વર્લ્ડ કપ 2023થી ચેમ્પિયન્સ ટ્રોફી-2025 સુધી ટીમમાં કેટલો બદલાવ આવ્યો

ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમ ઈન્ડિયા 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારતે છેલ્લે ICC 50 ઓવરની ટુર્નામેન્ટ, 2023 ODI વર્લ્ડ કપ રમી હતી, જેમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમે સતત 10 મેચ જીતી હતી, પરંતુ ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલમાં હારથી તેમનું ટાઇટલ જીતવાનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું. ODI વર્લ્ડ કપ રમનાર ટીમના 6 ખેલાડીઓ આ ચેમ્પિયન્સ ટ્રોફી ટીમમાં નથી.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ટીમમાં પસંદગીકારો દ્વારા 5 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે 2023 વર્લ્ડ કપ ટીમનો ભાગ નહોતા. અત્યાર સુધી એક પણ ODI રમી ન હોય તેવા યશસ્વી જયસ્વાલને ટીમમાં સ્થાન મળ્યું છે. આ સ્ટાર ઓપનરે ટેસ્ટ અને T20માં ધૂમ મચાવી છે. ટુર્નામેન્ટ પહેલા એક ભયાનક કાર અકસ્માતને કારણે રિષભ પંત ઘાયલ થયો હતો અને ODI વર્લ્ડ કપ 2023 ટીમમાંથી બહાર થઈ ગયો હતો. તે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમમાં પાછો ફર્યો છે. અક્ષર પટેલને વર્લ્ડ કપ માટે શરૂઆતની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ ઈજાને કારણે તે બહાર થઈ ગયો હતો. તેને પણ ચેમ્પિયન્સ ટ્રોફી ટીમમાં સ્થાન મળ્યું છે. પસંદગીકારોએ વોશિંગ્ટન સુંદર અને અર્શદીપ સિંહ પર પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
વિકેટકીપર ઈશાન કિશન, જે 2023ના ODI વર્લ્ડ કપમાં બેકઅપ વિકેટકીપર-બેટ્સમેન હતો, તે BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર રહેવા પછી ભારતીય ટીમમાં સ્થાન મેળવી શક્યો નથી. વર્લ્ડ કપ 2023માં ખરાબ પ્રદર્શન પછી સૂર્યકુમાર યાદવે પોતાનું સ્થાન ગુમાવ્યું છે. રવિચંદ્રન અશ્વિને, જે 2023ની ODI વર્લ્ડ કપ ટીમનો ભાગ હતો, ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ટીમમાં નથી. પ્રસિધ કૃષ્ણા અને શાર્દુલ ઠાકુરે પણ ભારતીય ટીમમાં પોતાનું સ્થાન ગુમાવ્યું છે.
India's squad for the #ChampionsTrophy 2025 announced! 💪 💪
— BCCI (@BCCI) January 18, 2025
Drop in a message in the comments below 🔽 to cheer for #TeamIndia pic.twitter.com/eFyXkKSmcO
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (ઉપ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, KL રાહુલ (વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ , વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, યશસ્વી જયસ્વાલ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp