ખેડૂતોને દિવસે વીજળી મળે તે યોજનાનો PM મોદી જૂનાગઢથી કરાવશે પ્રારંભ

PC: dnaindia.com

ઊર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું છે કે, ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકારે અનેકવિધ નિર્ણયો કર્યા છે. જેના ભાગરૂપે ખેડૂતોને દિવસે વીજળી આપવાની હિમાયત હતી તે હવે પરિપૂર્ણ થશે. કિસાન સર્વોદય યોજના હેઠળ ખેડૂતોને દિવસે વીજળી આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. ઊર્જા મંત્રી સૌરભ પટેલે ઉમેર્યુ કે, ખેડૂતો માટે મહત્વાકાંક્ષી કિસાન સર્વોદય યોજનાનો શુભારંભ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 24મી ઓક્ટોબરે વર્ચ્યુઅલી જૂનાગઢ ખાતેથી શુભારંભ કરાવશે. આ યોજના હેઠળ રાજ્યના 17.25 લાખ ખેડૂતોને આવરી લેવામાં આવશે.

તેમણે ઉમેર્યુ કે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતોની વર્ષો જૂની માંગણી આજે પૂર્ણ કરી છે. દિવસે વીજળી મળતા ખેડૂતોનું ખેત ઉત્પાદન વધશે અને સાથે સાથે વીજળીની બચત પણ થશે. રાજ્યમાં હાલ 153 ગ્રુપ છે તેમાં અડધા ગ્રુપને દિવસમાં અને અડધા ગ્રુપને રાતના વીજળી પૂરી પાડવામાં આવે છે. હવે આ યોજના હેઠળ સવારે 5-00 વાગ્યાથી રાત્રિના 09-00 કલાક દરમિયાન વીજળી આપવાનો નિર્ણય કર્યો છે.

સૌરભ પટેલે ઉમેર્યુ કે, કિસાન સૂર્યોદય યોજના હેઠળ ખેડૂતને ખેતીવાડીના વપરાશ માટે દિવસ દરમ્યાન વીજ પુરવઠો - ભારત સરકાર દ્વારા વર્ષ 2022 અંતિત 175 ગીગાવોટ બિનપરંપરાગત ઊર્જા ઉત્પાદન ક્ષમતા પ્રસ્થાપિત કરવાનો લક્ષ્યાંક નિશ્ચિત કરવામાં આવ્યો છે જેમાં 100 ગીગાવોટ (1 લાખ મેગાવોટ) સૌર ઊર્જાનો તથા 75 ગીગાવોટ (75000 મેગાવોટ) પવન ઊર્જાનો સમાવેશ છે. રાજ્ય સરકાર દ્વારા બિન-પરંપરાગત ઊર્જા ઉત્પાદનને (પવન અને સૌર ઊર્જા) પ્રોત્સાહન આપવા માટે નીતિઓ પણ જાહેર કરવામાં આવી છે. ગુજરાત ભારતના પશ્ચિમ છેડે હોવાથી ભૌગોલીક દ્રષ્ટિએ બિનપરંપરાગત ઊર્જાનો સ્ત્રોતો ખાસ કરીને પવન અને સૌર ઊર્જાના ઉત્પાદન માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ છે.રાજ્યની હાલની સૌર ઊર્જા ઉત્પાદન ક્ષમતા 3128 મેગાવોટ છે જે આગામી વર્ષોમાં 10750 મેગાવોટ કરવાનું આયોજન છે.

તેમણે ઉમેર્યુ કે, સોલાર પાવર ફક્ત દિવસના સમયગાળા દરમિયાન જ ઉપલબ્ધ હોય છે. આવનાર સમયમાં સૌર ઊર્જાની ઉત્પાદન ક્ષમતા વધવાથી દિવસમાં પાવરની ઉપલબ્ધતા વધશે.રાજ્યમાં હાલ 17.25 લાખથી વધુ કૃષિ વીજ ગ્રાહકો છે. જેમને 153 જૂથોમાં વહેંચીને 8400 થી વધુ 11 કેવી ના કૃષિ ફીડરો દ્વારા વીજ પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે.આ જૂથોને 24 કલાકમાં મહત્તમ 8 કલાક થી ફેઝ વીજ પુરવઠો અને 24 કલાક સિંગલ ફેજ વીજ પુરવઠો પુરો પાડવામાં આવે છે.આ જૂથોની એવી રીતે ફેરવણી કરવામાં આવે છે કે દરેક જૂથને અઠવાડિયા માટે દિવસના સમયગાળામાં ત્યારબાદના અઠવાડિયા માટે રાત્રીના કલાકો દરમ્યાન અને પછીના બે અઠવાડિયા માટે આંશિક દિવસ અને આંશિક રાતના કલાકો દરમ્યાન વીજપુરવઠો પૂરો પાડવામાં આવે છે.ખેડૂતોને રાત્રિ દરમિયાનના વીજ પુરવઠાના સમયે જીવ-જંતુ અને જનાવરનો ભય અને ખૂબ જ મુશ્કેલીઓ પડે છે. છેલ્લા કેટલાય વર્ષથી તેમના તરફથી દિવસે પાવર આપવાની રજૂઆત હતી તે આજે પૂર્ણ થઈ છે.

તેમણે ઉમેર્યુ કે, ખેતીવાડીમાં રાત્રિ દરમ્યાન અપાતો વીજ પુરવઠો દિવસે આપવામાં આવે તો સોલાર પાવર કે જે ફક્ત દિવસના સમયગાળા દરમિયાન જ ઉપલબ્ધ હોય છે તે ખેડૂતોને આપી શકાય જેનાથી ખેડૂતોએ વેઠવી પડતી મુશ્કેલીનો ઉકેલ આવી શકે છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા એક નવીન અભિગમ અપનાવી ખેડૂતોને દિવસે વીજળી આપીને ખેડૂતોની મુશ્કેલીઓ દૂર થાય તે માટે કિસાન સૂર્યોદય યોજના અમલમાં મુકવાની જાહેરાત કરવામાં આવી છે.ખેડૂતોને દિવસે વીજળી આપવાના પડકારરૂપ કાર્યને ત્રણ વર્ષમાં પુરા કરવા માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. આ માટે જરુરી માળખાકીય નેટવર્ક ઉભુ કરવા માટે 2020-21ના વર્ષના બજેટમાં આગામી ત્રણ વર્ષ માટે રૂા.3500 કરોડની જોગવાઇની કરાઈ છે.

તેમણે ઉમેર્યુ કે ખેડૂતોને દિવસ દરમિયાન કૃષિ વીજ પુરવઠો પૂરો પાડવા માટે, આગામી સમયમાં રુપિયા 520 કરોડના ખર્ચે 11 નવા 220 કે. વી. સબસ્ટેશન, રુપિયા 2444.94 કરોડના ખર્ચે 254 નવી 220 / 132/ 66 કે. વી. લાઇન ઊભી કરવામાં આવશે. પ્રાથમિક તબક્કે દાહોદ, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના 1055 ગામડાઓને આવરી લેવાયા છે અને ધીમે ધીમે રાજ્યના તમામ ખેડૂતોને આ યોજના હેઠળ આવરી લઇને દિવસે વીજળી પૂરી પાડવાનું અમારૂ આયોજન છે તેમ તેમણે ઉમેર્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp