BJPના મહામંત્રી કે.સી.પટેલ સામે સૂત્રોચ્ચાર કેમ થયા? રાજકારણ કે APMCનું કારણ

ઊંઝામાં આશા પટેલને કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષપલટો કરાવનારા ભાજપના મહામંત્રી કે. સી. પટેલ સામે બળવો થયો છે. મહેસાણા જિલ્લા શક્તિ કેન્દ્રમાં ભાજપના કાર્યકરોએ કે. સી. પટેલ હાયહાયના નારા લગાવી બેઠકમાં કેસરીઓ ખેસ છોડીને બહાર નીકળી જવા લાગ્યા હતા. કે. સી. પટેલના વેવાઈ દિનેશ પટેલને ઊંઝામાં મહત્ત્વ આપવામાં આવી રહ્યું હોવાથી અને ઊંઝા ખેત ઉત્પન્ન બજાર સમિતિમાં તેમને અધ્યક્ષ બનાવવા માટે કાવતરા કર્યા હોવાનું બહાર આવતા અને આશા પટેલને ભાજપમાં લાવતા મહેસાણા અને ઊંઝાના કાર્યકરો કે. સી. પટેલનો જાહેરમાં વિરોધ કર્યો હતો. વેવાઈવાદ બંધ કરો, થેલા મૂકીને ચાલો, ખેસ મૂકીને બહાર આવો કહીને ઘણા કાર્યકરો બહાર આવી ગયા હતા.

APMCનું રાજકારણ

15 ફેબ્રુઆરી 2019ના રોજ ઊંઝા બજાર સમિતિની ચૂંટણી આવી રહી હોવાથી મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. ખેડૂત, વેપારી અને ખરીદ-વેચાણ સંઘ એમ ત્રણેય વિભાગના મતદાર યાદીમાં સરકારે મોટા પ્રમાણમાં ગોલમાલ કરી છે. કારણ કે આશા પટેલ અને દિનેશ પટેલના જીતાડવા માટે ભાજપ સરકારે 39 જૂની મંડળીઓમાંથી 21 મંડળીઓ કે જેના પર ભાજપના કાર્યકરોનું પ્રભુત્વ હતું, તે રદ કરી દેઈને મતદાનથી બાકાત રાખી દેવામાં આવી છે. તેમ કરવાથી નારણ પટેલ અને ગૌરાંગ પટેલને હરાવી શકાય અને આશા પટેલ – દિનેશ પટેલને જીતાડી શકાય.

નારણ પટેલ ચૂંટણી ન લડી શકે એવો કારશો

વેપારી વિભાગના 2160 મતદારો છે, જેમાંથી 529 મતદારો રદ કરી દેવામાં આવ્યા છે. ખરીદ-વેચાણ સંઘના 38 મતદારો ધરાવતી 3 મંડળીઓ કે જેમાં એક તો 100 વર્ષ જૂની છે. તે રદ કરી દઈને મતદાનથી બહાર કરી દેવામાં આવી કારણ કે આ મંડળીઓના સભ્યોમાં ગૌરાંગ પટેલ અને નારણ પટેલ સભ્ય છે. હવે તેઓ જ સભ્ય પદેથી રદ થઈ જતા ચૂંટણી લડી ન શકે તેવી સગવડ ભાજપ સરકારે આશા પટેલને કરી આપી છે. હવે ભાજપના નેતાઓ નારણ પટેલ અને ગૌરાંગ પટેલ ઊંઝાના APMCના અધ્યક્ષ નહીં હોય. આમ આશા પટેલના પ્રિય એવા કોંગ્રેસના નેતા દિનેશ પટેલ અધ્યક્ષ બનશે.

રદ કરેલી મંડળી ભાજપની

રદ કરેલી 21 મંડળીઓમાંથી 16 મંડળીઓ ભાજપના કાર્યકરની હતી. તેથી હવે ઊંઝા APMC પર ભાજપના કાર્યકરોનો કોઈ પ્રભુત્વ રહ્યું નથી. તેથી તે લોકોએ વિરોધ કર્યો હતો. આશાબેનની 6 મંડળીઓ હતી. જેમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની સૂચનાથી સરકારે જે. કે. પટેલ નાયબ સચિવની સહીથી એક ગેજેટ બહાર પાડેલું હતું. જેમાં 27-11-2018ના રોજ આ મંડળીઓ નોંધવાની જિલ્લા પંચાયત પાસેથી પરત ખેંચી લેવામા આવી હતી, તેનું કાયદાકીય ઉલ્લંઘન કરીને સરકારે અને 18-12-18ના રોજ 6 મંડળીઓની નોંધણી બારોબાર કાયદા વિરુદ્ધ કરી હતી. જિલ્લા પંચાયત સમિતિએ કહ્યું હતું કે આ રીતે સહકારી મંડળીની નોંધણી રદ ન થઈ શકે. તેમ છતા આશા પટેલને માટે કરવામાં આવ્યું છે. અધિકારીઓએ તેનો સુવોમોટો કર્યો હતો. ડીડીઓઓએ અને બીજા અધિકારઓએ આ મડળીઓ પર સ્ટે આપ્યો. પ્રથમ યાદી પ્રસિદ્ધ થવાની હતી 28મીએ સચિવ જે. કે. પટેલે સ્ટે ઉઠાવી લીધો. એટલે આ મંડળીઓની નોંધણી ગેરકાયદે કરી દીધી. સરકારી અધિકારીએ સત્તાનો ગેરઉપયોગ કર્યો હતો. આશા પટેલની ગેરકાદયે મંડળીઓ હતી તે મતદાર યાદીમાં રાખી છે અને વર્ષોથી ચાલતી 21 મંડળીઓ રદ કરી દેવામાં આવી છે.

મહેસાણાનું દફતર ગાંધીનગર લઈ જવાયું

યાદી બનાવવાનું કામ મહેસાણા જિલ્લા ચૂંટણી અધિકારી કરતા હોય છે. તેના બદલા મહેસાણા સહકાર વિભાગની તમામ ફાઈલો સાથે દફતર ગાંધીનગર લઈ જવામાં આવ્યું હતું. સહકાર સચિવ મહંમદ સાજીદની કચેરીમાં આ વધી ફાઈલો લઈ જવામાં આવી હતી. સાજીદની કચેરીમાં નક્કી થયું કે કઈ રીતે આશા પટેલ અને વેવાઈ દિનેશ પટેલને જીતાડવા. જેના આધારે કઈ મંડળીઓ રદ કરવાથી આશા પટેલ અને દિનેશ પટેલ જીતે તે નક્કી કરવામાં આવ્યું અને મતદાર યાદી અહીં તૈયાર કરવામાં આવી હતી.

વિજય રૂપાણીને ફરિયાદ

ભાજપની મંડળીઓ રદ કરવાની જાણ તે મંડળીઓને થતા નવી મતદાર યાદી બને તે પહેલા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને ઊંઝાની 15 સહકારી મંડળીઓના ભાજપના 25 નેતાઓ અને કાર્યકરો મળવા ગયા હતા અને જાણ કરી હતી કે તેમની મંડળીઓ રદ કરવામાં આવશે. ત્યારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તેમને ખાતરી આપી હતી કે આ રીતે વર્ષો જૂની મંડળીઓ રદ નહીં થાય. આ ખાતરી મળતા ભાજપના કાર્યકરો ઊંઝા જતા રહ્યા હતા. તેના ચાર દિવસમાં તમામ મંડળીઓ રદ કરી દેવામાં આવી. હવે આ કાર્યકરો કહે છે કે, જો મુખ્ય પ્રદાન રૂપાણી પોતે દગો કરતા હોય અને વચન ભંગ કરતા હોય તો અમારે શું કરવું. તેથી અમે ભાજપની બેઠકમાં વિરોધ કર્યો અને કે. સી. પટેલ સામે સૂત્રોચ્ચારો કરવા પડ્યા હતા. કારણ કે કે સી પટેલ પોતે આ બધું પોતાના વેવાઈ દિનેશ પટેલ કે જે કોંગ્રેસમાં છે તેના માટે કરી રહ્યા છે. તેઓ દિનેશ પટેલને ઊંઝા APMCના ચેરમેન બનાવવા માગે છે.

ઓર્ડર તૈયાર નથી, મંડળીઓ રદ થઈ

જે મંડળીઓ રદ કરવામાં આવી અને સભ્યો દૂર કરાયા તે અંગે સ્પીકીંગ ઓર્ડર તૈયાર કરવો પડતો હોય છે. જે સહકાર વિભાગ પાસે ઓર્ડર તૈયાર થયો ન હતો. 16 ફેબ્રુઆરી 2019માં સ્પીકીંગ ઓર્ડર લેવા માટે મંડળીઓના સભ્યો ગયા ત્યારે અધિકારીઓએ કહ્યું હતું કે ઓર્ડર હવે તૈયાર કરશે. આમ ઓર્ડર તૈયાર કરવાના કારણો હવે તૈયાર થશે. તે પહેલા તો મંડળીઓ રદ કરી દેવામાં આવી હતી.

હાઈકોર્ટમાં અરજી દાખલ થઈ ત્યારે સરકાર પાસે જવાબ ન હતો. બેલા ત્રિવેદી પાસે કેસ હતો. એટર્ની જનરલને ઊભા કર્યા અને કાયદાકીય રીતે ગેઝેટ ભૂલભરેલું છે. કાયદા વિભાગ પાસેથી ગેઝેટ મંગાવ્યું. આશાની મંડલીઓ લેવમાં આવી હતી. આ પ્રક્રિયામાં જે અધિકારીઓ સંડોવાયેલા છે એમાં મહેસાણા જિલ્લા રજીસ્ટાર કેસર દેસાઈ, મહેસાણા ડીડીઓ મનોજ દક્ષિણી, જે કે પટેલ છે.

તો 5 હજાર લોકોની સભા થશે

ઊંઝા બજારની ચૂંટણી માટે 27 નવેમ્બર 2018ના રોજ નોટિફિકેશન બહાર પડ્યું હતું. તે પહેલા આશા પટેલ અને દિનેશ પટેલે 21 મતની એક એવી 6 મંડળી ગેરકાયદે બનાવી દીધી છે. 27 ફેબ્રુઆરી 2019માં ઊંઝા APMC માટે ફોર્મ ભરવાની તારીખ છે. 39 મંડળીમાંથી 13 મંડળીઓ હાલના ચેરમેન ગૌરાંગ પટેલની સાથે હતી. હવે તેની સાથે કોઈ રહી નહીં. તેઓ પોતે જ હવે ચૂંટણી લડી નહીં શકે. આ અંગે હાઈકોર્ટમાં પણ પિટિશન કરવામાં આવી હતી. વિસનગર ખાતે વિરોધ કરીને ભાજપના કાર્યકરો ગાંધીનગર ગયા છે. તેઓએ અલ્ટીમેટમ આપ્યું છે કે, જો 24 તારીખ સુધી નિર્ણય નહીં લેવાય તો 5,000 લોકોનું સંમેલન કરવામાં આવશે. તેમની માગણી છે કે, કૌભાંડો થયા હોવાથી ઊંઝા APMCની ચૂંટણીનું ફરીથી જાહેરનામું બહાર પાડવામાં આવે. જો તેમ નહીં થાય તો ઊંઝામાં મહા સંમેલન થશે.

દિનેશ પટેલ કોણ છે

દિનેશ પટેલ અને તેમનું કુટુંબ કોંગ્રેસના છે. તેના પિતા પણ વર્ષોથી કોંગ્રેસમાં છે. દિનેશ પટેલ ભાજપના સભ્ય નથી. તે ભાજપના મહામંત્રી કે. સી. પટેલના વેવાઈ છે. દિનેશ પટેલ ઉપેરા ગામના વતની છે અને ઊંઝામાં રહે છે. તેઓ બિલ્ડર છે. તેમને સરકારી કોન્ટ્રાક્ટ પણ ભાજપના નેતા અપાવે છે.

એસ કે યુનિવર્સિટીની ઘટના

વિસનગર ખાતે એસ કે યુનિવર્સિટી ખાતે ભાજપના શક્તિ કેન્દ્રની બેઠક 16 ફેબ્રુઆરી 2019મા રાખવામાં આવી હતી. જેમાં ભાજપના અપેક્ષીતો અને જિલ્લાના હોદ્દાદારો હતા. કે સી પટેલ સાથે ભાજપ જિલ્લા પ્રમુખ હતા. અડધી બેઠક થઈ ત્યાં ભાજપના કાર્યકરો ઊભા થઈ ગયા હતા અને આશા પટેલ સામે સૂત્રોચચાર કરીને હોબાળો કર્યો હતો. પછી બેઠક અધુરી છોડીને જમ્યા વગર કે સી પટેલે ત્યાંથી નિકળી જવું પડ્યું હતું. પછી આ કાર્યકરો ગાંધીનગર ખાતે રજૂઆતો કરવા અને મંત્રણા કરવા માટે ગયા હતા. બેઠકમાં મહેસાણા શહેર ભાજપ, મહેસાણા તાલુકા ભાજપ, કડી તાલુકા ભાજપ, વિજાપુર તાલુકા ભાજપ, વિસનગર તાલુકા ભાજપ, ખેરાલુ તાલુકા ભાજપ અને વડનર તાલુકા ભાજપના કાર્યકરોએ ટેકો આપ્યો હતો. આશા પટેલ આજ સવારથી જ દિનેશ પટેલના ઘરેથી બહાર જતા રહ્યા હતા. આશા પટેલે અગાઉ જાહેર કર્યું હતું કે તે ઝાંસીના રાણી છે.

કે. સી. પટેલ અને વિવાદો

ભાજપના મહામંત્રી કે. સી. પટેલ સાથે વિવાદો કાયમ જોડાયેલા છે. મહેસાણા ડિસ્ટ્રીક્ટ બેંકને ભાજપે સત્તાનો ગેરઉપયોગ કરીને નટુ પિતાબર પાસેથી બેંકનો વહીવટ આંચકી લીધો હતો. ત્યારે તેમાં ડખલગીરી કરીને બેંકનો વહિવટ ખાડામાં નાંખી આપ્યો છે. ભાજપના જ્યાં દશરથ જેઠા ચેરમેન બન્યા જેમને ભાજપમાંથી સસ્પેન્ડ કરાવ્યા. હવે 4 વર્ષથી વહીવટદાર છે અને ચૂંટણી નથી. કે સી પટેલે ભાજપનું નવું બોર્ડ બેસવા ન દીધું. કે. સી. પટેલને ઉત્તર ગુજરાતમાં કોઈ પસંદ કરતું નથી.

કે. સી. પટેલનું જમીન કૌભાંડ

કે સી પટેલે જમીન કૌભાંડ આચર્યું હતું. પાટણ શહેરમાં ભાજપનું શાસન હતું ત્યારે 2010માં ભાજપના મહામંત્રી કે. સી. પટેલે રાજકીય વગનો ઉપયોગ કરીને તેમની કાગળ પરની સંસ્થા માનો પરિવારને 800 વાર જમીન આપી હતી. નગરપાલિકાની સિદ્ધપુર હાઈવે પર પાંચ કુવા પાસેની એમ એન હાઈસ્કુલ પાસે 75 વીઘા જમીન આપેલી છે. તેમાંથી ભાજપના આ નેતાના ટ્રસ્ટને જમીન આપી હતી. પાટણ નગરપાલિકાનું મળેલું બોર્ડ તે અંગે ઠરાવ પસાર કર્યો હતો કે જમીન જે શરતોએ આપવામાં આવી હતી તે શરત પૂરી કરી નથી. ભાજપના નેતા કે સી પટેલે આચરેલી ગેરરીતિ ખૂલ્લી પાડીને જમીન પરત લઈ લેવા બોર્ડમાં ઠરાવ કરાયો હતો.

20 કરોડોનો સોદો

કોંગ્રેસના મંત્રી અને પાસ પૂર્વ કન્વીનર નરેન્દ્ર પટેલે આક્ષેપ કર્યો હતો કે, આશાબેને 20 કરોડ રૂપિયા લઈને ભાજપ સાથે સેટિંગ કરીને કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો. આશાબેને જનમતનું અપમાન કર્યું છે અને એમના આવા કૃત્યોથી પાટીદારો પર કોઈ વિશ્વાસ નહીં કરે. અમે આશાબેનના આ જનવીરોધી પગલાનો વિરોધ કરીએ છીએ. નરેન્દ્ર પટેલ પહેલા પણ વરુણ પટેલ અને રેશમા પટેલના ભાજપમાં જોડાઈ જવાનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને તેમની પર પણ આક્ષેપ કર્યો હતો કે વરુણ પટેલ અને રેશમા પટેલ પૈસા લઈ ભાજપ સાથે જોડાઈ ગયા છે. પાટણના કોંગ્રેસના પાટીદાર ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું કે મને પણ ભાજપ દ્વારા ધમકાવવામાં આવ્યો છે અને રાજીનામું આપી દેવા લાલચ પણ આપવાના પ્રયત્નો ભાજપ તરફથી કરવામાં આવ્યા છે.

કોંગ્રેસ એક જ પરિવારની પાર્ટી છે : કે.સી.પટેલ

ભૂજ તાલુકાના ધાણેટી ખાતે 27 સપ્ટેમ્બર 2018ના રોજ કે. સી. પટેલે કહ્યું હતું કે, કોંગ્રેસ એક જ પરિવારનો પક્ષ છે. હવે તેઓ જ પોતાના વેવાઈને મદદ કરીને પરિવાર વાદ ઊભો કરી રહ્યા છે. આશાબહેન સાથે તાલુકા પંચાયતના 10 સભ્યો સહિત 1100 કાર્યકરો પણ ભાજપમાં જોડાયા જે કોંગ્રેસના જ છે. આશા પટેલના નજીકના રાજકીય નેતા દિનેશ પટેલને ઊંઝા APMCના અધ્યક્ષ બનાવવા માટે ભાજપ પ્રમુખ જીતેન્દ્ર વાઘાણીએ ખાતરી આપી પછી દિનેશ પટેલે આ ખેલ પાડવા આશા પટેલને ભાજપ જોડાવા નક્કી કર્યું. આખું ઓપરેશન સિંગાપુરમાં નક્કી થયું હતું. ભાજપના મહામંત્રી કે સી પટેલ આશા પટેલને ભાજપમાં પક્ષાંતર કરાવવા માટે છેલ્લા એક મહિનાથી ઊંઝાના દિનેશ પટેલ અને આશા પટેલ સાથે વાત કરી રહ્યા હતા.

મોદી પણ જાણે છે

આશા પટેલ ભાજપમાં પક્ષાંતર કરી રહ્યા છે એવી વાત જાણતા ઊંઝાના ભાજપના પૂર્વ ધારાસભ્ય નારણ લલ્લુ પટેલ દિલ્હી જઈને PM નરેન્દ્ર મોદીને તેમના બંગલે મળીને રજૂઆત કરી હતી. ડૉ.આશાની કેટલીક તસવીરો આપી હતી. કેટલાક પુરાવા આપ્યા હતા. પછી નારણ પટેલને ભાજપને જીતાડી દેવા માટે કામે લાગી જવા માટે પીએમ હાઉસથી કહી દેવામાં આવ્યું હતું. અમિત શાહ ઉત્તર ગુજરાતમાં પટેલ મતો લેવા માટે અલ્પેશ ઠાકોરને લેવા માગતા ન હતા. તેથી આશા પટેલનું ઓપરેશન પાર પાડવા માટે કે સી પટેલને જવાબદારી સોંપી હતી.

અમિત શાહનું ગણિત

અમિત શાહની ગણતરી પ્રમાણે ઉત્તર ગુજરાતમાં જ્યાં ઠાકોર હોય ત્યાં પટેલ મતદારો માધવસિંહના સમયથી નથી રહેતા. તેથી કાં તો ઠાકોર મત પસંદ કરવાના હતા કાંતો પટેલ મત પસંદ કરવાના હતા. જેમાં કે સી પટેલની સલાહથી પટેલ મત પસંદ કરાયા હતા. કારણ કે ઠાકોર મત પૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના નેતા માધવસિંહ સોલંકી, પૂર્વ પ્રમુખ ભરત સોલંકી અને હાલના કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના સમયથી કોંગ્રેસ સાથે જ રહેતા આવ્યા છે. તેથી ઠાકોર મત ક્યારેય ભાજપને મળ્યા નથી. તેથી ઊંઝા APMC દિનેશ પટેલને મળે અને ધારાસભ્ય પદ આશા પટેલને મળે તે માટે અમિત શાહે નક્કી કર્યું હતું. તેમની ગણતરી ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસનું વધેલું મહત્ત્વ ઘટાડવા માટે હતી. પણ હવે ભાજપના જ કાર્યકરો અમિત શાહની નીતિનો વિરોધ કરી રહ્યા છે.

84 સમાજનો નારણ પટેલને ટેકો

ઊંઝાના 84 પાટીદાર સમાજના 125 ગામો ઉપરાંત મહેસાણા, પાટણ, અમદાવાદ, સુરત, વડોદરામાં 84 સમાજને ભાજપે પોતાની સાથે કરી લીધો છે. તેથી ભાજપ લોકસભા અને આગામી વિધાનસભા કે જિલ્લા પંચાયત અને નગરપાલિકા જીતે તેમ ન હતો તે હવે જીત પાક્કી કરી લેવામાં આવી છે. 84 પાટીદાર સમાજના લોકો અતિ ધનાઢ્ય છે. જે આર્થિક તાકાત હવે ભાજપ માટે કામ આવશે. 84 સમાજમાંથી ભાજપના પૂર્વ પ્રધાન અનિલ પટેલ, અરવિંદ પટેલ, પૂર્વ પ્રધાન નરોત્તમ પટેલ, પૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન રજની પટેલ, વિક્રમ પટેલ, જયશ્રી પટેલ આવે છે. જે સમાજ ઉત્તર ગુજરાતમાં સત્તાના સમીકરણ બદલી નાંખશે. જે ભાજપ માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે.

આશા પટેલની રાજકીય આત્મહત્યા

આશા પટેલ ભલે ભાજપમાં ગયા હોય પણ તેમણે રાજકીય આત્મહત્યા કરી છે. કારણ કે જે સમાજે તેમને ચૂંટીને મોકલેલા છે એ સમાજ કે આર્થિક રીતે મજૂત છે એવા નેતાઓને તેમણે પૂછ્યું નથી. આ નેતાઓએ ડૉ.આશા પટેલને લાખો રૂપિયાનું ચૂંટણી ફંડ આપ્યું હતું. કોઈને કહ્યા વગર કે વિસ્વાસમાં લીધા વગર તેમણે રાજીનામું આપીને કોંગ્રેસ સાથે દગાખોરી કરી છે અને ભાજપની સાથે સુંવાળા સંબંધો ઊભા કર્યા છે તે હવે પછીની ચૂંટણી જીતવી આશાબેન પટેલ માટે સરળ નથી. હવે આશા પટેલ અને કે, સી. પટેલ સામે સમગ્ર ઉત્તર ગુજરાતમાં વિરોધ શરૂ થયો છે. જે તેમના માટે રાજકીય આત્મહત્યા ગણાવવામાં આવી રહી છે.

નિતીન પટેલને ખતમ કરવાનો કારસો

આ રાજકીય દાવ ભાજપ માટે એક મોટી ઉપલબ્ધી છે. હવે નીતિન પટેલ ભાજપમાં નહીં હોય તો પણ ચાલશે. ઊંઝા એ PM નરેન્દ્ર મોદીના માદરે વતન વડનગરનો વિધાનસભા વિસ્તાર છે. જે રીતે ભાજપ પ્રમુખ અમિત શાહે પોતાના વતન માણસામાં ભાજપના ધારાસભ્ય જીતાડી શક્યા ન હતા તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરના વિધાનસભા મત વિસ્તાર ઊંઝામાં પણ ભાજપના ઉમેદવાર નારણ લલ્લુ પટેલ હારી ગયા હતા. વડાપ્રધાન પોતે પોતાના મતવિસ્તારની બેઠક હારી જાય તે કોઈ રીતે તેઓ સહન કરી ન શકે. તેથી આશા પટેલને અને કોંગ્રેસના એક કાંકરાથી ખતમ કરી દીધા છે.

(દિલીપ પટેલ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp