દિલ્હીના CMએ એવું શું કહ્યું કે હરિયાણાના CM સૈનીએ યમુનાનું પાણી પીધું

PC: instagram.com/atishi.aap/

વિધાનસભા ચૂંટણીઓ વચ્ચે, હરિયાણાના CM નાયબ સિંહ સૈની અને દિલ્હીના CM આતિશી વચ્ચે સોશિયલ મીડિયા પર શાબ્દિક યુદ્ધ શરૂ થયું છે. મુદ્દો પાણીનો છે અને પૂર્વ CM અરવિંદ કેજરીવાલના 'ઝેર'વાળા નિવેદન પછી રાજનીતિક મામલો ગરમ છે. CM આતિશીએ ઇન્સ્ટાગ્રામ પર CM સૈનીને ટેગ કરીને પોસ્ટ કરી હતી, જેમાં તેમણે તેમને પલ્લા ઘાટ પર તેમની સાથે જવા કહ્યું હતું. જોકે, CM સૈની એકલા પલ્લા ગામ પહોંચ્યા અને અહીં તેમણે યમુનાના પાણીથી કોગળા કર્યા અને યમુનાનું પાણી પણ પીધું. તેનો વીડિયો પણ સામે આવ્યો છે.

CM નાયબ સિંહ સૈનીએ CM આતિશીની પોસ્ટનો જવાબ આપતા લખ્યું, 'આપ-દા ના કામચલાઉ CM આતિશી માર્લેના જી, પલ્લા ગામના યમુના કિનારે આપનું સ્વાગત છે. હરિયાણાથી દિલ્હી આવતા પાણીમાં કોઈ ઝેર તો નથી, પણ તમારા લોકોના દિમાગમાં ચોક્કસપણે ઝેર ભરેલું છે.' CM સૈનીએ વધુમાં કહ્યું, 'ક્યારેક પાણીની અછત માટે, ક્યારેક પરાળીના ધુમાડા માટે અને ક્યારેક તમારી બધી નિષ્ફળતાઓ માટે, તમે હંમેશા હરિયાણાના લોકોને દોષ આપતા રહો છો.'

CM નાયબ સિંહ સૈનીએ એમ પણ કહ્યું કે, 'અમે નદીઓને અમારી માતા માનીએ છીએ, તેમની પૂજા કરીએ છીએ, પરંતુ આ દેશમાં કેટલાક લોકો એવા છે જે કહે છે કે, નદીઓમાં ઝેર ભેળવવામાં આવ્યું છે. આ અલગ અલગ વિચારધારા ધરાવતા લોકો છે, તેમની પોતાની વિચારસરણી છે. તેઓને આપણી સંસ્કૃતિ અને મૂલ્યોની પરવા નથી... કેટલાક લોકોએ તો એવું પણ કહી દીધું કે અહીં કોઈ રામ હતા જ નહીં... આપણે આખી દુનિયાને એક માનીએ છીએ, આ અમારો પરિવાર છે, અમે કેવી રીતે અમારા પરિવારના સભ્યોને ઝેર ભેળવેલું પાણી પીવડાવીએ, આ તેમની સંકુચિત વિચારસરણી છે...'

દિલ્હીના CM આતિશીએ તેમની એક પોસ્ટમાં કહ્યું હતું કે, 'CM નાયબ સિંહ સૈની જી: મને ખબર પડી છે કે તમે યમુના નદીના પલ્લા ઘાટ પર જઈ રહ્યા છો. હું વિનંતી કરું છું કે, તમે અને હું સાથે જઈએ, મીડિયા સાથીદારોને પણ સાથે લઈ જઈએ. આપણે બધાની સામે એમોનિયાનું પ્રમાણ માપીશું. બધાને ખબર પડવી જોઈએ કે હરિયાણા દિલ્હીના લોકોને ઝેરી પાણી મોકલી રહ્યું છે.'

દિલ્હી વિધાનસભા ચૂંટણી વચ્ચે, યમુનાના પ્રદૂષણ અને હરિયાણાથી દિલ્હીને પૂરા પાડવામાં આવતા પાણી અંગે વિવાદ ઉભો થયો છે. તાજેતરમાં જ પૂર્વ CM કેજરીવાલે દાવો કર્યો હતો કે, હરિયાણાથી દિલ્હી આવતા પાણીમાં ઝેર ભેળવવામાં આવ્યું છે. જોકે, તેમણે આ દાવા માટે કોઈ પુરાવા રજૂ કર્યા ન હતા. તેમના નિવેદન પછી, આમ આદમી પાર્ટી તરફથી એક સ્પષ્ટતા આવી, જેમાં પાણીમાં રહેલી ગંદકીને જ ઝેર કહેવામાં આવ્યું છે.

BJP અને કોંગ્રેસ બંને અરવિંદ કેજરીવાલના નિવેદન પર ચૂંટણી પંચ પાસે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. BJP તેમના ચૂંટણી પ્રચારને રોકવાની અપીલ કરી રહી છે, તો કોંગ્રેસ પણ તપાસ પછી BJP-આદમી પાર્ટી સામે કાર્યવાહીની માંગ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp