રાઉતનો BJP પર આરોપ, કહ્યું- પવારને આપવામાં આવી ધમકી, આવી ભાષા અમને મંજૂર નથી
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે ભારતીય જનતા પાર્ટી (BJP) પર આરોપ લગાવ્યો છે. શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું કે, નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP) પ્રમુખને ધમકી આપવામાં આવી છે, જે ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો, તે અમને મંજૂર નથી. સંજય રાઉતે ટ્વીટ કર્યું કે, ભાજપના એક કેન્દ્રીય મંત્રીએ કહ્યું છે કે, જો મહાવિકાસ અઘાડી (MVA) સરકારને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તો શરદ પવારને ઘરે જ જવા દેવામાં નહીં આવે.
સંજય રાઉતે આગળ કહ્યું કે, મહાવિકાસ અઘાડી સરકાર બચે કે ન બચે, શરદ પવાર માટે એવી ભાષાનો ઉપયોગ સ્વીકાર્ય નથી. સંજય રાઉતે કહ્યું કે, એક કેન્દ્રીય મંત્રી દ્વારા શરદ પવારજીને ધમકી આપવામાં આવી રહી છે, શું એવી ધમકીને મોદીજી અને અમિત શાહજીનું સમર્થન છે? અમે (બળવો કરનારા) ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવા કાર્યવાહી કરી રહ્યા છીએ. બળવો કરનારા ધારાસભ્યો પર સંજય રાઉતે કહ્યું કે, લોકતંત્રમાં આંકડા ચાલે છે જે MVA પાસે છે.
महाविकास आघाडीचे सरकार वाचवण्याचा प्रयत्न केला तर शरद पवार यांना घरी जाऊ देणार नाही .रस्त्यात अडवू.अशी धमकी भाजपचा एक केंद्रीय मंत्री देतो.ही भाजपची अधिकृत भूमिका असेल तर तसे जाहीर करा. सरकार टिकेल किंवा जाईल..पण शरद पवार यांच्या बाबत अशी भाषा महाराष्ट्राला मान्य नाहीं@PMOIndia pic.twitter.com/YU1Pc39vCb
— Sanjay Raut (@rautsanjay61) June 24, 2022
તેમણે આગળ કહ્યું કે, મને સંપૂર્ણ ભરોસો છે કે, વિધાનસભામાં જ્યારે બહુમત સાબિત કરવું પડશે ત્યારે અમે જીતીશું. શિંદે ગ્રુપ અમને ચેલેન્જ કરી રહ્યું છે. તેમણે સમજવું જોઈએ કે, શિવસૈનિક અત્યારે માર્ગ પર ઉતર્યા નથી. તે બે પ્રકારના હોય છે એક કાયદાકીય અને બીજા માર્ગ પર. જરૂરિયાત પડી તો શિવસૈનિક માર્ગ પર પણ ઉતરશે. શિવસેના એક મહાસાગર છે. લહેરો આવે છે, જાય છે, પરંતુ અમે એવી લહેરોથી ડરતા નથી.
મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે. શિવસેનાના બળવો કરનારા મંત્રી એકનાથ શિંદેએ શુક્રવારે લગભગ 12 અપક્ષ અને નાની પાર્ટીઓ સિવાય 40 કરતા વધુ ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો છે. ગુવાહાટીથી મીડિયા સાથે વાત કરતા એકનાથ શિંદેએ શરદ પવાર દ્વારા જાહેર કરવામાં આવેલી ચેતવણીને આડેહાથ લેતા કહ્યું હતું કે, અમે આ પ્રકારની ધમકીઓથી ડરતા નથી. અમે જે પણ કરી રહ્યા છીએ તે એકદમ કાયદેસર છે. અમારી પાસે બધા ધારાસભ્યોના એફિડેવિટ છે કે, તેઓ સ્વેચ્છાએ અમારી સાથે સામેલ થયા છે.
તેમણે કહ્યું કે, ઘણી સંખ્યા અમારી પાસે છે. 40 કરતા વધુ શિવસેનાના ધારાસભ્ય અને 12 અપક્ષના ધારાસભ્ય અને અન્ય પણ અમારા સમર્થનમાં છે. શિવસેના, NCP અને કોંગ્રેસે ભાજપ પર 30 મહિના જૂની મહાવિકાસ અઘાડી (MVA) સરકારને તોડવાનો આરોપ લગાવ્યો છે. રાજ્યના કોંગ્રેસના મંત્રી ડૉ. નીતિન રાઉતે શુક્રવારે ભાજપ પર શિવસેનમાં વિદ્રોહનું કાવતરું રચવા અને લોકતંત્રની હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp