રાજસ્થાનના ગામોમાં મોટાભાગના ઘરોની બહાર ફરકી રહ્યા છે સફેદ ઝંડા, જાણો તેનો મતલબ

PC: granthshala.in

રાજસ્થાનનું એક એવુ ગામ જ્યાં 70 વર્ષમાં ગામની 65% આબાદી શાકાહારી થઈ ગઈ. માંસાહાર તો દૂર પરંતુ અહીં રહેતા લોકોએ દારૂ પીવાનું પણ છોડી દીધુ. રાજસ્થાનના બાંસવાડામાં આનંદપુરી, ઘાટોલ, દાનપુર, કુશલગઢ ઉપરાંત છોટી સરવન જેવા વિસ્તારોમાં રહેતા આદિવાસી પરિવારના લોકો પોતે તો શાકાહારી બન્યા છે, સાથે જ અન્ય લોકોને પણ પ્રેરિત કરી રહ્યા છે. આદિવાસી વસતી ધરાવતા આ ગામોમાં અલગ-અલગ પંથોને માનનારા લોકો રહે છે. ગામના શાકાહારી પરિવાર પોતાના ઘરોની છત પર સફેદ ઝંડા લગાવે છે. આ ઝંડા એ વાતની નિશાની હોય છે કે, આ પરિવાર શાકાહારી છે. કેટલાક લોકો અન્ય કલરના ઝંડા પણ લગાવે છે, પરંતુ મોટાભાગના ઘરોમાં સફેદ ઝંડા જ જોવા મળે છે.

ઘાટોલના ઠીકરિયા ચંદ્રાવતમાં રહેતા બદામીલાલ કોઠવાલે જણાવ્યું કે, તેમના સંબંધીઓમાં આજે પણ માંસાહારનું ચલણ છે, પરંતુ 20 વર્ષ પહેલા એક સંત્સંગ મંડળીના સંપર્કમાં આવ્યા બાદ તેમણે માંસાહાર છોડી દીધુ. તેમણે પોતાના ઘરમાં સફેદ ઝંડો લગાવી રાખ્યો છે. અન્ય એક વ્યક્તિએ કહ્યું કે, તે તો જન્મથી જ શાકાહારી છે. તેમનો પરિવાર ભક્તિ કરે છે અને ધર્મ ગુરુના નિર્દેશમાં રહે છે. અન્ય એક વ્યક્તિએ કહ્યું કે, આ વિસ્તારમાં પહેલા લીલા શાકભાજી થતા નહોતા. ત્યારે લોકો મજબૂરીમાં માંસાહાર કરતા હતા, પરંતુ હવે તેમનો પરિવાર આ બુરાઈઓથી દૂર છે. તેઓ સવારે ઉઠીને ભગવાન શ્રીરામની પૂજા કરે છે અને નિત્ય કર્મ પૂર્ણ કર્યા બાદ જ ભોજન લે છે.

રામ અને કૃષ્ણ પંથ તો આ ક્ષેત્ર માટે જૂના છે. આશરે 350 વર્ષથી માવ પંથી વાગડના બેણેશ્વર ધામ સાથે સંકળાયેલા છે. તેમની ઘણી પેઢીઓ આજ સુધી માંસ અને દારૂથી દૂર છે. આશરે 70 વર્ષ પહેલા ઉત્તર ભારતથી મામા બાલેશ્વર દયાલ (પંડિત) અહીં છોટી સરવન તરફ આવ્યા હતા. તેમણે લોકોમાં ધાર્મિક ભાવનાઓને જાગૃત કરી. સત્સંગ અને પૂજા-પાઠ શીખવ્યા. ત્યારબાદ ઘણા પરિવાર આદર્શ તરીકે તેમના ફોલોઅર બનતા ગયા. હવે અહીં રામ નામી પંથ, કૃષ્ણ પંથ, માવ પંથ, કબીર પંથ અને દાદ ભક્તિ જેવા પંથો સાથે જોડાઈને બદલાયેલા પરિવાર તેમના મકાનોની બહાર સફેદ ઝંડો લગાવે છે.

ઘણી જગ્યાઓ પર તો બીજી પેઢીએ પણ જન્મથી જ આવા નિયમોને અપનાવી લીધા છે. ગ્રામીણ વિસ્તારોમાં ઝંડાની વધતી સંખ્યાની સાથે આદિવાસી સમુદાયોનું ધ્યાન સત્સંગ અને ધાર્મિકતા તરફ પણ વધી ગયુ છે. છોટી સરવન, દાનપુર, ઘાટોલ, કુશલગઢ, આનંદપુરી જેવા વિસ્તારોમાં પંથોને માનનારા લોકોની સંખ્યા વધુ છે. સાધુ-સંતોના જણાવ્યા અનુસાર, સફેદ કપડું શાંતિનું પ્રતીક છે. મોટાભાગના આદિવાસી પરિવાર રામ પંથી થઈને પણ ઘરોની બહાર સફેદ ધ્વજ લગાવે છે. તેમના વિચારથી કેરસિયો ધ્વજ લગાવવાથી તેઓ રાજકારણનો શિકાર થઈ જશે.

ભારત માતા મંદિરના રામસ્વરૂપ મહારાજના જણાવ્યા અનુસાર, બાંસવાડામાં અલગ-અલગ પંથોને માનનારાઓની સંખ્યા પહેલા કરતા વધી છે. પંથોના માધ્યમથી આદિવાસી પરિવારોમાં સુધારો આવી રહ્યો છે. આ પરિવાર વિકસિત પણ થયા છે. તેમનું સામાજિક અને આર્થિક સ્તર પણ વધ્યુ છે. સફેદ રંગ શાંતિથી જીવવાની રાહ બતાવે છે. આથી, આ રંગનો ઉપયોગ કરનારાઓની સંખ્યા વધુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp