CRએ કહ્યુ- હવે કોંગ્રેસના MLAને ભાજપમાં લેવાશે નહીં જે ધારાસભ્યોને લીધા છે તેમને

PC: facebook.com/CRPatilMP

ગુજરાતની આઠ બેઠકો પર પેટાચૂંટણી જાહેરાત થઈ ગઈ છે. ભાજપ અને કોંગ્રેસ પોતાના ઉમેદવારોને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. તેવામાં કોંગ્રેસ દ્વારા ભાજપ પર અવાર-નવાર ધારાસભ્યોની ખરીદીને લઈને આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ ભાજપ દ્વારા પોતાના ઉમેદવારોને જીતાડવા માટે 30 જેટલા સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. કરજણમાં બીજેપીના સંગઠનની બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની ઉપસ્થિત રહી હતી અને બેઠક દરમિયાન સી.આર. પાટીલે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ભાજપ પર ધારાસભ્યની ખરીદ-વેચાણ પર કરેલા આક્ષેપો પણ નિવેદન આપ્યું હતું.આ સાથે જ તેમણે સ્પષ્ટપણે કહી દીધું કે, કોંગ્રેસમાંથી હવે ભાજપમાં કોઈ MLAને લેવામાં આવશે નહીં. તેમને એમ પણ જણાવ્યું હતું કે, સંગઠન અને સરકારની વચ્ચે કોઈ પણ પ્રકારના મતભેદ નથી.

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હવે પછી અમે કોંગ્રેસના કોઈ પણ ધારાસભ્યોને લઈશું નહીં. જે ધારાસભ્યોને લીધા છે તેમને મારા આવતા પહેલા લીધા છે અને એમને જે કમિટમેન્ટ આપ્યું હતું તે કમિટમેન્ટ પૂરું કરવું એ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે મારી ફરજ છે.

સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીમાં જે લોકો કોંગ્રેસ છોડીને આવ્યા છે. તેમને પોતાનું રાજીનામું પક્ષમાંથી આપ્યું છે, પોતાનું ધારાસભ્ય પદ છોડ્યું છે અને છ મહિના પહેલા તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. આ તમામ લોકો ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયા પછી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે. જે ધારાસભ્ય ભાજપમાં આવ્યા છે તે લોકોના હિતના કામ માટે આવ્યા છે. તેઓ એવું સાબિત કરવા માંગે છે કે, તેઓ લોકોના હિત માટે કામ કરવા માંગે છે. ગદ્દારી એને કહેવાય કે જે પહેલા કોંગ્રેસ પક્ષ કરતું હતું પરંતુ આ લોકોએ તેમાંથી રાજીનામું આપીને પછી ભાજપમાં જોડાયા છે. અમિત શાહ દ્વારા પણ આ પ્રકારની કોઈ વાત કરવામાં નથી આવી અને અમારા વચ્ચે કોઈ વિવાદ નથી. તેઓ સરકારનું કામ સંભાળે છે અને હું સંગઠનનું કામ સંભાળું છું.

સી.આર. પાટીલ દ્વારા કંડારીના ગુરુકુળમાં ભાજપના સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ધારાસભ્ય સાંસદ અને મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. કંડારી ખાતે યોજાયેલી બેઠકમાં રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની પણ હાજરી જોવા મળી હતી. સી.આર. પાટીલે પેટાચૂંટણીને લઇને મહિલા મોરચાના પણ એવી સૂચના આપી હતી કે, મહિલા મોરચાની બહેનો ઘર-ઘર સુધી પહોંચે અને એક પણ ઘર સંપર્ક વગરનું ન રહે. આ સાથે જ દરેક ઘરના સંપર્ક નંબરની યાદી તૈયાર કરવા મહિલાઓને સૂચના આપવામાં આવી છે. સાથે-સાથે કોરોનાની મહામારી વચ્ચે સી.આર. પાટીલે મહિલાઓને માસ્ક પહેરીને ચૂંટણી પ્રચાર કરવા માટે તૈયાર થઈ જવાનું જણાવ્યું હતું.

સી.આર. પાટીલે બેઠક દરમિયાન પરેશ ધાનાણી દ્વારા ભાજપ પર ધારાસભ્યની ખરીદ વેચાણ મુદ્દે આક્ષેપો કરવામાં આવ્યા છે તે બાબતે જણાવ્યું હતું કે ભાજપમાં કોઈ ખરીદ વેચાણ થતું નથી. પરેશ ધાનાણીને ટ્વીટ કરવા સિવાય બીજો કોઈ ધંધો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp