તાના-રીરી સમારોહમાં CMએ કહ્યુ-પશ્ચિમનું સંગીત તન ડોલાવે, પણ આપણુ સંગીત મન ડોલાવે

PC: kc

પશ્ચિમનું સંગીત તનને ડોલાવે છે,પણ આપણું સંગીત મનને ડોલાવે છે ભારતીય સંગીતની સરવાણીનું મૂળ ભારતની સંસ્કૃતિ અને તેની આધ્યાત્મિક વિરાસતમાં રહેલું છે તેવું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેનદ્રભાઇ પટેલે વડનગર ખાતે તાના-રીરી કાર્યક્રમ ખુલ્લો મુકતાં જણાવ્યું હતું. સૌ કલા સાધકો, કલા રસિકો અને વડનગર વાસીઓને નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન પાઠવી મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે આપણા લોકસંગીત, ભક્તિસંગીત, શાસ્ત્રીય કે સુગમ સંગીત હરેક સંગીતમાં આત્માથી પરમાત્માના સ્નેહનો અતૂટ નાતો સ્વર સંગીતના સેતુથી રચાય છે.

બૌદ્ધ વિરાસતના અવશેષો સાચવીને બેઠેલું વડનગર સંગીત, કલા, ગાયન, વાદન, નૃત્યકલાના પ્રચાર પ્રસાર માટે સુવિખ્યાત છે. તેવુ જણાવી સોળમી સદીના આદ્યકવિ નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઇની દીકરી શર્મિષ્ઠાની બે દીકરીઓ તાના-રીરી આ વડનગર ભૂમિમાં જન્મ લઇને સંગીતની આકરી આરાધનાથી રાગ- રાગણીઓનો ભક્તિ ભાવથી સત્કાર કર્યો છે. તેમણે તાના-રીરી બહેનોની ઐતિહાસિક વાત કરી જણાવ્યું હતું કે આ ગુર્જર નારીરત્નોની આત્મસન્માન સ્વભિમાનની ગાથા તાના-રીરીએ સદાકાળ અમર કરી દીધી છે.

કલા, સાહિત્ય, સંસ્કૃતિ, સંગીતની વિરાસત રાજ્યઆશ્રિત ક્યારેય ના હોવો જોઇએ, રાજ્ય પુરસ્કૃત જ હોવો જોઇએ તેવો અમારો સ્પષ્ટ મત છે તેવું જણાવી મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર આવા ક્ષેત્રોને પુરસ્કૃત કરીને-પ્રોત્સાહન પીઠબળ આપીને આવી કલા પ્રવૃતિનું જતન, સંવર્ધન અને માવજતનું દાયિત્વ નિભાવી રહી છે.

તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન અને પ્રેરણાથી તાના-રીરી સંગીત મહાવિદ્યાલય પરફોર્મિગ આર્ટસ કોલેજ વડનગર ખાતે શરૂ કરવામાં આવી છે. આ કોલેજમાં ઇન્સ્ટ્રુમેન્ટલ અને વોકલ મ્યુઝિક અને ભારતીય નૃત્ય પરંપરાના છ મહિનાના ટૂંકા કોર્ષ ચાલી રહ્યા છે. તેમજ ડિગ્રી ડિપ્લોના અભ્યાસક્રમોનો આયોજન છે. હાલ 130 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી પારંગત થઇ રહ્યા છે.

આ તકે તેમણે વડનગરની પુણ્યધરા ઉપરથી તાના-રીરી ઍવોર્ડથી સન્માનિત થયેલા બે સિદ્ધહસ્ત સંગીતજ્ઞ નારી રત્નોને ગુજરાતના સાડા છ કરોડ નાગરિકો વતી અભિનંદન પાઠવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છેકે તાના-રીરી મહોત્સવની શરૂઆત રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ 2003ના વર્ષમાં કરી હતી. સંગીત સામ્રાજ્ઞી તાના-રીરીની યાદમાં દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા આ દ્વ્રિ-દિવસીય મહોત્સવ કારતક સુદ નોમના દિવસે ઉજવવામાં આવે છે. તાના-રીરી મહોત્સવ સંદર્ભે તાના-રીરી સંગીત સન્માન ઍવોર્ડ આપવાની શરૂઆત 2010માં રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કરી હતી. તાના-રીરી સંગીત સન્માન ઍવોર્ડ, 2010માં પ્રથમ વર્ષે ખ્યાતનામ સંગીત બેલડી લતા અને ઉષા મંગેશકરને તત્કાલીન માન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.

તાના-રીરી સંગીત સન્માન ઍવોર્ડ 2011માં બીજા વર્ષે પદ્મભૂષણ ગિરિજાદેવીને અર્પણ કરવામાં આવ્યો હતો. 2012માં કિશોરી અમોનકર, 2013માં પરવિન બેગમ સુલતાન તેમજ વર્ષ 2014નો ઍવોર્ડ ડૉ .પ્રભા અત્રેને આપવામાં આવ્યો હતો. 2016માં વિદૂષી મંજુબહેન મહેતા, અમદાવાદ અને ડૉ લલિત જે. રાવન મહેતા, બેંગ્લોરને અર્પણ કરાયો હતો. 2017માં આ ઍવોર્ડ પદ્મભૂષણ ડૉ. એન.રાજમ અને વિદૂષી રૂપાંદે શાહને અર્પણ કરાયો. જ્યારે 2018માં પદ્મશ્રી આશા ભોંસલેને અર્પણ કરવામાં આવ્યો હતો.2019માં આ ઍવોર્ડ અશ્વિની ભીંડે દેશપાંડે અને પિયુ સરખેલને અર્પણ કરાયો હતો.

તાનારીરી ઍવોર્ડ-2020 સુપ્રસિદ્ધ ગાયિકા અનુરાધા પોંડવાલ અને વર્ષાબેન ત્રિવેદીને અર્પણ કરાયો હતો. તાના-રીરી ઍવોર્ડ વર્ષ-2021 પદ્મશ્રી કવિતા કૃષ્ણમૂર્તિ, મુંબઇ અને ડૉ. વિરાજ અમર ભટ્ટ અમદાવાદને આપવામાં આવનાર છે. આ ઍવોર્ડમાં પ્રત્યેક એવોર્ડીને રૂ 2,50,000નો ચેક, શાલ અને તામ્રપત્ર મુખ્યમંત્રીના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. જેમાં પ્રત્યેક એવોર્ડીને રૂ 2,50,000નો ચેક, શાલ અને તામ્રપત્ર ઉપરાંત મોમેન્ટો આપવામાં આવ્યા હતા

તાના-રીરી મહોત્સવના શુભારંભ કાર્યક્રમમાં પ્રથમ દિવસે પદ્મશ્રી કવિતા કૃષ્ણમુર્તિ, ડો વિરાજ અમરભટ્ટ દ્વારા ગાયન અને ડો એલ સુબ્રમણ્યમ દ્વારા વાયોલીન વાદનની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ 120 ભૂંગળ વાદકોએ 05 મિનિટ સમુહ ગાન ગાઇ વિશ્વ રેકોર્ડ રચ્યો હતો તેમને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp