ડૉ. તોગડિયાએ VHP-RSSથી છેડો ફાડ્યો, ભાજપને જીતાડવાનું રાજકારણ તો નથી ને?

PC: khabarchhe.com

શું પ્રવિણ તોગડિયા કેશુભાઈ પટેલના માર્ગે ભાજપને મદદ કરવા આગળ વધી રહ્યાં છે ? તેમણે આપેલા નિવેદનમાંથી આવી શંકા ઊભી થઈ શકે છે. તેમણે અમદાવાદ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલય બહાર અન્ન ઉપવાસ શરૂ કર્યા છે. જેમાં વિશ્વ હિન્દુ પરિષદનું બેનર નથી. તેઓ હિન્દુ હી આગે એવા બેનર હેઠળ આગળ વધી રહ્યાં છે. તેમનો નિવેદનો કહી જાય છે કે સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદથી છેડો ફાડી નાંખ્યો છે. તેઓ કહે છે કે મને વિશ્વ હિન્દુ પરિષદમાંથી ધક્કા મારીને હાંકી કાઢવામાં આવ્યો છે. તેમને મળવા માટે હજારો કાર્યકરો આવી રહ્યાં છે.

સમગ્ર ગુજરાતમાંથી તેમના ટેકામાં 10,000 થી વધારે કાર્યકરોએ રાજીનામાં આવી દીધા છે. તેઓ 50 વર્ષથી સંઘ અને 32 વર્ષથી વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયેલાં ફાયબ્રંડ નેતા હતા. જે રીતે કેશુભાઈ પટેલ ગુજરાતમાં લોકપ્રિય હતા અને ચૂંટણી પહેલાં નરેન્દ્ર મોદીથી વિરૂદ્ધ જઈને ભાજપને ફરીથી ગુજરાતમાં સરકાર બનાવવા માટે મદદ કરી હતી. એવી મદદ ગોરધન ઝફિયા અને હાર્દિક પટેલે પણ કરી હતી. હાર્દિક પટેલે 24 ધારાસભ્યોને ટિકિટ કોંગ્રેસમાંથી અપાવી હતી જેમાંથી પાંચ ધારાસભ્યો ચૂંટાયા છે. બાકીના હારી ગયા છે. 19 ધારાસભ્યો ભાજપને જીતાડવા માટે ખપી ગયા છે. હવે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપ વિરોધી મત તોગડિયા અને તેની ટીમ તરફે જાય એવો ઘાટ સર્જાશે તો સમજી લેવું કે આ ચાલ અગાઉની જેમ RSSની છે અને તોગડિયા જે કંઈ કરી રહ્યાં છે તે તેમના ઈશારે કરી રહ્યાં છે. જો તોગડિયા રાજકીય ચાલ ચાલશે તો તે નક્કી માની લેવામાં આવેશે કે ભાજપને ફરીથી જીતાડવા માટે તેઓ રાજકીય દાવ ખેલી રહ્યાં છે.

શું છે તોગડિયાના યુ ટર્નનાં મુદ્દા?

  • કાયદાથી અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવવામાં આવે
  • ગૌવંશ હત્યાબંધીનો રાષ્ટ્રીય કાયદો બનાવવામાં આવે
  • કાશ્મીરમાં શાંતિ લાવવા કેન્દ્ર પગલાં ભરે
  • કાશ્મીરમાં બંધારણની કલમ 370 દૂર કરવી
  • સમાન નાગરિક સંહિતા કાયદો બનાવવામાં આવે
  • બાંગલા દેશના ઘુસણખોરોને દેશ બહાર હાંકી કાઢવામાં આવે
  • ખેડૂતોને કરજ મુક્તિ આપવામાં આવે
  • ખેડૂતોને ઉત્પાદન ખર્ચથી દોઢ ગણી કિંમત આપવામાં આવે
  • સ્વામીનાથન આયોગ લાગુ કરીને ખેડૂતોને માટે કામ કરવામાં આવે
  • મજૂરોના હિતોની રક્ષા કરીને વિરોધી કાયદા સુધારવામાં આવે
  • મહિલાઓની સુરક્ષા કરવામાં આવે
  • ગુણવત્તા યુક્ત સસ્તુ શિક્ષણ દરેકને મળે
  • યુવાનોને રોજગારી મળી રહે
  • સીમા પર કાયમી શાંતિ
  • અચ્છે દીન લાવો

આ વચનો ભાજપ અને સંઘે વારંવાર આપવામાં આવ્યા છે. ભાજપ પાસે પૂર્ણ બહુમતી હોવા છતાં તેનો અમલ કર્યો નથી. એવા આ 16 મુદ્દાઓ હવે તોગડિયા આગળ કરી રહ્યાં છે. તે તમામ મુદ્દા એવા છે કે 2019ની ચૂંટણીમાં ભાજપની બેઠકો ઘટાડવા માટે પૂરતાં છે. તેથી ભાજપથી નારાજ થઈને મતદાર કોંગ્રેસ કે બીજા પક્ષ તરફ મતદાન કરી શકે છે. તે મત તેમની તરફ ન જાય અને ત્રીજા મોરચા તરફ વળે એવા પ્રયાસો થાય તો જ ભાજપ ફરી સત્તા પર આવે તેમ છે. જો તોગડીયા સહેજ પણ આવી હીલચાલ ભવિષ્યમાં કરે તો સમજી લેવું કે આ ચાલ સંઘની છે.

તોગડીયાએ જાહેર કર્યું છે કે, આ 16 વચનો ભાજપે જ આપેલાં છે. હવે ચાર વર્ષ પછી દેશમાં લોકો સમજી ગયા છે કે, જે ચૂંટણી લક્ષી રાજકીય વચનો હતા. વિચારધારાના વચનો ન હતા. હવે સમય આવ્યો છે કે ઉપરના તમામ વચનોનો અમલ થાય. લોકો કેન્દ્રની સરકારથી વાજ આવી ગયા છે. નોટબંધી, પેટ્રોલ ડિઝલનો ભાવ વધારો, ગૌરક્ષકોને ગુંડા કહેનારાઓથી લોકો વાજ આવી ગયા છે. વડાપ્રધાન વિદેશ ફરી રહ્યાં છે. પાકિસ્તાનીઓને ગળે લગાવી રહ્યા છે. લોકોને શાંતિ અને પ્રગતિ જોઈએ છે. લોકો દુઃખી અને આક્રોશિત છે. છેતરાયાની લાગણી અનુભવે છે.

16 મુદ્દા એ મારા વ્યક્તિગત માંગણી નથી. ઘણાંની માંગણી છે. લાખો લોકોએ આ માંગણી માટે પોતાનું જીવન આપી દીધું છે. કોઈ શોબાજી માટે મેં અન્ન ત્યાગ કર્યો નથી. હું મહાત્મા ગાંધી કે અન્ના હજારે જેવો મોટો માણસ નથી સામાન્ય હિન્દુ છું. ગરીબ ખેડૂત પરિવારમાંથી હું 9-10 વર્ષે સંઘમાં જોડાયો હતો. પરિવર્તન માટે હિન્દુ સંગઠનમાં જોડાયો હતો. તે લોકોના સહારે ભાજપને સત્તા મળી છે અને હવે તે વિચારધારાને છોડી રહ્યાં છે. કરોડો લોકો સાથે વચન ભંગ કર્યો છે. તેથી સત્ય, ધર્મ અને દેશની રક્ષા માટે બધા આગળ આવો. લોકતાંત્રિક રીતે માંગ રાખી છે. બધા મળીને શાંતિ પૂર્વક પરિવર્નલ લાવીએ.

અહીં તેઓ સ્પષ્ટ રીતે કહે છે કે તે સરકાર બદલવા માંગે છે. આવું કેશુભાઈ, ગોરધનભાઈ, હાર્દિક પટેલ અને હવે ડો.પ્રવિણ પટેલ (તોલડીયા) કરી રહ્યાં છે. તે આગળ કહે છે કે, રાજનીતિ અને સમાજનીતિનો એક બીજા સાથે બગડેલો સંબંધ ફરીથી બાંધીએ. હવે “હિન્દુ જ આગળ”ના માધ્યમથી બધાને પોતાનો વિચાર રાખવાનો અને રાષ્ટ્ર કલ્યાણ માટે કાર્ય કરવાનો અવસર મળશે. હું બધાને આહવાન કરું છું કે, કોલતાંત્રિક રીતે કાર્ય કરતાં રહી માંગ રાખી છે તે દેશની જનતાની માંગ છે. દમનથી ભરેલી સરકાર છે. તાનાશાહી છે. હિનદુ જ આગળના બેનર હેઠળ હજારો કાર્યકર્તાઓએ ગુજરાત રાજ્યમાં અને દેશમાં પોતાનું સમાજ કાર્ય શરૂ કર્યું છે. આગળ રાષ્ટ્ર સેવા અને હિન્દુ હિત માટે કામ કરશે.

ભાજપને ગુજરાત કે દેશમાં એક બેઠક ઓછી થાય તે પરવડે તેમ નથી. તેથી અગાઉની જેમ ફરી એક વખત રાજકીય દોરી સંચાર થાય છે કે કેમ તે હવે આવનારા દિવસો કહી જશે. અગાઉ બે મહિના પહેલાં VHPની ચૂંટણી થઈ હતી તો ફરીથી RSS દ્વારા કેમ ચૂંટણી કરવામાં આવી તેનો ઉત્તર કોઈ આપતું નથી. પણ એક વાત નક્કી છે કે ડો.તોગડિયા હવે રાજકીય અને સામાજિક આંદોલન તરફ જઈ રહ્યાં છે. તેઓ જો રાજકીય રીતે આગળ વધશે તો એક વાત પાકી થશે કે અગાઉ જે પ્રયોગ થયા અને તેનાથી ભાજપને ફાયદો થયો તેવો જ ફાયદો ડો.તોગડિયાથી થઈ શકે છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp