આ વિધાનસભા સીટ માટે શું જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપ સાથે પણ ટક્કર લેશે?

PC: businesstoday.in

રાજકારણમાં, સિંધિયા પરિવાર માટે એક વાત જગજાહેર છે કે તેમણે તેમના સમર્થકોના અધિકાર માટે ક્યારેય કોઈની સાથે સમાધાન કર્યું નથી. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર બનાવીને ભાજપનું  દિલ તો જીતી લીધું છે, પરંતુ તેમના માટે પરીક્ષાનો સમય આવવાનો બાકી છે. વિધાનસભા ચૂંટણીની ઉલટી ગણતરી શરૂ થવાની સાથે જ 6 વિધાનસભા બેઠકોની ટિકીટને લઇને સિંધિયા અને ભાજપ વચ્ચે ટકરાવીની સ્થિતિ બની શકે છે.

જ્યોતિરાદિત્ય સિંધિયા જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી કમલનાથ સાથે તેમનો ઝઘડો પણ સમર્થક મંત્રીઓને સત્તા ન આપવાને કારણે શરૂ થયો હતો. તુલસીરામ સિલાવત, ગોવિંદ સિંહ રાજપૂત, ઈમરતી દેવી અને અન્ય સિંધિયા તરફી મંત્રીઓ અને ધારાસભ્યો, જેઓ કોંગ્રેસ સરકારમાં મંત્રી પણ હતા, તેઓ સતત ફરિયાદ કરતા હતા કે તેમને નજર અંદાજ કરવામાં આવી રહ્યા છે.

આ વાતને લઇને જ્યોતિરાદિત્યએ તત્કાલીન મુખ્યમંત્રી કમલનાથની સામે મોર્ચો ખોલીને સ્પષ્ટ કહી દીધું હતું કે તેઓ વિરોધ માટે રસ્તા પર ઉતરી શકે છે. એ પછી સિંધિયાએ વસીમ બરેલવીનો એક શેર મીડિયા સામે રજૂ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, उसूलों पर जहां आंच आए टकराना जरूरी है,अगर जिंदा हो तो जिंदा नजर आना जरूरी है.

એ પછી કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયા વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થયું હતું. એ સમયે કોંગ્રેસના સિનિયર નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે સિંધિયાને સમર્થન આપવાનું શરૂ કર્યું હતું. જેને કારણે મનભેદ મોટા મતભેદમાં ફેરવાઇ ગયો. આ જ મતભેદને કારણે કમલનાથની ખુરશી છિનવાઇ ગઇ હતી અને મધ્ય પ્રદેશમાં કોંગ્રેસના હાથમાંથી સરકાર ચાલી ગઇ હતી.

કહેવાનો મતલબ એ છે કે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાના સમર્થકોની ફરિયાદ પર સરકાર ઉથલાવી નાંખી હતી. હવે જ્યારે સિંધિયા ભાજપમાં છે તો અહીં પોતાના સમર્થકો માટે સમાધાન કરશે કે નહીં કરશે? એ તો સમય જ કહેશે.

મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને હવે થોડા જ મહિના બચ્યા છે. પરંતુ અહીંની 6 વિધાનસભા બેઠકો પર મધ્ય પ્રદેશ ભાજપ અને કોંગ્રેસની નજર ટકેલી છે. જેમાં ડાબરા, દિખની, ગ્વાલિયર પૂર્વ, ગોહાડ, કરેરા, મુરૈના સીટનો સમાવેશ થાય છે. આ તમામ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં સિંધિયા સમર્થકોને હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય જનતા પાર્ટી આ બેઠકો પર ઉમેદવારો ઉભા કરવાનો પ્રયાસ કરી રહી છે, જ્યારે જ્યોતિરાદિત્ય સિંધિયાના પ્રયાસો તેમના સમર્થકોને વધુ એક તક આપવાનો રહેશે. જેને લઈને અસમંજસની સ્થિતિ સર્જાઈ છે.

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના એક ઇશારા પર ધારાસભ્ય જેવું મહત્ત્વનું પદ કુર્બાન કરી દેનારા 19માંથી 13 ધારાસભ્યો અને મંત્રી વિધાનસભા પેટા ચૂંટણીમાં જીત મેળવી ગયા હતા. પરંતુ ડબરાથી ઇમરતી દેવીને સુરેશ રાજેએ, દિમનીથી ગિરિરાજ દંડોતિયાને રવિન્દ્ર સિંહ તોમરે, ગ્વાલિયર પૂર્વથી મુન્નાલાલ ગોયલને સતીશ ભાવસારે, ગોહદથી રણવીર જાટવને મેવાલાલ જાટવે, કરેરાથી જશવંત સિંહ જાટવને પ્રાગી લાલ જાટવે અને મુરૈનાથી રઘુરાજ કંસાનાને રાકેશ માવઇએ હરાવી દીધા હતા. આ બધી વિધાનસભા બેઠકો પર ભાજપના નવા ઉમેદવારો દાવો કરી રહ્યા છે, જ્યારે કોંગ્રેસ આ બેઠકો પરથી જીતેલા ઉમેદવારોને જ મેદાનમાં ઉતારવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp