર 2018 ના ક્લોઝર ઓર્ડરને સ્ટે કરવાની માગણી ના સ્વીકારી.

હવે Vadodara Enviro Channel Limitedની પાસે ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના ક્લોઝર ઓર્ડરના અમલ કરવા સિવાયનો કોઈ જ વિકલ્પ બચ્યો નથી. હવે પછીની સુનવણી 16 જાન્યુઆરી 2018ના રોજ થશે.

હવે જોવાનું એ છે કે દેશની તાકતવર કંપનીઓ આનો અમલ થવા દે છે કે નહીં અને ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના ક્લોઝર ઓર્ડરનો અમલ કરવી શકે છે કે નહીં?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp