ગાંગુલીના આવતાની સાથે જ રવિ શાસ્ત્રી માટે લેવાશે આ નિર્ણય

PC: cloudfront.net

ટીમ ઈન્ડિના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી ટૂંક સમયમાં જ તેની નવી ઈનિંગની શરૂઆત કરવા જઈ રહ્યો છે. 23 ઓક્ટોબરે ગાંગુલી BCCIના નવા અધ્યક્ષનું પદ સંભાળશે. તે પહેલા જ ગાંગુલીએ લોઢા કમિટીની અરજી મુજબ ચોખવટ કરી દીધી છે કે, ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રી હવે સિલેક્શન કમિટીની બેઠકમાં ભાગ લેશે નહિ.

બાંગ્લાદેશ સીરીઝ માટે ટીમ ઈન્ડિયાનું સિલેક્શન 21 ઓક્ટોબરના રોજ થવાનું હતું, પણ હવે તેની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ટીમની પસંદગી 24 ઓક્ટોબરના રોજ થશે. તો 23 ઓક્ટોબરના રોજ ગાંગુલી તેના નવા પદનો કાર્યભાર સંભાળી લેશે. જોકે, તે સિલેક્શન કમિટીની બેઠકમાં ભાગ તો નહિ લે પણ એ પહેલા તેમની જોડે વાતચીત કરી શકે છે.

ટીમ ઈન્ડિયાની પસંદગી દરમ્યાન મીટિંગમાં કેપ્ટન વિરાટ કોહલી સામેલ રહેશે પણ કોચ રવિ શાસ્ત્રીને એન્ટ્રી આપવામાં આવશે નહિ. ગાંગુલીના આવવાથી ક્રિકેટમાં અસમંજસની સ્થિતિ ક્લિઅર થઈ જશે.

ગાંગુલી-શાસ્ત્રી વિવાદઃ

ગાંગુલી અને રવિ શાસ્ત્રીના સંબંધમાં ખટાશ ત્યારે આવી હતી જ્યારે રવિ શાસ્ત્રીને હેડ કોચ માટે યોગ્ય પ્રણાલીથી અરજી ન કરવાને કારણે ગાંગુલીએ તેને ફટકાર લગાવી હતી. જોકે બંને વચ્ચેની લડાઈ આ પહેલાની પણ છે.

રવિ શાસ્ત્રીએ એક ટીવી શોમાં કહ્યું હતું કે, મને સમયની શિસ્ત પસંદ છે. હું તેની સાથે બાંધછોડ કરતો નથી. એક વખત 2007માં બાંગ્લાદેશના પ્રવાસમાં ટીમ ઇન્ડિયાનો મેનેજર હતો. અમે બધા બસમાં બેઠા હતા અને ગાંગુલીએ આવવામાં મોડુ કર્યું હતું. ત્યારે અમે તેને છોડીને ચાલ્યા ગયા હતા. તો ગાંગુલીએ તેનો જવાબ આપતા કહેલું કે, તમે શાસ્ત્રીનો સવારે ઇન્ટરવ્યૂ કરી શકો નહિ. તમે તેને બ્રેકફાસ્ટ શો પર ના બોલાવતા કારણ કે તેને યાદ રહેતું નથી કે તે શું કહે છે. હું તેને મળીશ તો પુછીશ કે તમે શું કીધું હતું. મને લાગે છે કે આવું ક્યારેય થયું જ નહોતું.

2017માં ચેમ્પિયન્સ ટ્રોફીમાં તત્કાલિન કોચ અનિલ કુંબલે સાથે કેપ્ટન વિરાટ કોહલીને મતભેદ થયા હતા. જેના કારણે કુંબલેએ રાજીનામું આપ્યું હતું. નવા કોચની પસંદગી કરવા માટે ક્રિકેટ સલાહકાર સમિતિ બનાવી હતી. જેમાં સૌરવ ગાંગુલી, સચિન તેંડુલકર અને વીવીએસ લક્ષ્મણ સામેલ હતા. કોહલીએ સમિતિને રવિ શાસ્ત્રીને કોચ બનાવવાની માંગણી કરી હતી. જોકે ગાંગુલી આમ કરવાના પક્ષમાં ન હતો પણ સુપ્રીમ કોર્ટ દ્વારા ગઠિત પ્રશાસકોની સમિતિ અને સીએસીના અન્ય સભ્યોને કારણે ગાંગુલીએ પાછળ હટવું પડ્યું હતું.

તેમ છતાં ગાંગુલી સમય-સમયે કોચના વલણની ટીકા કરતો હતો. ગાંગુલીએ કહ્યું હતું કે, શાસ્ત્રીએ પોતાનું ઇન્ટરવ્યૂ સ્કાઇપ દ્વારા આપ્યું હતું અને આને લઈને તે ગંભીર નહોતો. શાસ્ત્રીએ પણ ઘણી વખત કહ્યું છે કે, કેટલાક લોકો મારી અને ટીમની જાણી જોઈને બુરાઈ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp