BSPના નેહા જયસ્વાલે ભૈયાજીની લારી પર પાણીપુરી ખાધી, BJP-કોંગ્રેસ કેમ આવું ન કરે?

PC: Khabarchhe.com

ભાજપ સરકારની નિષ્ફળતાથી ગુજરાત પ્રાંતવાદના કારણે મહારાષ્ટ્રની જેમ સમગ્ર દેશમાં બદનામ થઈ ગયું છે પણ ગુજરાતના નાના શહેર છોટા ઉદેપુરમાં કોંગ્રેસ કે ભાજપના નેતાઓને પડકાર ફેંકીને પરપ્રાંતિય વેપારીઓની લારીઓ પર જઈને પાણીપુરીનો સ્વાદ માણવાની સાથે ગભરાયેલા લોકોને ગુજરાતની સંસ્કૃતિનો સ્વાદ ચખાડનાર નગરપાલિકાના પ્રમુખ નેહાબેન જયસ્વાલ છે. જેઓ માયાવતીના બહુજન સમાજ પક્ષના છે. આવું કામ સમગ્ર ગુજરાતમાં ભાજપના એક પણ નેતાએ કર્યું નથી કે કોંગ્રેસના એક પણ નેતાએ આ રીતે કામ કર્યું નથી પણ એક મહિલા રાજકારણીએ એ કરી બતાવ્યું છે.

ગુજરાતમાં ચાલી પ્રાંતવાદ ભડકી ઉઠ્યો છે. આદિવાસી વિસ્તાર છોટા ઉદેપુર નગરમાં રહેતા પરપ્રાંતિયોમાં ભયનો માહોલ હતો અને તેને લઈ તેઓ પોતાના કામ ધંધા બંધ કરી ઘરે જવાની તૈયારી કરી રહ્યાં હતા. જે નેહા જયસ્વાલથી જોવાયું નહીં. પાલિકા પ્રમુખ નેહાબેન જયસ્વાલે પરપ્રાંતિયો સાથે વાતચીત કરી તેઓને એક ભરોસો આપ્યો અને ફરી તેઓને પોતાના કામ ઉપર જવા રાજી કર્યા હતા. પોતે તેમની સાથે રહી ધંધા રોજગાર શરૂ કરાવ્યા હતા. જેથી નગરમાં ફરી પાણીપુરી, ભેલપુરી સહિતની ફાસ્ટફૂડની લારીઓ ધમધમતી થઈ છે.

છોટા ઉદેપુરમાં કોમી એખલાસનો માહોલ

છોટા ઉદેપુરમાં મહિલાઓમાં ગૌરીવ્રતમાં હાથમાં મહેંદી મૂકવાની પરંપરા છે. મુસ્લિમ યુવતીઓએ ગૌરીવ્રત કરનારી યુવતિઓને સરદાર પાર્કમાં આવી મહેંદી મૂકી આપી હતી. કોમી એકતા માટે કામ કરનારને નેહા જયસ્વાલે નિઝામુદ્દીન બાવાની હાજરીમાં ઈનામ આપવાનું નક્કી કરી સારી મહેંદી મૂકરાને ઈનામો આપ્યા હતા.

બહાદુર મહિલાઓ સાથે ઊભા રહ્યાં

ઓરસંગ નદીમાં રાતના સમયે લાખો રૂપિયાની રેતી ચોરી કરનારાઓને સ્થાનિક મહિલાઓએ પડકાર આપવાનું નક્કી કર્યું ત્યારે નગરપાલિકાના પ્રમુખ નેહા જયસ્વાલ પણ આ બહાદુર મહિલાઓની સાથે ઊભા રહ્યાં હતા. આમ તેઓ પ્રજાની સાથે આ રીતે કાયમ ઊભા રહે છે. જો બહુજન સમાજના એક નેતા આવું કરી શકતા હોય તો પછી અમદાવાદના ભાજપના મેયર કે મુખ્ય પ્રધાન કે પક્ષી વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણી કેમ આવું ન કરી શકે?

જેને 25 વર્ષથી કોઈ હરાવી શક્યું નથી, પણ માર મારી શકાયો છે

26 ફેબ્રુઆરી, 2018મા છોટા ઉદેપુર નગર પાલિકાના કુલ 28 સભ્યોમાંથી બહુજન સમાજ પાર્ટીના નેહાબેન નરેનભાઇ જયસ્વાલ અને ઉપપ્રમુખ તરીકે ઝાકીર દડી બીનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. છેલ્લા 25 વર્ષથી નેહા જયસ્વાલ કુટુંબને કોઈ હરાવી શકયું નથી. તેથી તેમની સામે ખોટા કેસ કરવાનું કામ ભાજપે કર્યું છે. નેહા જયસ્વાલના પતિ નરેન જયસ્વાલ કે જેઓ BSPના શહેર પ્રમુખ છે અને નગરપાલિકાના સભ્ય પણ છે. પાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બન્નેને હરાવીને આપી BSPને સત્તા અપાવી હતી. ભાજપાના કાર્યકર વિમલ દરજી દ્વારા તેમના જાતિના દાખલાનો વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. ભાજપનો આરોપ ખોટો નીકળ્યો હતો. ભાજપા દિનેશ ઉપાધ્યાય ઉર્ફે દિનેશ બાપુ વચ્ચે બોલાચાલી અને મારામારી થઈ હતી. છોટા ઉદેપુર નગર પાલિકા પ્રમુખ નેહા જયસ્વાલના પરિવાર અને તેઓના રાજકીય વિરોધી એવા ભાજપના દિનેશ ઉપાધ્યાય ઉર્ફે બાપુએ હુમલો કર્યો હતો. જેમાં પાલિકા પ્રમુખના બન્ને પુત્રોને ઇજાઓ થઈ હતી. તેમની પર તલવાર, છરી અને લોખંડના સળીયા વડે હુમલો કરવામા આવ્યો હતો. સોનાની ચેન લૂંટી લેવાઈ હતી. સામે પક્ષે દિનેશ બાપુની પુત્રવધુએ સામે ફરિયાદ કરી હતી.

દારૂના અડ્ડા માટે જિલ્લા પોલીસ વડા અને કલેક્ટર સામે બાથ ભીડી

ગણેશોત્સવ અને મહોરમના તહેવારોમાં શાંતિ સમિતિની બેઠક પોલીસ અને કલેક્ટર કચેરી દ્વારા બોલાવવામાં આવી હતી ત્યારે પણ નેહા જયસ્વાલ લોક કલ્યાણ માટે જિલ્લા કલેક્ટર સુજય મયાત્રા અને જિલ્લા પોલીસ વડા એમ. એસ. ભાભોર સામે બાથ ભીડી હતી. તેમણે પડકાર ફેંક્યો હતો કે છોટા ઉદેપુરમાં દારૂના અડ્ડા ચાલે છે તે બંધ કારાવી દો તો શાંતિ જ સ્થપાશે. આવા અડ્ડા ચાલે છે. તે કેમ બંધ થતાં નથી. ત્યારે પોલીસ વડાએ કહેવું પડ્યું હતું કે અડ્ડા બંધ થશે. બંધ થયા પણ ખરા.

આમ બહુજન સમાજ પક્ષના એક મહિલા પ્રમુખ જો આટલી રાજકીય અને પ્રજાકલ્યાણની કુનેહ બતાવી શકતા હોય તો ભાજપ અને કોંગ્રેસ વર્ષોથી ગુજરાતમાં સત્તા ભોગવતાં આવ્યા છે તે કેમ ન કરી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp