PM મોદીએ દેશને વિશ્વમાં સર્વોચ્ચ સ્થાન અપાવવાનું નક્કી કર્યુ છેઃ કેન્દ્રીયમંત્રી

PC: khabarchhe.com

મુખ્યમંત્રીએ ગતિશક્તિ માસ્ટરપ્લાન અંતર્ગત ગુજરાતમાં સ્થિત બધા સ્ટેકહોલ્ડર્સને સંપૂર્ણ સહકાર અને સહયોગની ખાતરી આપી હતી. મુખ્યમંત્રીએ પી.એમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનની આ ફ્લેગશિપ યોજનાને પરિપૂર્ણ કરવાના પ્રયાસોમાં પશ્ચિમ પ્રદેશના રાજ્યો-પ્રદેશોને એક મંચ પર લાવવા માટે પોર્ટ, શિપિંગ અને વોટરવે મિનિસ્ટ્રીનો આભાર માન્યો હતો. કેન્દ્રીય બંદર અને જળમાર્ગ તથા આયુષ મંત્રી સર્બાનંદા સોનોવાલે આ પ્રસંગે ઉદબોધનના પ્રારંભે બંધારણ દિવસની શુભેચ્છાઓ પાઠવી, બંધારણનાં મૂલ્યોની જાળવણી માટે પ્રતિજ્ઞાબદ્ધ થવા જણાવ્યું હતું.

ગાંધીનગર ખાતે આયોજિત ગતિશક્તિ ઝોનલ કોન્ફરન્સના આયોજન બદલ ગુજરાત સરકારને અભિનંદન પાઠવતા તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને વિશ્વમાં સર્વોચ્ચ સ્થાન અપાવવાનું જે લક્ષ્ય નક્કી કર્યું છે, તેમાં આપણે સૌએ જોડાઈ જવાનું છે. વડાપ્રધાનની સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસનો ચોથો સ્તંભ એટલે સૌનો પ્રયાસ. આ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સાથે મળીને કદમ ઉઠાવવા પડશે.

કેન્દ્રીય મંત્રીએ વધુમાં ઉમેર્યું કે પ્રધાનમંત્રીના ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના મંત્ર થકી જ આજે દરેક ક્ષેત્રમાં પરિવર્તનની સાથે વિકાસ થયો છે અને સૌને સમાન રીતે ગર્વભેર જીવવાનો અવસર પ્રાપ્ત થયો છે.

તેમણે જણાવ્યું કે PM ગતિશક્તિ અંતર્ગત આજે આ આયોજન થકી પશ્ચિમના તમામ રાજ્યો એકસાથે જોડાયા છે. આ જ રીતે કાશ્મીરથી કન્યાકુમારી અને અરુણાચલથી ગુજરાત સુધી દરેક નાગરિકે સમાન રીતે જોડાઈને દેશની શક્તિ વધારવા પોતપોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવાની છે અને આ વિકાસને ગતિ આપવા ટીમ ઇન્ડિયા બનીને કામ કરવાનું છે. જેના કપ્તાન વડાપ્રધાન છે.

તેમણે કહ્યું કે આજે સમગ્ર વિશ્વ ગુજરાતને જાણે છે. વિવિધ ક્ષેત્રે વિકાસ કરીને ગુજરાતે પોતાની શક્તિ બતાવી આ ઓળખ ઊભી કરી છે. આ જ નેતૃત્વ આજે સમગ્ર દેશને મળ્યું છે અને એટલે જ ભારત આજે વિશ્વમાં આગવી ઓળખ ઊભી કરી શક્યો છે. તેમ જણાવી કેન્દ્રીય મંત્રીએ આગામી વાયબ્રન્ટ સમિટ માટે મુખ્મંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા સમગ્ર રાજ્ય સરકારને શુભેચ્છાઓ પાઠવી, આજના આ આયોજન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

કેન્દ્રીય બંદર અને જળમાર્ગ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રીપાદ નાઇકે જણાવ્યું હતું કે, PM ગતિશક્તિ યોજના લોજિસ્ટિકનો ખર્ચ ઘટાડી સપ્લાય ચેઇનમાં સુધારો કરીને મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સને વધુ સ્પર્ધાત્મક બનાવવા ઉપર કેન્દ્રિત છે, જે અંતર્ગત મલ્ટિમોડલ કનેક્ટિવિટી માટે રૂ.100 લાખ કરોડના રાષ્ટ્રીય માસ્ટર પ્લાનની શરૂઆત કરવામાં આવી છે. આ વિઝનરી યોજના દેશના અવિરત વિકાસમાં અતિ મહત્ત્વપૂર્ણ સાબિત થશે, જે માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ક્ષેત્રમાં જ નહિ, સ્કિલ ડેવલપમેન્ટ ક્ષેત્ર તરફ પણ દેશને આગળ લઈ જશે.

તેમણે ઉમેર્યું કે, આ યોજના થકી દેશની પ્રગતિને નવી ગતિ પ્રદાન થશે. જેના થકી તમામ મંત્રાલયના વિભાગ હવે જીઆઇએસ પ્લેટફોર્મના માધ્યમથી ક્રોસ સેક્ટરમાં યોજનાઓની પ્રગતિની કલ્પના, સમીક્ષા અને દેખરેખ રાખવા સક્ષમ રહેશે. સમયાંતરે જમીન ઉપર થઈ રહેલા કામની પ્રગતિ અંગે જાણકારી અપાશે. જેથી સમગ્ર યોજનાની કામગીરીને અદ્યતન બનાવી શકાશે. પોર્ટલ ઉપર નિયમિત રૂપે આ માસ્ટર પ્લાનને આગળ ધપાવવા તથા તેના સંલગ્ન વિવિધ પગલા ભરવા અંગેની પણ જાણકારી મળી રહેશે. પોર્ટલ મારફતે દરેક વિભાગ એકબીજાની ગતિવિધિઓ જોઇ શકશે, જેના થકી યોજનાઓના વ્યાપક અમલીકરણ સમયે મહત્ત્વપૂર્ણ માહિતી પણ મળી રહેશે. તેના માધ્યમથી વિવિધ વિભાગ ક્રોસ સેક્ટરલ ઇન્ટરેક્શનના માધ્યમથી તેમની યોજનાઓને પ્રાથમિકતા આપવા સક્ષમ રહેશે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, આ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન વિવિધ અવરોધોની ઓળખ કર્યાં બાદ યોજના તૈયાર કરવામાં વિવિધ મંત્રાલયોને સહાય કરશે. માલને એક સ્થળેથી બીજા સ્થળે લઇ જવા માટે યોજનાનો સમય અને ખર્ચ ઘટાડવા માટે ઉત્તમ માર્ગને પસંદ કરવામાં માર્ગદર્શન પણ અપાશે. PM ગતિશક્તિ દરેક વિભાગની ગતિવિધિની સાથે-સાથે કામગીરીમાં સમન્વય સુનિશ્ચિત કરીને એકંદરે પ્રોજેક્ટને આગળ ધપાવવામાં ઉપયોગી રહેશે. તે ઉપરાંત આ યોજના જીઆઇએસ-આધારિત સ્થાનિક યોજના અને 200થી વધુ લેયર્સ સાથે વિશ્લેષણાત્મક ઉપકરણોને એક સાથે સંપૂર્ણ ડેટા પ્રદાન કરશે, જેનાથી અમલીકરણ એજન્સીને વધુ સ્પષ્ટતા મળી રહેશે.

મધ્યપ્રદેશના ઉદ્યોગ-નીતિ અને મૂડીરોકાણ વિભાગના મંત્રી રાજ્યવર્ધનસિંહ દત્તિગાંવએ જણાવ્યું કે, ભારતના સર્વગ્રાહી વિકાસ અને 'નયા ભારત'ના નિર્માણ માટે PM ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન મુખ્ય ચાલકબળ બની રહેશે.

PM ગતિશક્તિ માસ્ટર પ્લાનના કારણે એવા પ્રોજેક્ટ નિર્માણ પામશે જે મધ્યપ્રદેશના ઉત્પાદનોને સરળતાથી ગુજરાતના બંદરો સુધી પહોંચાડી દેશે, મધ્યપ્રદેશના ઉત્પાદકોને આનાથી વૈશ્વિક માર્કેટ સુધીની સરળ પહોંચ પ્રાપ્ત થશે.

PM ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન અમલીકરણ માટેના ડેશબોર્ડ અને GIS સુવિધાઓની મંત્રીએ ભરપૂર પ્રશંસા કરી હતી.

કેન્દ્રીય પોર્ટ મંત્રાલયના અધિક સચિવ સંજય બંદોપાધ્યાયે સ્વાગત પ્રવચન કરતા કહ્યુ કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમા આતર માળખાકીય સુવિધાઓનો સુગ્રથિત અને સમયસર વિકાસ થાય એ આશય થી શરૂ કરેલી પી.એમ. ગતિશકિત પ્રોજેકટ અંતર્ગત કેન્દ્રસરકાર તથા રાજ્ય સરકારના વિવિધ વિભાગો-સંસ્થાનોના સહયોગથી આયોજન કરાશે.

તેમણે ઉમેર્યુ કે, વિશ્વમા એ જ દેશ સૌથી વધુ વિકસીત બને છે જેની પાસે એફીસીયન્સી હોય સીમિત સોર્સના માધ્યમથી પણ સંકલિત આયોજન થાય તો ચોકકસ વિકાસકામોમાંઝડપ આવી શકે છે આજ મૂળ હેતુ છે આ પ્રોજેકટનો. આજે પોર્ટ એન્ડ શીપીંગ મંત્રાલય દ્વારા ગાંધીનગર ખાતે યોજાઈ રહેલ વેસ્ટર્ન રીજનલ કોન્ફરન્સમાં વિવિધ રાજ્યોના અધિકારીઓ અને સ્ટેક હોલ્ડર્સ સાથે ચર્ચા સત્રો યોજાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp