અલ્લુ અર્જૂન-CM રેવંત રેડ્ડીનો ઝઘડો દિવસે ને દિવસે વધી રહ્યો છે, અલ્લુએ કહ્યુ...

PC: facebook.com/AlluArjun

તેલંગાણાના CM રેવંત રેડ્ડીએ આરોપ લગાવ્યો કે, પોલીસની પરવાનગી ન હોવા છતાં તેલુગુ એક્ટર અલ્લુ અર્જૂન થિયેટરમાં પહોંચ્યા જ્યાં પુષ્પા-2 બતાવવામાં આવી રહી હતી. CM રેવંત રેડ્ડીએ આરોપ લગાવ્યો કે, નાસભાગમાં એક મહિલાના મૃત્યુ પછી પણ અભિનેતા સિનેમા હોલમાંથી બહાર નીકળ્યો ન હતો, જેના પગલે પોલીસે તેને બળજબરીથી બહાર કાઢ્યો હતો. એક વીડિયોનો ઉલ્લેખ કરીને CM રેવંત રેડ્ડીએ અલ્લુ અર્જૂન પર ભીડમાં રોડ શો કરવા અને તે દરમિયાન લોકો સાથે હાથ મિલાવવાનો આરોપ લગાવ્યો હતો. આ દરમિયાન અલ્લુ અર્જૂને CM રેવંત રેડ્ડી પર તેના ચરિત્ર પર લાંછન લગાવવાનો આરોપ લગાવ્યો હતો.

4 ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં પુષ્પા-2ની સ્ક્રીનિંગ દરમિયાન અભિનેતાના આગમનને કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેમાં 39 વર્ષીય મહિલાનું મોત થયું હતું. મહિલાનો 8 વર્ષનો પુત્ર હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે. આ મામલામાં અલ્લુ અર્જૂન વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી અને તેને એક રાત જેલમાં પણ વિતાવવી પડી હતી.

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના ધારાસભ્ય અકબરુદ્દીન ઓવૈસીએ વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. ઓવૈસીના સવાલ પર CM રેડ્ડીએ અલ્લુ અર્જૂન પર રોડ શો યોજવાનો અને ભીડ હોવા છતાં ભીડ તરફ હાથ હલાવવાનો આરોપ લગાવ્યો.

રેડ્ડીએ કહ્યું કે, થિયેટર મેનેજમેન્ટે 2 ડિસેમ્બરે પોલીસને પત્ર લખ્યો હતો. જેમાં 4 ડિસેમ્બરે અલ્લુ અર્જૂન અને અન્યના આગમન દરમિયાન સુરક્ષાની માંગ કરવામાં આવી હતી. પોલીસે ભીડ વ્યવસ્થાપનમાં મુશ્કેલીઓનો ઉલ્લેખ કરીને અરજી ફગાવી દીધી હતી. તેમણે કહ્યું કે, થિયેટરમાં પ્રવેશતા અને બહાર નીકળતા પહેલા, અભિનેતાએ કારની સનરૂફની બહાર નીકળી અને ભીડ તરફ હાથ હલાવ્યો, જેના કારણે હજારો ચાહકો તેની એક ઝલક મેળવવા માટે ધક્કા મુક્કી કરવા લાગ્યા હતા.

CM રેવન્ત રેડ્ડીએ ફિલ્મી હસ્તીઓની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, અલ્લુ અર્જૂનની ધરપકડ પછી તે તેને મળવા તેના ઘરે ગયો હતો, પરંતુ ઘટનામાં ઘાયલ હોવા છતાં તેણે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા છોકરાને મળવા માટે સહાનુભૂતિ પણ દર્શાવી ન હતી. તેમણે કહ્યું, 'હું ફિલ્મી હસ્તીઓને અપીલ કરું છું કે તેઓ અમાનવીય વર્તન ન કરે.' CM રેડ્ડીએ એમ પણ કહ્યું કે, નાસભાગમાં મૃત્યુ જેવી અપ્રિય ઘટનાઓના કિસ્સામાં કોઈ વિશેષાધિકાર આપવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે, સરકાર સામાન્ય લોકોને પરેશાન કરનારાઓને છોડશે નહીં.

ટોલીવુડ અભિનેતા અલ્લુ અર્જૂને સંધ્યા થિયેટરમાં જવાનો કે પરવાનગી વિના રોડ શો કરવાનો ઇનકાર કર્યો હતો. તેણે કહ્યું કે, તે તેના ચરિત્ર પર લગાવવામાં આવેલા લાંછનના કારણે દુઃખી છે. તેલંગાણાના CM રેવંત રેડ્ડીએ આપેલા નિવેદનના થોડાક જ કલાકો પછી ભાવુક અલ્લુ અર્જૂને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેણે કહ્યું કે, 'ઘણી બધી ખોટી માહિતીઓ છે, ખોટા આરોપો છે, ઘણી બધી કોમ્યુનિકેશન ગેપ છે. ઘણા બધા ખોટા અર્થઘટન છે. મેં એવું કશું કહ્યું નથી. કૃપા કરીને મારુ ખોટું મૂલ્યાંકન ન કરો. મહેરબાની કરીને મારા ચરિત્ર પર હુમલો ન કરો. હું એવી વ્યક્તિ નથી.'

અલ્લુ અર્જૂને કહ્યું કે તે તેના ચરિત્ર પર લગાવવામાં આવેલા લંછનથી ખૂબ જ અપમાનિત થયાનું અનુભવે છે, પરંતુ તે કોઈ વ્યક્તિ, નેતા કે સરકાર પર આરોપ નથી લગાવી રહ્યો. તેણે આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી અને કહ્યું કે, આમાં કોઈની ભૂલ નથી. તેણે કહ્યું કે, તે 20 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં છે અને તેની વિશ્વસનીયતા સારી છે, પરંતુ તેને રાતોરાત નુકસાન પહોચાડ્યું હોવાનો અફસોસ વ્યક્ત કર્યો.

અલ્લુ અર્જૂને તે વાતને નકારી કાઢી હતી કે, તે પરવાનગી વગર થિયેટર ગયો હતો. અભિનેતાએ કહ્યું કે તે સંપૂર્ણપણે ખોટી માહિતી છે કે, મેં પરવાનગી વિના થિયેટરની મુલાકાત લીધી. જ્યારે હું થિયેટરમાં પહોંચ્યો, ત્યારે પોલીસ ભીડને હટાવી રહી હતી, તેથી તે સ્પષ્ટ હતું કે બધું બરાબર હતું. જો કોઈ પરવાનગી ન હોત, તો તેઓ અમને કહી શક્યા હોત અને હું પાછો નીકળી ગયો હોત. તેણે કોઈ રોડ શો કે રેલી કાઢી હોવાનો ઈન્કાર કર્યો હતો. તેણે કહ્યું કે, તેણે થિયેટરથી થોડાક આગળ જઈને કારને આગળ જવા દેવા માટે ભીડને હટાવવા હાથ બતાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp