ટિકિટ ન મળતા નેતા ચોધાર આંસુએ રડતા-રડતા પોલીસ સ્ટેશન પહોંચ્યા, કહ્યું- 50 લાખ...

PC: hindi.oneindia.com

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી માટે ટિકિટનું લોબિંગ શરૂ થઈ ગયું છે. દરરોજ જુદી જુદી બેઠકો માટે મજબુત દાવેદારોના નામ સામે આવી રહ્યા છે. જ્યારે ભાજપમાં ધારાસભ્યો અને મંત્રીઓના રાજીનામાની પ્રક્રિયા ચાલુ છે, ત્યારે બહુજન સમાજ પાર્ટી (BSP)ની હાલત હાલ તો મજબુત દેખાઈ રહી નથી. કારણ કે BSPની ટિકિટના વેચાણનો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે. હાલમાં સામે આવેલો આ કેસ મુઝફ્ફરનગરના પોલીસ સ્ટેશન કોતવાલી વિસ્તારનો છે, બસપા પ્રભારી અરશદ રાણા ગુરુવારે મોડી સાંજે ઈન્ચાર્જ ઈન્સપેક્ટર આનંદ દેવ મિશ્રાને ફરિયાદ કરતાં જ રડવા લાગ્યા.

ચરથાવલ વિધાનસભા ક્ષેત્રના બસપા પ્રભારી અરશદ રાણા ગુરુવારે મોડી સાંજે પોલીસ સ્ટેશન કોતવાલી પહોંચ્યા હતા. કોતવાલીના ઈન્ચાર્જ ઈન્સપેક્ટર આનંદ દેવ મિશ્રાને ફરિયાદ કરતાં ટિકિટ ન મળ્યાનો વસવસો વ્યક્ત કર્યો હતો. બહુજન સમાજવાદી પાર્ટીના નેતા અરશદ રાણાનું એવું કહેવું છે કે, તા.18 ડિસેમ્બર, 2018ના રોજ, જિલ્લાની વિધાનસભા બેઠકોના પ્રભારીની નિમણૂંક મુઝફ્ફરનગરમાં જિલ્લા કાર્યાલય ખાતે થવાની હતી. આના એક-બે દિવસ પહેલા બસપાના પશ્ચિમ યુપીના પ્રભારી શમશુદ્દીન રેને કહ્યું હતું કે તમે ચારથાવલ વિધાનસભા બેઠક માટે ઉમેદવારની નિમણૂંક કરશો. આ માટે તમારે કેટલાક પૈસા ચૂકવવા પડશે, જેના માટે મેં સંમતિ આપી હતી.

અરશદ રાણાનો હવે એવો આરોપ છે કે આ પછી નક્કી કરેલી તારીખે પાર્ટીના કાર્યાલય પર સહારનપુર ડિવિઝનના મુખ્ય કોર્ડિનેટર નરેશ ગૌતમ, પૂર્વ મંત્રી પ્રેમચંદ ગૌતમ, સત્યપ્રકાશ, કોર્ડિનેટર તથા તત્કાલીન જિલ્લા પ્રમુખ મુઝફ્ફરનગરના સતપાલ કટારિયા વગેરેની હાજરીમાં વર્ષ 2022 માં વિધાનસભાની ચૂંટણી લડાવવા માટે ઉમેદવારની જાહેરાત કરી દેવામાં આવી. આ સાથે એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું કે, તેઓ પોતાના મતવિસ્તારમાં જઈને પોતાનું કામ ચાલું કરે.

 

અરશદ રાણાએ એવું પણ ઉમેર્યું કે, 'વિધાનસભા મતવિસ્તારના ઉમેદવારની નિમણૂંક કરવા માટે રૂ.4 લાખ 50 હજાર રૂપિયા અને પછી રૂ.50 હજાર લેવામાં આવ્યા હતા. એ પછી 15-15 લાખ રૂપિયાના ત્રણ હપ્તા નક્કી થયા હતા. એ પછી થોડા થોડા કરીને રૂ.17 લાખ પશ્ચિમ યુપીના પ્રભારી શમશુદ્દિન રાઈને સતપાલ કટારિયા અને નરેશ ગૌતમની હાજરીમાં લઈ લીધા હતા. તેમણે પૂરી ખાતરી આપી હતી કે, તમે જ ચરથાવલ વિધાનસભા બેઠક પર ઉમેદવાર તરીકે નિયુક્ત થયા છો. પક્ષે તેમની જ પસંદગી કરી છે. તમે તન મનથી પ્રચાર માટે મહેનત કરવાનું શરૂ કરી દો.

હવે જ્યારે ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે ત્યારે મેં બસપાના જિલ્લા અધ્યક્ષ સતીશ કુમારને ચારથાવલ વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડવા માટે પાર્ટી પાસેથી ટિકિટ માંગી તો તેમણે કહ્યું કે તમારે બીજા રૂ.50 લાખની વ્યવસ્થા કરવી પડશે. જેના માટે તમે સંમત થયા હતા, પરંતુ આમ છતાં સલમાન સઈદને ચરથાવલ વિધાનસભાના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. બસપા નેતા અરશદ રાણાની ફરિયાદ પર ઈન્સ્પેક્ટર આનંદ દેવ મિશ્રાએ મામલાની તપાસ કરીને કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે. મીડિયા સાથેની વાતચીત દરમિયાન અરશદ રાણાએ કહ્યું કે જો ન્યાય નહીં મળે તો તે લખનૌમાં બસપા કાર્યાલય જઈને આત્મહત્યા કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp