AAP ઘૂસી ગયું, સોનાની થાળીમાં ખીલો લાગ્યો, જે પીડાદાયક રસ્તો કાઢીશુંઃ પાટીલ

PC: khabarchhe.com

રાજ્યમાં 6 નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. 6 મહાનગરપાલિકાની 576 બેઠકોમાંથી 489 બેઠક ઉપર ભાજપના ઉમેદવારની જીત થઈ છે. મહત્ત્વની વાત છે કે, વર્ષ 2015માં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને 6 મહાનગરપાલિકાની 389 બેઠક મળી હતી પરંતુ હવે આ વખતે ભાજપે જીતનો રેકોર્ડ તોડ્યો છે પરંતુ ભાજપની સામે એક પડકાર પણ ઉભો થયો છે અને આ પડકાર આમ આદમી પાર્ટી છે. સુરતમાં કોંગ્રેસનો સફાયો થયો છે પરંતુ લોકોએ વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટીને સુરત મહાનગરપાલિકામાં સ્થાન આપ્યું છે.

6 મહાનગરપાલિકાઓમાં ભાજપની ભવ્ય જીત થતા અમદાવાદમાં ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે એક વિજયોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિતના ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તો બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે પણ 6 મહાનગરપાલિકાઓમાં ભાજપને 489 બેઠકો મળતા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને અભિનંદન પાઠવ્યા હતા. પાટીલે વિજયોત્સવમાં કાર્યકર્તાઓને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ભાજપની પાર્લામેન્ટરી બોર્ડના નિયમોથી ભાજપ વધુ મજબૂત બન્યુ છે અને આ નિયમોને બધાએ સ્વીકાર્યા છે.

વિજયોત્સવમાં કાર્યકર્તાઓ અને ઉમેદવારોને સંબોધન કરતાં સમએ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, આવતીકાલથી સન્માન કાર્યક્રમના બદલે બધાના આભાર દર્શન માટે જવું જોઈએ. જ્યાં પ્રચાર માટે પહોંચ્યા હતા ત્યાં અને જ્યા નથી પહોંચી શક્યા ત્યાં જઈને પણ લોકોના આભાર માનવો જોઈએ. અમદાવાદમાં ધાર્યું પરિણામ ન આવ્યું તેનો મને અફસોસ છે. ભાજપના કાર્યકર્તાઓએ કોંગ્રેસની નબળાઈના આધારે જીતને ટેવ પાડવાની જરૂર નથી. 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સુરતમાં 120માંથી 120 બેઠકો જીતવાની અપેક્ષા હતી. 2015માં કોંગ્રેસની પાસે 36 સીટ હતી પણ હવે કોંગ્રેસ 36 સીટ કોંગ્રેસ હારી ગઈ પણ ક્યાંક થાપ ખાઈ ગયા. આપ ઘૂસી ગયું 26 સીટ લઇ ગયું છે. એની સાથે કેવી રીતે પનારો પાડવો તે અમે વિચારી રહ્યા છીએ. મને લાગે છે કે, સોનાની થાળીમાં ખીલો લાગ્યો છે. આપની હાજરી ગુજરાતમાં આવી સુરતમાં આવી તે અમારા માટે ખૂબ પીડાદાયક છે ખૂબ પીડા થાય છે પણ તેમાંથી પણ રસ્તો કાઢવાનો પ્રયાસ કરીશું.

અમે તો કોંગ્રેસને હરાવવા પડ્યા હતા. ઘણા વોર્ડમાં કોંગ્રેસની અને આપની ડીપોઝીટ જમા થઇ ગઈ છે. આપ સુરતમાં જીત્યું છે તે ખોટા વચનો, લાલચ અને મતદાતાઓને ગેરમાર્ગે દોરીને જીત મેળવી છે. પણ જીતએ જીત છે, હાર એ હાર છે. આપણે તેની સામે જીતી નથી શક્યા તે વાત આપણે સ્વીકારીએ છીએ પણ તેના માટે શું કરવું જોઈએ તે પણ કરીશું અને ચોક્કસ તે દિશામાં આગળ વધીશું.

સી.આર. પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટાયેલા લોકોને મારી સલાહ છે કે, કાર્યકર્તાઓનું અપમાન ન થાય તેનું ધ્યાન રાખજો. સુરતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઇ છે પરંતુ જોઈશું એમની સાથે કેવી રીતે શું કરવું અને AIMIM કોંગ્રેસની B ટીમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp