ગુજરાતમાં લોકડાઉનને વધુ કડક બનાવવા DGP શિવાનંદ ઝાએ જાણો શું કહ્યું

PC: toiimg.com

કોરોના વાયરસના વધતા જતા સંક્રમણને અટકાવવા માટે લૉકડાઉન તથા ક્લસ્ટર ક્વોરેન્ટાઈન વિસ્તારોમાં સર્વેલન્સ વધુ ચુસ્ત બનાવવા પોલીસ ફૂટ પેટ્રોલિંગ અને મોટરસાઇકલ પેટ્રોલિંગ વધારશે તેવું જણાવતા રાજ્યના પોલીસ મહાનિદેશક શિવાનંદ ઝાએ નાગરિકોને પણ ઘરમાં જ રહીને સોશિયલ ડિસ્ટન્સીંગનું જાગૃકતાથી પાલન કરવા અનુરોધ કર્યો હતો. લૉકડાઉનના અમલ દરમિયાન પોલીસ વિભાગની કામગીરીની વિગતો માધ્યમોને આપતા શિવાનંદ ઝાએ ઉમેર્યું કે અમદાવાદ શહેરમાં જે ઝડપભેર સંક્રમણ વધી રહ્યું છે તેવા સંજોગોમાં પોલીસતંત્ર દ્વારા શહેર ક્રાઇમ બ્રાન્ચ તથા સ્પેશ્યલ ઓપેરેશન ગ્રુપ (એસઓજી)ને પણ પેટ્રોલિંગની કામગીરીમાં જોડવામાં આવશે.

કોરોનાના સંક્રમણને અટકાવવા અમદાવાદ શહેરના ક્લસ્ટર ક્વોરેન્ટાઈન વિસ્તારોમાં પોલીસ તંત્રની મદદથી આરોગ્ય વિભાગ દ્વારા લોકોના આરોગ્યની ચકાસણી વધુ સઘન બનાવાશે. આ માટે આરોગ્ય કર્મચારીઓની સુરક્ષા માટે પણ પૂરતો પોલીસ સ્ટાફ ફાળવવામાં આવ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું. શિવાનંદ ઝાએ ચિંતા વ્યક્ત કરી હતી કે, હજુ પણ લોકો સવારે વોકિંગ-જોગિંગના બહાને તથા સાંજે આવશ્યક ચીજવસ્તુઓ લેવાના બહાને બહાર નીકળી પડી સોશ્યિલ ડિસ્ટન્સીગનું ઉલ્લંઘન કરતા ધ્યાને આવી રહ્યાં છે. આ પ્રકારે હવેથી જો કોઈપણ નજરે ચડશે તો તેમની સામે ગુન્હો દાખલ થશે. વળી, આવશ્યક ચીજવસ્તુઓના નામે આ લોકડાઉનની વ્યવસ્થામાંથી મુક્તિ મેળવનારા લોકો પણ આ મુક્તિનો દુરુપયોગ કરતા સામે આવ્યા છે, તે ખૂબ અનુચિત છે. આ પ્રકારે અમદાવાદના નરોડા પોલીસ મથકની હદમાં એક ખાનગી એમ્બ્યુલન્સ વાનની આડમાં દેશી દારૂની હેરાફેરીનો કિસ્સો સામે આવ્યો છે, જેની સામે અમે કડક કાર્યવાહી કરી છે.

શિવાનંદ ઝાએ નિઝામુદ્દીન મરકઝમાંથી આવેલા તબલીગી વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 127 લોકોની ઓળખ કરાઈ છે. આ તમામ લોકોના કોરાનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે; જે પૈકીના વધુ એક વ્યક્તિનો કેસ આજે પોઝિટિવ આવતા આ પોઝિટિવ લોકોની સંખ્યા 12 ઉપર પહોંચી છે. આ સિવાયના તમામને હાલ કવૉરન્ટાઈન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, અન્ય એક ગ્રુપ 'સુરા ગ્રુપ'ના લોકોના પરીક્ષણ અને તપાસની કામગીરી પણ ચાલુ છે. આ સાથે પોલીસ કર્મચારીઓની આરોગ્ય ચકાસણી પણ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં LRD, GRD તથા પોલીસ સ્ટાફના આશરે 90,000 જવાનોના હેલ્થ ચેક-અપ થયા છે. ઘણા ખરા કિસ્સાઓમાં તેમને કોઈ ગંભીર બીમારીના લક્ષણ આવ્યા નથી. અમદાવાદ 'ડી' સ્ટાફના એક ASIને કૉરોના જેવા લક્ષણો દેખાતા હાલ અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં સાવચેતીના પગલાંરૂપે ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા હોવાનો એકરાર શિવાનંદ ઝાએ કર્યો હતો.

શિવાનંદ ઝાએ ઉમેર્યું કે, શહેરો-નગરોમાં ડ્રોન સર્વેલન્સની કામગીરી સઘન બનાવવામાં આવી છે. જેમાં ડ્રોનના સર્વેલન્સથી 452 ગુનાઓ નોંધાયા છે. આ સર્વેલન્સથી આજદિન સુધીમાં 3017 ગુના દાખલ કરીને 7049 લોકોની અટકાયત કરાઈ છે. જ્યારે સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ CCTV નેટવર્ક દ્વારા 61 ગુના નોંધીને 127 લોકોની અટકાયત કરતાં આજ સુધીમાં 460 ગુના નોંધી 909 લોકોની રાજ્યભરમાંથી અટકાયત કરાઈ છે.

આ જ રીતે, સોશીયલ મીડિયાના માધ્યમ દ્વારા પણ ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવા સંદર્ભે અત્યાર સુધીમાં 149 ગુના દાખલ કરીને 273 આરોપીની અટકાયત કરી છે. જો જાહેરનામા ભંગના ગુનાની સંખ્યા જોવા જઈએ તો, તા.8/04/2020 થી આજ સુધીના કુલ 2956 કિસ્સાઓ, કવોરેન્ટિન કરેલ વ્યકિતઓ ધ્વારા કાયદા ભંગના ગુનાની સંખ્યા (IPC 269, 270, 271) 873 તથા અન્ય ગુનાઓ 337 (રાયોટીંગ/Disaster Management Actના) અંતર્ગત કુલ 6265 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. આ સાથે 4163 વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp