પાક વીમો ન મળતાં વિસાવદરમાં ખેડૂતોનું આંદોલન

PC: khabarchhe.com

વિસાવદર તાલુકાના ગામડાઓમાં પાક વીમા મુદ્દે ખેડૂતોને થયેલા અન્યાયને લઈને કોંગ્રેસે 23 ઓગસ્ટ, 2018ના રોજ ખેડૂત સંમેલન યોજ્યું હતું. જેમાં દરેક ગામ દીઠ ખેડૂતોએ પોતપોતાના ગામમાં પાક વીમા મુદ્દે થયેલી ક્રોપ કટિંગ સહિતના મુદ્દે RTI હેઠળ માહિતી માગવાનું નક્કી કર્યું છે. આજ રોજ વિસાવદર માંડાવડ માર્કેટિંગ યાર્ડ ખાતે ગુજરાત કોંગ્રેસ કિસાન સેલના અધ્યક્ષ અને વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયાની આગેવાનીમાં પાક વીમાથી વંચિત ખેડૂતોને પાક વીમો મળે તે બાબતે વિશાળ ખેડૂત રેલી યોજી હતી. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. પાકવીમો, ઊભા પાકને નુકશાન કરતા રોઝ, ભૂંડ માટે પણ તેમણે વાત કરી હતી. ખેતી વાડીમાં રાતને બદલે દિવસે પાવર આપવા, આ તમામ બાબતે ધારાસભ્યએ કહ્યું કે આ આપણી જગતના તાત એવા ખેડૂતોની લડાઈ છે આપણે જ લડવી પડશે, હું મારા છેલ્લા શ્વાસ સુધી ખેડૂતોના પ્રશ્નોને લઈ લડતો રહીશ.  

વિસાવદર તાલુકાના 78 ગામડાઓમાંથી 42 ગામમાં 3% ટકાથી લઈ 90% સુધી ગત વર્ષની મગફળીમાં વીમો મંજૂર કરવામાં આવ્યો છે. પરંતુ જે ગામોમાં વીમો મંજૂર થયો નથી કે જે ગામમાં ઓછો વીમો મળ્યો છે ત્યાં ફેર વિચારણા કરી ખેડૂતોને 85% ટકા વીમો આપવાની માગણી કરવામાં આવી હતી. દરેક ગામમાંથી બે-બે ખેડૂતોએ જિલ્લા ખેતીવાડી અધિકારી પાસે RTI હેઠળ માહિતી માગવી જોઈએ. માહિતી માંગી હાઇકોર્ટના દ્વાર ખટ-ખટાવવામાં આવશે. કોંગ્રેસે સંમેલન બાદ રેલી સ્વરૂપે જઈ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું હતું.

સહકારી બેન્કમાં જમા કરવાનું શરૂ થતાં ખેડૂતોને રાહત:

જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન અને પૂર્વ સંસદીય સચિવ એલ. ટી. રાજાણી દ્વારા જાહેર કરવામાં આવેલું હતું કે જૂનાગઢ જિલ્લાના 9 તાલુકા દ્વારા જૂનાગઢ જીલ્લા સહકારી બેંક દ્વારા જે ખેડૂતોએ વીમા પાત્ર ધિરાણ ઉપાડેલ હોય તેવા જૂનાગઢ, ભેસાણ, મેંદરડા, કેશોદ, માળીયાહાટીના, વંથલી, માણાવદર, માંગરોળ, વિસાવદર સહિતના 9 તાલુકાના 266 ગામના ખરીફ પાક મગફળીના 25,752 ખેડૂતો રૂ. 12 કરોડ જેટલો વીમો મંજૂર કરવામાં આવેલ છે, તેમજ એક માત્ર ભેસાણ તાલુકો જ એક એવો છે જેમાં કપાસના વીમાના રૂપિયા મંજૂર થયેલા છે. જેમાં ભેસાણ તાલુકાના 27 ગામના 4,444 જેટલા ખેડૂતોને સહકારી બેંક મારફત વીમા પાત્ર ધિરાણ ઉપાડેલ હોય તેવા ખેડૂતોને કપાસના રૂ. 12 કરોડ, આમ વીમો મંજૂર થયેલો છે. જ્યારે ચેરમેન એલ. ટી. રાજાણી દ્વારા જણાવવામાં આવેલ છે કે મેંદરડા તાલુકાના 31 ગામોના આશરે 2,835 જેટલા ખેડૂતોને બેંક દ્વારા 13,69,61,711 રકમ મંજૂર થયેલી છે જ્યારે મેંદરડા તાલુકામાં સરેરાશ 65% જેટલો ખેડૂતોને મળેલી છે. વધુમાં ચેરમેને જણાવેલું છે કે દરેક સહકારી બેંકોમાં મંજૂર થયેલી રકમ આજે નાંખી દેવામાં આવેલી છે.

જૂનાગઢ જિલ્લાના વંથલી તેમજ જૂનાગઢ તાલુકાના ખેડૂતોને પાક વીમાથી વંચિત રાખવામાં આવ્યા છે. તેમજ વિસાવદર અને મેંદરડા તાલુકાના ખેડૂતોને ઓછો પાક વીમો આપ્યાના વિરોધમાં જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી સુધી રેલી યોજી કચેરી બહાર રામધુન બોલી રાજ્યપાલને સંબોધતું આવેદન પત્ર અધિક કલેક્ટર આપ્યું હતું.

ગત વર્ષે જીલ્લામાં ૩૦% થી ઓછો વરસાદ થયો છે અને ખેડૂતોનો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે. ત્યારે જૂનાગઢ જીલ્લાના બે તાલુકાની બાદબાકી અને બે તાલુકામાં ઓછો પાક વીમો આપી ભાજપની સરકારે ખેડૂતો સાથે મજાક કરી છે. ત્યારે આવતા દિવસોમાં પૂરતો પાક વીમો આપવામાં નહિ આવે તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp