4 દિવસ વરસાદ પડ્યો ને દુષ્કાળ છતાં દ્વારકાને અછતગ્રસ્ત જાહેર કરાતો નથી

PC: ndtvimg.com

ગુજરાત સરકાર પર સૌથી વધુ પ્રભાવ પાડનારા ચાર સત્તાધીશો મુખ્યમંત્રી, રાજ્યપાલ, મહેસુલ મંત્રી, વિરોધપક્ષના નેતાને દેવભુમિ દ્વારકાના ખેડૂતોએ રાવ કરી છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાને તાત્કાલિક અસરથી અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે. તે માટે સરકારે સરવેની કામગીરી હાથ ધરી ન્યાય આપવામાં આવે. આ માટે સામૂહિક પત્ર લખવામાં આવ્યો છે.

આ પત્રમાં જણાવ્યું છે કે વર્તમાન વર્ષમાં કુદરત રૂઠેલી છે. ખેડૂત નિઃસહાય અને લાચાર છે. જિલ્લામાં વાવણીનો સાર્વત્રિક વરસાદ થયા બાદ એકપણ વરસાદ થયો નથી. જે વરસાદ થયો હતો તે છૂટો છવાયો વરસાદ હતો. વાવણીના વરસાદ બાદ જિલ્લામાં એકસાથે એક ઇંચ વરસાદ પડ્યો ન હોય ખેડૂતોના ઊભા પાક સૂકાય રહ્યા છે. જિલ્લામાં કોઈ મોટા ડેમ ન હોય, સૌની યોજનાની કેનલો તો આ જિલ્લાના ખેડૂતોએ જોઈ પણ નથી એટલે સિંચાઈની કોઈ સગવડ નથી. દેવભૂમિ દ્વારકા જિલ્લાની ત્રણ બાજુ સાગરકાંઠો આવેલો હોય જમીનોના તળમાં ખારા પાણી આવી જવાની શક્યતાઓ વધારે છે એટલે બોર કુવાથી પણ સિંચાઈ શક્ય નથી, ત્યારે ખેડૂતો પાસે હવે સરકાર સામે મીટ માંડવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ ન હોય ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાને તાત્કાલિક અસરથી સંપૂર્ણપણે અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે.

જિલ્લામાં છેલ્લા ત્રીસ (1988 થી 2017) વર્ષનો સરેરાશ વરસાદ 632mm નોંધાયો હતો. તેની સામે વર્તમાન વર્ષમાં 291mm વરસાદ નોંધાયો હતો.
ચારેય તાલુકા મથકે ભાણવડ 282, દ્વારકા 144, કલ્યાણપુર 158 અને ખંભાળિયા 579mm વરસાદ નોંધાયો હતો.
જિલ્લામાં ચાલુ વર્ષે જે 291mm વરસાદ નોંધાયો તેમાંથી વાવણી સમયે એટલે કે જુલાઈ મહિનાની 16, 17, 18 અને 19 તારીખના સમયગાળામાં માત્ર ચાર જ દિવસમાં 291mmમાંથી 210-15mm જેટલો વરસાદ નોંધાયો હતો. બાકીના આખા ચોમાસાની ઋતુ દરમિયાન 120 દિવસના ગાળામાં કોઈ દિવસ 5mm તો કોઈ દિવસ 2mm એમ કરી 60 થી 70mm વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં વાવણીનો સાર્વત્રિક સારો વરસાદ બાદ એક સાથે એક ઇંચ (25mm) વરસાદ જિલ્લાના એક પણ તાલુકા મથકે નોંધાયો નથી. 16 સપ્ટેમ્બરના રોજ ખંભાળિયા હેડ કવાટરમાં 41mm નોંધાયો તે માત્ર ખંભાળિયા શહેરમાં જ વરસાદ હતો, ખંભાળિયાની આસપાસના એકપણ ગામમાં આ વરસાદ હતો નહીં.

ખંભાળિયા તાલુકા મથકે તારીખ 16, 17, 18 અને 19 જુલાઈના રોજ ચાર દિવસમાં એક સાથે 470mm વરસાદ પડ્યો જેના કારણે જિલ્લામાં વરસાદની સરેરાશ ઊંચી આવી ગઈ બાકી ખંભાળિયા ને બાદ કરતાં જિલ્લામાં આ ચાર દિવસનો વરસાદ ભણવાડમાં 146mm, દ્વારકામાં 97mm, કલ્યાણપુરમાં 117mm જેટલો જ વરસાદ નોંધાયો હતો.

ચારેય તાલુકા મથકે વરસાદ માપવાની વ્યવસ્થા છે એ ઊપરાંત અલગ અલગ 18 જેટલા ગામોમાં (CHC, PHC સેન્ટર) વરસાદના આંકડા માપવાની વ્યવસ્થા છે જેના ચાલુ વરસના કેટલાક સેન્ટરમાં નોંધાયેલા ચાલુ વરસમાં પડેલા મોસમના કુલ વરસાદના આંકડાઓ પર નજર કરીએ તો દ્વારકા તાલુકાના બે સેન્ટર વરવાળામાં 62mm અને સુરજકરાડીમાં 50mm, કલ્યાણપુર તાલુકાના રાજપરામાં 76mm અને દેવરિયામાં 121mm, ખંભાળિયા તાલુકામાં ભીંડામાં 106mm અને ભાડથરમાં 120mm ભાણવડ તાલુકામાં ગુંદામાં 159mm મોસમનો કુલ વરસાદ નોંધાયો હતો.

આમ સરકાર વરસાદના વિસ્તરણને ધ્યાને લઈ અછતગ્રસ્ત બાબતે વિચારે તો જુલાઈના ચાર દિવસમાં પડેલા વરસાદને બાદ કરતાં જિલ્લામાં વરસાદ પડ્યો જ નથી. 125mm વરસાદને ધ્યાને લઈ અછતગ્રસ્ત જાહેર કરે તો ઉપરોક્ત CHC PHC સેન્ટરના આંકડાઓ જુઓ દરેક તાલુકામાં CHC PHC સેન્ટરમાં નોંધાયેલો વરસાદ લગભગ 125mm કરતાં ઓછો કે તેની આસપાસ છે અને છેલ્લા ત્રીસ વર્ષના વરસાદના આંકડાઓ સાથે વર્તમાન વરસમાં મોસમનો પડેલો કુલ વરસાદની સરેરાશ કાઢવામાં આવે તો પણ દેવભૂમિ દ્વારકા જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવો જ પડે તેવી સ્થિતિ છે.

તાજેતરમાં જ 1337 ગામોને સરકાર દ્વારા અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા એટલે સ્પષ્ટ વાત છે કે સરકાર ગામોને અછતગ્રસ્ત જાહેર કરે છે અને હકીકત એ છે કે સરકાર પાસે દરેક ગામદીઠ વરસાદ નોંધવાની વ્યવસ્થા નથી. ત્યારે આઠ દસ ગામોના સમુહનું પ્રતિનિધિત્વ કરતા CHC, PHC સેન્ટરમાં નોંધાયેલા વરસાદને ધ્યાને લેવામાં આવે છે ત્યારે ઉપરોક્ત CHC, PHC સેન્ટર પર નોંધાયેલા આંકડાઓ 125mm કરતા ઓછો વરસાદ હતો. જે જિલ્લાના ચતુર્દિશામાં આવેલા સેન્ટરો છે અને ત્યાં નોંધાયેલો વરસાદ જ પોતે ચાડી ખાય છે કે સરકારે તાત્કાલિક અસરથી જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવો જ જોઈએ. જિલ્લાને તાત્કાલિક અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે તથા જિલ્લાના દરેક ગામમાં 100% પાકવિમો જાહેર કરી ખેડૂતોની વ્હારે આવો નહીંતર ખેડૂતોને વર્ષ પસાર કરવું મુશ્કેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp