આ ત્રણ મંત્રીના સમર્થકોનો હંગામો, અમારા નેતાને કેબિનેટમાં સ્થાન ન આપ્યું તો...

PC: facebook.com/CRPatilMP

રાજ્યમાં ભૂપેન્દ્ર સરકારના મંત્રીઓની નિયુક્તિને લઇને રાજકારનામાં ગરમાવો આવ્યો છે. તો બીજી તરફ રૂપાણી સરકારના મંત્રીઓએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બેઠક કરી હતી.

તો બીજી તરફ રૂપાણી સરકારના મંત્રીઓના સમર્થનમાં તેમના સમર્થકો આવી રહ્યા છે. ક્યાંક કાર્યકર્તાઓ સામૂહિક રાજીનામાંની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. તો ક્યાંક ભાજપને ચૂંટણીમાં પરિણામાં ભોગવવાની ચીમકી આપવામાં આવી રહી છે.

ત્યારે કુંવરજી બાવળીયા, દિલીપ ઠાકોર, જયેશ રાદડીયાના સમર્થનમાં સમાજના લોકો અને કાર્યકર્તાઓ આવ્યા છે. ક્યાંક કાર્યકર્તાઓ સોશિયલ મીડિયાના માધ્યમથી રોષ વ્યક્ત કરી રહ્યા છે. તો ક્યાંક લોકો એકઠા થઇને રોષ વ્યક્તિ કરી રહ્યા છે. ત્યારે નવી કેબીનેટની રચના પહેલા જ રૂપાણી સરકારના મંત્રીઓને બચાવવા માટે તેમના સમર્થકો મેદાને આવ્યા છે.

કુંવરજી બાવળીયાના સમર્થનમાં કોળી સમાજ આગળ આવ્યો છે. કુંવરજી બાવળીયાના સમર્થનમાં કોળી સમાજ દ્વારા સોશિયલ મીડિયામાં એક કેમ્પેન પણ શરૂ કર્યુ છે. તો બીજી તરફ મંત્રી પદ ખતરામાં આવતા જશા સોલંકીએ પણ મીટીંગ બોલાવી છે. કોળી સમાજ દ્વારા સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કરીને કહેવામાં આવી રહ્યું છે કે, સૌરાષ્ટ્રમાંથી કુંવરજી બાવળીયાનું નામ મંત્રી મંડળમાંથી કપાશે તો સમગ્ર દેશના કોળી, ઠાકોર સમાજનું અપમાન ગણવામાં આવશે. જેનું પરિણામ આવતા દિવસોમાં ભોગવવા માટે તૈયાર રહેવું પડશે.  

સાથે અન્ય એક મેસેજમાં લખવામાં આવ્યું હતું કે,  કુંવરજી બાવળીયા કોળી સમાજનો ચહેરો છે. તેમના વિરુદ્ધ આક્ષેપો કે ફરિયાદો ગમે તે હોય, તેમનું સ્થાન લઇ શકે એવા નેતા અત્યારે નથી. કોળી સમાજના જ અન્ય નેતાઓને આગળ કરી બાવળીયાને કાપવાના પ્રયાસો થયા છે. જેમાં ખાસ સફળતા મળી નથી. બાવળીયાએ કોળી સમાજનું કેટલું ભલું કર્યું એ અલગ તપાસમુ મુદ્દો છે. પણ કોળી સમાજ ગુજરાતનો સૌથી મોટી મતદાર વર્ગ છે. એ સમજના પ્રતિનિધિ બાવળીયાને કેમ પડતા મૂકી શકાય? વળી બાવળિયા સત્તા માટે તો કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા. એ સત્તા જ ન રહેવાની હોય તો બાવળીયા શાંત બેઠા રહે?

તો એક મેસેજમાં એવું પણ લખવામાં આવ્યું હતું કે, કુંવરજી અને જયેશ રાદડીયા સૌરાષ્ટ્રના મજબૂત નેતા છે. જો મંત્રીમંડળમાંથી કપાશે તો આવનારી ચૂંટણીમાં તેનું પરિણામ ભોગવવા માટે તૈયાર ભાજપ રહે. ભાજપના બે સિંહ રાદડીયા અને બાવળીયાની બાદબાકી થશે તો આગામી સમયમાં તેનું પરિણામ જોયાજેવું હશે. તો બીજી તરફ અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કુંવરજી બાવળીયાને ભૂપેન્દ્ર પટેલની કેબીનેટમાં સ્થાન આપવા માટે પત્ર લખ્યો છે.

તો બીજી તરફ પાટણના હારીજમાં મંત્રી દિલીપ ઠાકોરના સમર્થકો પણ મેદાને આવ્યા છે. સમર્થકોએ સુત્રોચ્ચાર કરીને વિરોધ નોધાવ્યો હતો. જો મંત્રી દિલીપ ઠાકોરને મંત્રી પદેથી હટાવવામાં આવશે તો તેમના સમર્થકોએ સામૂહિક રાજીનામાંની પણ ચીમકી ઉચ્ચારી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp