MLA બાદ હવે 8-9 MP નારાજ, કાયદાની રીતે પાર્ટી નહીં માત્ર ઉદ્ધવનો છોડી શકે છે સાથ

PC: Indiatimes.com

ઉદ્ધવ સરકારમાં મંત્રી એકનાથ શિંદેના બળવા બાદ શિવસેના હવે પતનના આરે ઉભી છે. જનતા માટે ભાવનાત્મક સંદેશ જારી કરીને, CM ઉદ્ધવ ઠાકરે હવે તેમના સત્તાવાર નિવાસસ્થાન એટલે કે વર્ષા બંગલા પરથી તેમનો તમામ સામાન સમેટીને માતોશ્રી પહોંચ્યા છે. દરમિયાન એવી માહિતી સામે આવી રહી છે કે, ધારાસભ્યોની જેમ શિવસેનાના 19 સાંસદોમાંથી લગભગ 8-9 સાંસદો પણ ઉદ્ધવનો સાથ છોડી શકે છે. જોકે, પક્ષપલટા વિરોધી કાયદાને કારણે શિવસેનામાં રહેવું તેમની મજબૂરી હશે.

CM ઉદ્ધવના નજીકના એક વરિષ્ઠ પત્રકારે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, આમાંના મોટાભાગના સાંસદો કોંકણ, મરાઠવાડા અને ઉત્તર મહારાષ્ટ્રના છે. જેમાં વાશિમના શિવસેના સાંસદ ભાવના ગવળીનું નામ સૌથી મોખરે હોવાનું કહેવાય છે. તેમણે એકનાથ શિંદેના સમર્થનમાં પત્ર લખીને ઉદ્ધવને બળવાખોર ધારાસભ્યોની માંગ પર વિચાર કરવા અને આ નેતાઓ સામે કાર્યવાહી ન કરવા અપીલ કરી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓ સત્તા પરિવર્તનની રાહ જોઈ રહ્યા છે અને શિંદેને શિવસેનાની સંપૂર્ણ કમાન્ડ મળતા જ તેઓ ઉદ્ધવથી અલગ થઈ જશે. આ સિવાય કેટલાક અન્ય નામો છે જે આજે સામે આવી શકે છે. એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદે, થાણે લોકસભા સાંસદ રાજન વિચારે અને નાગપુરના રામટેકના સાંસદ કૃપાલ તુમાને પણ પાર્ટીથી નારાજ છે.

શિવસેનાના સાંસદ ભાવના ગવલીએ પોતાના પત્રમાં લખ્યું છે કે, હિંદુત્વના પક્ષમાં બળવાખોર ધારાસભ્યોની માંગ પર વિચાર કરવો જોઈએ. તેમણે CMને બળવાખોર ધારાસભ્યો સામે કાર્યવાહી ન કરવા પણ અપીલ કરી છે. જોકે, ઉદ્ધવ સમર્થિત નેતાઓનું કહેવું છે કે, ભાવના વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસની તપાસ ચાલી રહી છે. ED દ્વારા તેમને ત્રણ વખત સમન્સ પાઠવવામાં આવ્યા છે. મહિલા પ્રતિષ્ઠાન ટ્રસ્ટમાં ગવલી સામે મની લોન્ડરિંગ કેસની તપાસ ચાલી રહી છે. આ ટ્રસ્ટમાં મની લોન્ડરિંગનો મામલો ઘણો જૂનો છે.

અન્ય કેટલાકમાં થાણેના સાંસદ અને એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદેનું નામ સામેલ છે. તેમની સાથે મરાઠાવાડાના કેટલાક સાંસદો પણ ઉદ્ધવના નિર્ણયોથી નારાજ છે. તેમનું કહેવું છે કે, લોકસભામાં 19 સાંસદો સાથે મજબૂત સ્થિતિમાં ઊભા રહેવા છતાં ઉદ્ધવ માત્ર મુંબઈ સુધી જ સીમિત છે અને ઘણી વખત કહેવા છતાં તેમની સાથે જોડાયેલા કાર્યકરોની સતત પાર્ટીમાં ઉપેક્ષા થઈ રહી છે.

પક્ષપલટા એક વિરોધી કાયદો છે, જે ધારાસભ્યો અથવા સાંસદોને પક્ષ બદલવાથી અટકાવે છે. વાસ્તવમાં, જો કોઈ ધારાસભ્ય ચૂંટણી પહેલા પક્ષ બદલે છે, તો તેમાં કોઈ વાંધો નથી, પરંતુ જો તે કોઈપણ એક પક્ષમાંથી જીત્યા પછી આમ કરે છે, તો તેણે પહેલા લોકસભામાંથી રાજીનામું આપવું પડશે અને તેની બેઠક પર ફરીથી ચૂંટણી થશે.

આ કાયદામાં એવી જોગવાઈ પણ છે, જે અંતર્ગત જો પાર્ટીના 2/3 સાંસદો એક જ સમયે પાર્ટી છોડી દે, તો તેમને રાજીનામું આપવાની જરૂર રહેશે નહીં અને તેમની બેઠકો પર ચૂંટણી યોજાશે નહીં અને આ દરમિયાન તેઓ જે પણ પક્ષને સમર્થન આપશે, તેમની સરકાર કોઈપણ મુશ્કેલી વિના સત્તામાં આવશે. જોકે, સાંસદોની સ્થિતિ મહારાષ્ટ્ર વિધાનસભાને અસર કરશે નહીં.

રાષ્ટ્રપતિની ચૂંટણી 2022માં, જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ગેરહાજરીને કારણે દરેક સાંસદના મતનું મૂલ્ય ઘટીને 700 થઈ ગયું છે. આવી સ્થિતિમાં જો શિંદે જૂથ પાસે વધુ સાંસદો હોય અને તેઓ શિવસેનાના વાસ્તવિક અનુગામી બને તો વિપક્ષે નુકસાન વેઠવું પડી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp