ગુજરાતમાં હાર બાદ કોંગ્રેસના આ ત્રણ મોટા નેતાઓએ પદ પરથી આપ્યું રાજીનામું

PC: hwnews.in

ગુજરાતની તમામ મહાનગરપાલિકામાં કોંગ્રેસની કારમી હાર જોવા મળી રહી છે, ત્યારે સૌથી વધુ ખરાબ સ્થિતિ સુરતમાં જોવા મળી રહી છે, જ્યાં કોંગ્રેસના ખાતામાં હજુ સુધી એકપણ બેઠક આવી નથી. કોંગ્રેસની આ હારનો સ્વીકાર કોંગ્રેસના નેતાઓ પણ હવે કરી રહ્યા છે, ત્યારે સુરત શહેર પ્રદેશ પ્રમુખ બાબુ રાયકાએ પોતાના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પોતાનું રાજીનામું આપી દીધું છે.

બાબુ રાયકાએ પોતાના રાજીનામામાં લખ્યું હતું કે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષે મને ઘણું બધું આપ્યું છે, જે માટે પક્ષનો અને કેન્દ્રીય નેતાગણનો હું ઘણો આભારી છું. મેં શક્ય તેટલી પક્ષમાં વફાદારી નિભાવી છે. પક્ષના મુલ્યો અને જીવનના મુલ્યો પણ અમલમાં મુકવા કાળજી રાખી છે, પરંતુ તાજેતરમાં સુરત મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને જનતાએ આપેલા જનાદેશને ધ્યાને રાખીને મનપાની ચૂંટણીમાં હારની જવાબદારી સ્વીકારી હું સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદેથી રાજીનામું આપું છું.

આ સિવાય અમદાવાદ કોંગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલે પણ રાજીનામું આપી દીધું છે. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર પણ રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 17માંથી ચૂંટણી લડ્યા હતા પરંતુ તેઓ ભાજપના ઉમેદવારની સામે હારી ગયા. રાજકોટમાં વોર્ડ નંબર 7, 10 અને 13માં ભાજપનો ભવ્ય વિજય થયો છે. અશોક ડાંગર ચૂંટણીમાં હારી જતા તેમણે શહેર કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું ધરી દીધું છે.

મહત્ત્વની વાત છે કે, રાજકોટમાં બેલેટ પેપરની મત ગણતરી કરવામાં આવી તેમાં પણ ભાજપના ઉમેદવારને મત મળ્યા છે અને EVM ખોલીને મત ગણતરી કરવામાં આવી ત્યારે પણ રાજકોટની એક પછી એક બેઠકો ભાજપના ફાળે જઈ રહી છે. રાજકોટ મનપાની ચૂંટણીમાં 18 વોર્ડમાંથી 273 ઉમેદવારો ચૂંટણી મેદાને ઉતર્યા હતા. ફેબ્રુઆરી 2021ના રોજ રાજકોટમાં 50.75% મતદાન થયું હતું. રાજકોટ અને સુરતમાં કોંગ્રેસનું ખૂબ જ ખરાબ પ્રદર્શન રહ્યું હતું. ત્યારે રાજકોટમાં કોંગ્રેસની કપરી પરિસ્થિતિને જોઈને શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે રાજીનામું આપ્યું છે.

જામનગર કોંગ્રેસના પ્રમુખે કોંગ્રેસના ઉમેદવારની હારની જવાબદારી પ્રભારીઓ પર નાંખી છે. શહેર પ્રમુખે જણાવ્યું હતું કે, અહિયાં જે કોંગ્રેસના પ્રભારીઓ આવ્યા હતા તેમને સુચવેલા નામોમાં ક્યાંકને કયાંક નામ ફેર કરવામાં આવ્યા છે. કયાંક જ્ઞાતિ સમીકરણના કારણે ઉમેદવારો આપવાના હોય તે ન થયા એટલે આ પરિણામ કદાચ આવ્યું છે તેવું મારું માનવું છું. અમારી પાર્ટીએ જીત મેળવવા માટે ખૂબ મહેનત કરી હતી પણ ક્યાંક જનતા સમક્ષ વાતો મૂકવામાં ખામી રહી હોય અથવા ટિકિટ ફાળવણીમાં ઉપરથી પ્રભારીઓએ જે નિર્ણય કર્યા હતા તેમાં પણ ક્યાંકને ક્યાંક ખામી સર્જાય છે. એટલે આવતા દિવસોમાં આનું મનોમંથન કરીશું અને અમે અમારી હારનો સ્વીકાર કરીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp