મારી આંખ સામે એક-એક કરીને ઘરના 9 સભ્યોના શબ નીકળ્યા, મુંબઇમાં બિલ્ડિંગ ધરાઇશાઇ

PC: bhaskar.com

ચોમાસાની જોરદાર એન્ટ્રી સાથે જ મુંબઈવાસીઓની મુશ્કેલીઓ વધવા લાગી છે. બુધવારે આખા દિવસે થયેલા વરસાદ બાદ મોડી રાતે મલાડ વેસ્ટના માલવાની વિસ્તારમાં એક 4 માળની ઇમારત ધસી પડી હતી. તેનો કાટમાળ એક ઘર પર પડ્યો અને કુલ 11 લોકોના મોત થઈ ગયા. મૃતકોમાં 43 વર્ષીય મોહમ્મદ રફીના પરિવારના 9 સભ્ય સામેલ હતા. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા 8 લોકોમાંથી 3 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. રફી હવે આ ઘટના બાદ પોતિકાઓની નિશાનીઓ આ કાટમાળમાં શોધી રહ્યો છે.

રફી કહે છે કે રાતે લગભગ 10 વાગ્યે તે દૂધ લેવા માટે બહાર ગયો હતો. થોડા સમય બાદ પરત ફર્યો તો તેને પોતાની આંખો પર ભરોસો ન થયો, પરંતુ કોઇક રીતે હિંમત એકત્ર કરીને કાટમાળ હટાવવાનો પ્રયત્ન શરૂ કરી દીધો. જોકે તેનો આ પ્રયાસ પૂરતો ન રહ્યો અને સવાર થતા થતા તેના પરિવારના 9 લોકોના શવ તેની સામે હતા. રફીના પરિવારના જ 9 લોકોના મોત થયા છે, તેમાં તેની પત્ની, ભાઈ, ભાભી અને તેના 6 બાળકો હતા. રફીનો એક ભત્રીજો તો માત્ર દોઢ વર્ષનો હતો.

ખરાબ હાલતમાં તે આખી રાત ત્યાં જ બેસી રહ્યો અને પોતાની આંખો સામે પોતિકાઓના શવ બહાર કાઢતા જોતો રહ્યો. તેણે જણાવ્યું કે અમને નહોતું લાગ્યું કે આ ઇમારત જર્જરિત થઈ ચૂકી છે, નહીં તો અમે તેને પહેલા જ છોડી દેતા. રફી અને તેનો ભાઈ આખા પરિવાર સાથે ઈમારતના ત્રીજા માળે નાના નાના ત્રણ રૂમમાં રહેતા હતા.

રફીએ ઇમારત અકસ્માતમાં આ નજીકનાઓને ગુમાવ્યા.

  • શફીક મોહમ્મદ સલીમ સિદ્દીકી (ઉંમર 45 વર્ષ)
  • તૌસીફ શફીક સિદ્દીકી (ઉંમર 15 વર્ષ)
  • અલીશા શફીક સિદ્દીકી (ઉંમર 10 વર્ષ)
  • આલિફશા શફીક સિદ્દિકી (ઉંમર 6 વર્ષ)
  • ઈશરત બાનો રફી સિદ્દીકી (ઉંમર 40 વર્ષ)
  • રહિશા બાનો શફીક સિદ્દીકી (ઉંમર 40 વર્ષ)
  • તાહિસ શફીક સિદ્દીકી (ઉંમર 12 વર્ષ)
  • જોન ઇર્રાનન્ન (ઉંમર 13 વર્ષ)

આ ઇમારતમાં 3-4 પરિવાર રહેતા હતા. જોકે 2 પરિવાર થોડા દિવસો પહેલા જ અહીંથી બીજી જગ્યાએ જતા રહ્યા હતા. એક રિપોર્ટ મુજબ અબ્દુલ હમીદ રોડ પર ન્યૂ કમ્પાઉન્ડમાં બનેલી આ ઇમારત બુધવારે થયેલા વરસાદ પહેલા તાઉતે વાવાઝોડા દરમિયાન જ નબળી થઈ ગઈ હતી. BMCની ટીમે થોડા દિવસ પહેલા સેકડો ઈમારતોનું સ્ટ્રક્ચરલ ઓડિટ કરીને 21 ઇમારતોને ખતરનાક જાહેર કરી હતી. જોકે લિસ્ટમાં આ ઇમારત નહોતી. તેની ઓડિટ પણ થઈ હોત તો આ મોટો અકસ્માત ટળી ગયો હોત.

ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા રામ કદમ આ અકસ્માત માટે શિવસેનાને જવાબદાર બતાવી રહ્યા છે. તેઓ કહે છે કે આ દુર્ઘટના શિવસેના શાસિત BMCની બેદરકારીના કારણે થઈ. આ અકસ્માત નહીં હત્યા છે. અકસ્માત બાદ પીડિતોને મરહમ લગાવવા માટે સરકારે 5-5 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ પુત્ર સાથે મુંબઈની શતાબ્દી હૉસ્પિટલમાં ઇજાગ્રસ્તોની પરિસ્થિતિ જાણવા પહોંચ્યા, જ્યાં રડતા, વલોપાત કરતા ઇજાગ્રસ્તોએ પોતાની હાલત જણાવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp