વિશ્વનું પ્રથમ CNG પોર્ટ ટર્મિનલ સ્થાપનારું ગુજરાત પ્રથમ રાજ્ય બનશે

PC: businesswire.com

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના વૈશ્વિક વિકાસનો એક નવો કીર્તિમાન પ્રસ્થાપિત કરવાની નેમ સાથે મહત્ત્વાકાંક્ષી અને દુનિયાના સર્વપ્રથમ એવા CNG ટર્મિનલની ભાવનગર બંદર પર સ્થાપનાની મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ આ પ્રોજેકટની વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું કે, યુ. કે. સ્થિત ફોરસાઇટ જુથ અને મુંબઇ સ્થિત પદમનાભ મફતલાલ ગૃપના સહયોગમાં 1900 કરોડના મૂડી રોકાણથી CNG (કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) પોર્ટ ટર્મિનલ ભાવનગર બંદરે નિર્માણ પામશે.

મુખ્યમંત્રીએ જી.આઈ.ડી.બી.ના અધ્યક્ષ તરીકે આ દરખાસ્તને ગુજરાત સરકાર તેમજ ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રકચર બોર્ડની મંજૂરી આપી છે. વિશ્વના સૌ પ્રથમ આ CNG ટર્મિનલની CNGની ક્ષમતા વાર્ષિક 1.5. મિલીયન મેટ્રીક ટનની હશે. આ CNG ટર્મિનલ સ્થાપવા માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને લંડન સ્થિત ફોરસાઇટ ગૃપ વચ્ચે 2019ની વાયબ્રન્ટ ગુજરાત સમીટ દરમિયાન એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં હાલ બે એલ.એન.જી. ટર્મિનલ દહેજ અને હજીરામાં કાર્યરત છે. હવે આ પ્રથમ CNG ટર્મિનલની મંજુરીને પરિણામે ગુજરાત એલ.એન.જી. અને CNG બંને માટેના ટર્મિનલ ધરાવતું દેશનું એક માત્ર રાજ્ય હોવાનું ગૌરવ પણ મેળવશે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, હાલ ગુજરાત મેરીટાઇમ બોર્ડ હસ્તક ભાવનગર બંદરનું સંચાલન છે અને વાર્ષિક 3 મિલિયન મેટ્રીક ટન કાર્ગોનું પરિવહન થાય છે. ભાવનગર બંદરની ઉત્તરની બાજુએ હાલની બંદરીય સુવિધાઓમાં આમૂલ ફેરફાર કરવામાં આવશે. જેમાં પોર્ટ બેઝીન માટેની ચેનલ, ડ્રેજીંગ ઉપરાંત બે લોકગેટસ, કિનારા ઉપર CNGના પરિવહન માટેનું આંતર માળખું સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવશે. કંપની દ્વારા ભાવનગર બંદરે કાર્ગો વહન માટે રો-રો ટર્મિનલ, લિકવીડ ટર્મિનલ અને કન્ટેનર ટર્મિનલ વિકસાવવાનું આયોજન છે. આ ટર્મિનલ કાર્યાન્વિત થતાં ભાવનગર બંદરની કાર્ગો વહન ક્ષમતા વાર્ષિક 9 મિલિયન મેટ્રીક ટન થશે. જેમાંથી 6 મિલિયન આ પ્રોજેકટની હશે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, યુ. કે. તેમજ ગુજરાત સ્થિત પદમનાભ મફતલાલ ગુપના બનેલા કોન્સોર્ટિયમ દ્વારા પ્રથમ તબક્કામાં રૂા. 1300 કરોડ અને બીજા તબક્કામાં રૂા. 600 કરોડ મળી સ્વીસ ચેલેન્જ રૂટ મારફત કુલ રૂા.1900 કરોડનું મૂડી રોકાણ કરશે.

આ દરખાસ્તને રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે

ટુંક સમયમાં રાજ્ય સરકારની Boot Policy 1997 અંતર્ગત સ્વીસ ચેલેન્જની પ્રક્રિયા હાથ ધરાયા બાદ જી.એમ.બી. અને કંપની વચ્ચે વિગતવાર કન્સેસન એગ્રીમેન્ટ થશે એમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. 

ફોરસાઇટ ગૃપ અને પદમનાભ મફતલાલ ગૃપ દ્વારા આટર્મિનલ સ્થાપવા માટે જરૂરી પૂર્વ અમલવારીના લક્ષ્યો જેવા કે પ્રી-ફીઝીબીલિટી પ્રોજેકટ રીપોર્ટ, સાઇટ સિલેકશન સ્ટડી, ગેસ સપ્લાય એગ્રીમેન્ટ તેમજ CNG વેસલ ડેવલપમેન્ટ સ્ટડી વગેરે પૂર્ણ કરવામાં આવેલ છે. મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે, કેન્દ્ર સરકારની વિદેશી રોકાણની આકર્ષક નીતિના પરિણામ સ્વરૂપ આ પ્રોજેકટમાં રૂા. 500 કરોડનું વિદેશી રોકાણ કરવામાં આવનાર છે. આ પોર્ટ સુધી બ્રોડગેજ રેલ્વે અને નેશનલ હાઇવે જોડાયેલા છે. જેથી હાલ વિકસાવવામાં આવી રહેલા ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયન (ધોલેરા એસ.આઇ.આર.)ની સાથોસાથ આ ટર્મિનલનો ફાયદો દેશના ઉત્તર અને પશ્ચિમ છેડાઓના માલ પરિવહનને મળશે. આમ, સમગ્રતયા ટર્મિનલ બંદરીય કાર્ગો પરિવહન માટેનું એક નવું સીમા ચિહ્ન બની રહેશે.

રાજાશાહી સમયમાં કાર્ગો પરિવહનથી ધમધમતા ભાવનગર બંદરની જાહોજલાલી આ પ્રોજેકટ આવતા પુનરાગમન થશે. અલંગશીપ બ્રેકીંગ યાર્ડના કારણે સમગ્ર એશિયામાં ખ્યાતિ પ્રાપ્ત ભાવનગર હવે CNG ટર્મિનલના આ સૂચિત પ્રોજેકટથી વિશ્વના નકશા ઉપર અંકીત થવા જઇ રહ્યું છે તે ગુજરાત રાજ્ય માટે એક ગૌરવરુપ વિકાસની ઘટના બની રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp