ઈન્દિરા ગાંધીના રસ્તે નરેન્દ્ર મોદી સરકાર

PC: mynation.com

(પ્રશાંત દયાળ) 2003માં દિવ્ય ભાસ્કર ગ્રુપ દ્વારા અમદાવાદમાં  ગુજરાતીમાં દિવ્ય ભાસ્કર અખબારની શરૂઆત કરવામાં આવી ત્યારે સામાન્ય માણસોની છાપ હતી કે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દિવ્ય ભાસ્કર શરૂ કરાવવામાં આવ્યુ છે. આમ ભાસ્કર અખબાર નરેન્દ્ર મોદીનું અખબાર તરીકે ઓળખાતુ હતું. પરંતુ આજે વર્ષો જુની માન્યતાનો અંત આવ્યો છે. કારણ ગુરૂવારની વહેલી સવારે દેશભમાં ભાસ્કર ગ્રુપની ઓફિસો અને ગ્રુપના ડીરેકટરના રહેઠાણ ઉપર ઈન્કમટેકસ અને એન્ફોર્સમેન્ટ ડીરેટકર દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યુ છે. અમદાવાદ સહિત ભોપાલ, જયપુર, ઈન્દોર નોઈડા સહિત એક ડઝન કરતા વધુ સ્થળે ઓપરેશનની કામગીરી ચાલી રહી છે.

મૂળ હિન્દી ભાષામાં શરૂ થયેલુ અખબાર દૈનિક ભાસ્કર બહુ ટુંકાગાળામાં દેશના વિવિધ રાજયોમાં પહોંચી ગયુ. ગુજરાત અને મહારાષ્ટ્રમાં ગુજરાતી અને મરાઠીમાં ભાષામાં ભાસ્કર ગ્રુપ દ્વારા પગપેસારો કર્યો હતો. આ ઉપરાંત ડીઝીટલ પ્લેટફોર્મ ઉપર છેલ્લાં બે દાયકા પહેલા ડીબી ડીઝીટલની એન્ટ્રૂી થઈ ગઈ હતી. આમ દેશમાં પ્રાદેશિક ભાષાના અખબારોમાં ભાસ્કર ગ્રુપ પહેલા ક્રમે આવી ગયુ હતું. પરંતુ છેલ્લાં એક વર્ષથી કોરાનાકાળમાં લોકોને પડી રહેલી મુશ્કેલીને લઈ ભાસ્કર અખબારે આકરૂ વલણ અખત્યાર કર્યુ હતું . લોકોનો અવાજ બનવાનો પ્રયત્ન કર્યો હતો.

દેશની વિવિધ ભાષામાં પ્રસિધ્ધ થતાં ભાસ્કર ગ્રુપના અખબારે સ્થાનિક રાજય સરકારની કામગીરી આકરી ટીકા કરી હતી. જેના કારણે ભાજપ સરકાર લાંબા સમયથી નારાજ ચાલી રહી હતી. કેન્દ્ર અને મોટા ભાગના રાજયોમાં ભાજપની સરકાર હોવાને કારણે ભાસ્કર ગ્રુપ ભાજપ સરકારને નિશાન બનાવી રહી છે, તેવો તેમની ઉપર આરોપ થઈ રહ્યો હતો. જો કે કોરોનામાં થયેલી એક એક ગફલતનું ભાસ્કર દ્વારા જે પ્રકારનું એગ્રેસીવ રીપોર્ટીંગ કરી રહ્યુ હતું જેના પરિણામે ગુજરાત સરકાર પણ ખાસ્સી નારાજ હતી.

ભાજપના રીપોર્ટીંગને કારણે નારાજ ગુજરાત અને કેન્દ્ર સરકારે અખબારોને મળતી સરકારી જાહેરાંતોની યાદીમાંથી ભાસ્કરની બાદબાકી કરી નાખી હતી. છેલ્લાં ઘણા મહિનાઓથી ભાસ્કર ગુપ્રની એક પણ સરકારી જાહેર ખબર મળી રહી ન્હોતી. સામાન્ય રીતે જયારે સરકારો જાહેરખબર બંધ કરે ત્યારે અખબાર માલિકો આવી આર્થિક ખોટ લાંબો સમય સહન કરી શકતા નથી.

અખબાર માલિક અને સરકાર એક ટેબલ ઉપર આવી જાય છે. પરંતુ દિવ્ય ભાસ્કર ગ્રુપના એમડી સુધીર અગ્રવાલે આ મામલે અકક્ડ વલણ દાખવી  જાહેરખબરના મુદ્દે સરકાર સાથે કોઈ ચર્ચા કરી નહી. એટલુ નહીં તેમણે પોતાના સંબંધિત અધિકારીઓને પણ આદેશ આપ્યો કે રાજય અને કેન્દ્ર સરકાર સાથે જાહેરખબરના મુદ્દે કોઈ રજુઆત કરશે નહીં. આમ સરકાર માનતી કે જાહેરખબરની આવક બંધ થતાં ભાસ્કર ગ્રુપ ચર્ચા કરવા આવશેેેે. પણ તેવુ થયુ નહીં. તેના બદલે ભાસ્કર દ્વારા પોતાનું આકરૂ વલણ ચાલુ રાખ્યુ હતું.

જેના કારણે સરકારની નારાજગી પણ વધી હતી. દરમિયાન ગુરૂવારે વહેલી સવારે ઈન્કમટેકસ અને એન્ફોર્સમેન્ટ વિભાગે સંયુકત ઓપરેશન શરૂ કરી ટેકસ ચોરીના મામલે ભાસ્કરને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. હાલમાં એક ડઝન સ્થળે સર્ચ ઓપરેશન ચાલુ છે. અત્રે ઉલ્લેખનિય છે કે કોઈ અખબાર સામે આ પ્રકારની કાર્યવાહી થઈ તેવુ 40 વર્ષ પછી થઈ રહ્યુ છે. 1974-75માં ઈન્દિરા ગાંધી દ્વારા દેશમાં કટોકટી નાખવામાં આવી ત્યારે ઈન્ડીયન એકસપ્રેસ ગ્રુપ કટોકટીનો વિરોધ કરનાર અખબાર હતું. જેના કારણે ઈન્દીરા ગાંધી અને કોંગ્રેસ ઈન્ડિયન એકસપ્રેસથી ખાસ્સી નારાજ હતી. ત્યારે પણ આ નારાજગીને કારણે ઈન્ડિયન એકસપ્રેસ ગ્રુપના માલિક રામનાથ ગોયંકા અને એકસપ્રેસ ગ્રુપ ઉપર ઈન્કમટેકસ દરોડા પાડવામાં આવ્યા હતા.આ જ રીતે આવી સ્થિતિનો સામનો તહલકા- એનડીટીવી અને કાશ્મીર ટાઈમ્સ કરી ચુકયુ છે. કોઈ પણ પક્ષની સરકાર હોય તેમને પોતાનો વિરોધ કરનારૂ પત્રકારત્વ કયારેય પસંદ આવ્યુ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp