ચૂંટણીમાં 85% લોકોના હથિયાર કેમ લઈ લેવામાં આવે છે?

PC: aninews.in
રાજ્યમાં 57 હજાર જેટલા સ્વયં સંચાલિત  હથિયાર માટે પરવાના આપેલા છે. જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે જિલ્લા કલેક્ટરની સમીક્ષા સમિતિની સમીક્ષા બાદ 85% લોકો પાસેથી હથિયાર જમા લેવામાં આવે છે. જે જમા નથી લેવાતાં તે લોકો કોણ છે તે અંગે કલેક્ટર ક્યારેય જાહેર કરતાં નથી. તેથી તે શાસક પક્ષને ફાયદો કરાવી શકે એવી શંકા પણ છે.
 
ચૂંટણીમા પરવાનેદારોના હથિયારો જમા ન લેવા બાબતે ઘણા જિલ્લામાં કલેકટરને રજૂઆત કરવામાં આવી છે. પરવાનેદારોનું લિસ્ટ તૈયાર કરી જેમની જરૂર જણાય તેમના જ હથિયાર જમા લેવાની માંગ કરવામાં આવી છે. દરેક પરવાનેદાર ગુનેગાર કે રાજકીય પ્રવૃત્તિમાં સામેલ હોતા નથી. પરવાનેદાર પોતાની આત્મરક્ષાની જરૂરિયાતને ધ્યાને લઇ પરવાના વાળા હથિયાર રાખતા હોય છે. ચૂંટણીમાં દરેક પરવાનેદારોના હથિયારો જમા લેવાને બદલે પોલીસ ખાતા પાસેથી જરૂરી જણાય તેવા પરવાનેદારોનું લિસ્ટ મંગાવીને તેઓના જ હથિયાર જમા લેવામાં આવે તો પોલીસ ખાતાનું કામ પણ હળવું થઈ શકે તેમ છે.
 
મોટા ભાગના હથિયારના પરવાના પાક રક્ષણ અને સ્વરક્ષણ માટે રાજ્યભરમાં આપવામાં આવ્યા છે. હાલમાં ખેતીના પાકના રક્ષણ માટે હથિયારની સૌથી વધારે જરૂરિયાત ખેડૂતોને છે. રાજ્યનું ગૃહ વિભાગ આવા આદેશો આપે છે. જે ગુજરાત વડી અદાલતના આદેશની વિરૂદ્ધ છે. વડી અદાલતે અગાઉ ચૂકાદો આપેલો છે કે સામૂહિક રીતે હથિયાર જમા ન લેવા.
 
હથિયાર જમા લઈ લીધા બાદ તે પરત આપવામાં પોલીસ મનમાની કરતી હોય છે. દર વર્ષે એક ચૂંટણી હોય છે. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગર પાલિકા, વિધાનસભા અને લોકસભા મળીને દર વર્ષે એક ચૂંટણી હોય છે. આમ વર્ષમાં ચાર ચૂંટણી દરેક વિસ્તારને લાગું પડે છે. તેથી 15 મહિને એક વખત હથિયાર જમા કરાવવા પડે છે. જેમાં 5 મહિના પોલીસ પાસે હથિયાર રહે છે.
 
ત્યારે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે, સ્વરક્ષણ અને પશુ રક્ષણ માટે હથિયાર લીધું હોય તેનો ઉપયોગ નાગરિકો કરી શકતા નથી અને તેથી તેમની સામે સલામતીનો ભય ઊભો થાય છે. સ્વરક્ષાનો ભય ઊભો કરીને ચૂંટણી પંચ પોતે જ વ્યક્તિગત ભયનું વાતાવરણ બનાવે છે.
 
ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ આખાય દેશ કરતાં ઉત્તમ છે
 
પહેલા લોકો સ્વરક્ષણ અને કૃષિ પાક બચાવવા હથિયાર રાખતા હતા. પણ હવે હથિયાર રાખવું એક સ્ટેટ્સ સિમ્બોલ બની ગયુ છે. ગુજરાતમાં સૌથી વધુ પરવાનેદાર હથિયારધારકો મધ્ય ગુજરાતના 8 શહેર અને જિલ્લામાં 14,629થી વધુ છે. હથિયારનું લાયસન્સ મેળવવામાં દાહોદ બાદ વડોદરા શહેર મોખરે છે. ગુજરાતના વડોદરા શહેરમાં 1956 અને જિલ્લામાં 602 સ્વરક્ષણ માટે લોકો હથિયારો રાખે છે.
 
હથિયાર માણસને ડરપોક બનાવે છે. જેમની પાસે હથિયાર હોય છે તેઓ સતત ડરનો સામનો કરવા લાગે છે. તેમની સામેના દુશ્મનો પાસે પરવાનો ધરાવતું સ્વયંસંચાલિત હથિયાર નથી હોતું ત્યારે તે ગેરકાયદે હથિયાર રાખતો થાય છે. આમ પરવાના મળતાં નથી ત્યારે ઉત્તર પ્રદેશની ગેંગો ગુજરાતમાં હથિયાર વેચે છે. રાજકોટ એન્જીનીરીંગનું હબ છે ત્યાં અનેક વખત હથિયારો બનાવતી ફેક્ટરી પકડાઈ છે. સૌરાષ્ટ્રમાં મોટા પાયે ગેરકાયદે હથિયારો છે.
 
ગૃહ વિભાગે જે લાયસંસ આપેલા છે તે માત્ર 10% હથિયારો બતાવે છે. પણ તેમની સામે 90% તો ગેરકાયદે હથિયારો છે. તે ગૃહ વિભાગ ચૂંટણી સમયે ક્યારેય જપ્ત કરાવતું નથી. ખરેખર તો મતદારો પર સૌથી વધું ખતરો હોય તો તે ગેરકાયદે હથિયારો છે. નહીં કે પરવાના ધરાવતાં હથિયાર માલિકો.
 
(દિલીપ પટેલ) 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp