ઉપરાષ્ટ્રપતિને તેમના પદ માટે નથી મળતો કોઈ પગાર! પણ મહિને 4 લાખ રૂપિયા...

PC: india.com

ભારતના વર્તમાન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનો કાર્યકાળ 10 ઓગસ્ટે સમાપ્ત થઈ રહ્યો છે. આ પહેલા 6 ઓગસ્ટના રોજ દેશમાં નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ રહી છે. આજે દેશને નવા ઉપરાષ્ટ્રપતિ મળશે. ઉપરાષ્ટ્રપતિ પદ માટે NDA તરફથી પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખરને ઉમેદવાર બનાવામાં આવ્યા છે. જ્યારે વિપક્ષે માર્ગરેટ અલ્વા પર દાવ રમ્યો છે. દેશના બીજા મોટા બંધારણીય પદ માટે નૉમિનેશન 19 જુલાઈ સુધીમાં નોંધાવવામાં આવ્યા હતા. આજે ચૂંટણી બાદ મોડી રાત સુધીમાં પરિણામ જાહેર થઈ જશે. પરંતુ તે પહેલા શું તમે જાણો છો કે, ભારતના ઉપરાષ્ટ્રપતિને કેટલો પગાર મળે છે ? આ સિવાય બીજી કઈ-કઈ સરકારી સેવાઓ મળે છે?

અધ્યક્ષ તરીકે મળે છે પગાર

અહીં તમને જણાવી દઈએ કે, ભારતના ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના અધ્યક્ષ પણ હોય છે. આ પદ માટે, તેમને 'સંસદ અધિકારીઓના પગાર અને ભથ્થાના અધિનિયમન, 1953' હેઠળ પગાર ચૂકવવાની જોગવાઈ છે. ઉપરાષ્ટ્રપતિ પદ માટે અલગથી કોઈ પગાર મળતો નથી. રાજ્યસભાના અધ્યક્ષ તરીકે તેમને પગાર અને અન્ય સરકારી સુવિધાઓ મળે છે. જેના માટે ઉપરાષ્ટ્રપતિને દર મહિને 4 લાખ રૂપિયા પગાર મળે છે. આ સિવાય તેમને અન્ય ઘણા પ્રકારના ભથ્થા પણ મળે છે. ઉપરાષ્ટ્રપતિને દૈનિક ભથ્થુ, તબીબી, મફત આવાસ, પ્રવાસ અને અન્ય સુવિધાઓનો લાભ મળે છે.

રાષ્ટ્રપતિની સુવિધાઓ પણ મળે છે

રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં ઉપરાષ્ટ્રપતિ તમામ જવાબદારીઓને નિભાવે છે, અને ત્યારે તેમને રાષ્ટ્રપતિનો પગાર અને સરકારી સુવિધાઓ મળે છે. આ દરમિયાન ઉપરાષ્ટ્રપતિને રાષ્ટ્રપતિ જેટલો જ પગાર મળે છે. આ સિવાય ઉપરાષ્ટ્રપતિને સરકારી સ્ટાફ પણ આપવામાં આવે છે. જ્યારે, ઉપરાષ્ટ્રપતિ માટે પેન્શન પગારના 50% છે.

કોણ લડી શકે છે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી 35 વર્ષની ઉંમર પૂર્ણ કરનાર કોઈપણ વ્યક્તિ લડી શકે છે. ઉમેદવારે ઓછામાં ઓછા 20 સંસદ સભ્યોને પ્રસ્તાવક અને ઓછામાં ઓછા 20 સંસદ સભ્યોને સમર્થક તરીકે નોમિનેટ કરવાના હોય છે. ઉમેદવાર સંસદના કોઈ સદન અથવા રાજ્ય વિધાનસભાના સભ્ય ન હોવા જોઈએ.

જો કોઈ સંસદ સભ્ય ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માંગે છે તો તેને સદનના સભ્યપદ પરથી રાજીનામું આપવું પડશે. ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનનારે 15,000 રૂપિયાની સિક્યોરિટી ડિપોઝીટ પણ જમા કરાવવાની હોય છે.

રાષ્ટ્રપતિની ચૂંટણીથી કેટલી અલગ છે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી ?

અહીં તમને જણાવી દઈએ કે, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદના બંને સદનના સભ્યો મત આપે છે. બંને સદનના નામાંકિત સાંસદો પણ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરી શકે છે. આ રીતે, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં બંને સદનોના 790 સભ્યો ભાગ લે છે. જેમાં રાજ્યસભામાં કુલ 245 અને લોકસભાના 545 સાંસદો મત આપે છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંસદના બંને સદનોના સભ્યોથી મળીને બનેલા ચૂંટણી જૂથ એટલે કે, ઈલેક્ટોરલ કોલેજ દ્વારા કરવામાં આવે છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પ્રમાણસર પ્રતિનિધિત્વ પદ્ધતિથી થાય છે. એટલે કે, ચૂંટણીમાં મતદારો પ્રાથમિકતાના આધાર પર મત આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp