વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ મહાનગરમાં પંદર ચાલશે હેરિટેજ મહોત્સવ 

PC: facebook.com/vijayrupanibjp

મુખ્યમંત્રી  વિજય રૂપાણીએ ભારતના પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર થયેલા અમદાવાદમાં તા.૧ થી ૧પ ઓગષ્ટ દરમિયાન હેરિટેજ મહોત્સવ ઉજવવાની જાહેરાત કરી છે. વિજય રૂપાણીએ અમદાવાદ મહાપાલિકાના તંત્રવાહકો તથા રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો સાથે આ હેરિટેજ મહોત્સવના આયોજન અંગે માર્ગદર્શન આપવા ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. 

જન ઉમંગ ઉત્સવના વાતાવરણ નિર્માણની ભૂમિકા 

 સામાજિક સમરસતા-સદભાવના હેરિટેજ યાત્રાથી સમાજ ઐકયનો સંદેશ પ્રસરાવાશે

 શાળા-કોલેજના વિદ્યાર્થીઓની નિબંધ-પેઇન્ટીંગ- શોર્ટ મોબાઇલ ફિલ્મ સ્પર્ધા યોજાશે શ્રેષ્ઠ કૃતિઓને પુરસ્કાર-ઇનામ અપાશે   

 વિશ્વના-ભારતના પૂરાતત્વ તજ્જ્ઞોની કોન્ફરન્સ યોજવા પ્રેરક સૂચન

 શાળા-કોલેજના યુવા છાત્રોના હેરિટેજ પ્લેસીસના પ્રવાસો 

 ઉજવણી સમાપન રિવર ફ્રન્ટ ખાતે ભવ્ય સમારોહથી થશે

 લેસર શો-થીમ બેઇઝડ લાઇટીંગ-લોક સંસ્કૃતિ ઊજાગર કરતા કાર્યક્રમો

 મહાનગરમાં જનઉત્સવનું વાતાવરણ ઊભૂ કરવા  વિજય રૂપાણીનું પ્રેરક સૂચન  

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ભારતના પ્રથમ હેરિટેજ સિટીનું ગૌરવ સન્માન યુનેસ્કો તરફથી અમદાવાદને મળ્યુ છે તેની ઉમંગ ઉજવણી ઉત્સવરૂપે જનભાગીદારીથી આ નગરના હેરિટેજ સ્થાનોને સાંકળી લઇને મહાપાલિકાતંત્ર કરે. આ માટે રાજ્ય સરકાર પણ સહાયક બનશે તેમ તેમણે ઉમેર્યુ હતું.

ભારતના પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટીમાં જોડાશે સમગ્ર લોકો

રૂપાણીએ આ હેરિટેજ મહોત્સવ દરમ્યાન અમદાવાદમાં વસવાટ કરતા તમામ જાતિ-જ્ઞાતિ સમુદાયના વર્ગોને જોડીને સામાજિક સમરસતા-સદભાવના હેરિટેજ યાત્રા યોજવાનું પ્રેરક સૂચન કર્યુ હતું. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, મુસ્લિમ, શીખ, જૈન, સ્વામીનારાયણ સંપ્રદાય સહિતના વિવિધ સમાજવર્ગોના નાગરિકો પરિવારો સ્વયંભૂ આ યાત્રામાં જોડાઇને હેરિટેજ સિટીનું સામાજીક ઐકય ઊજાગર કરશે. તેમણે મહાનગરના ૬ ઝોનમાં આવી યાત્રાઓ યોજવાના આયોજન માટે જણાવ્યું હતું. 

મુખ્યમંત્રીએ આ ઉજવણીમાં સ્વૈચ્છિક સંગઠનો, હેરિટેજ સ્થાનોના ટ્રસ્ટીમંડળો પણ જોડાય એટલું જ નહિ, અમદાવાદ મહાનગરની આ વિરાસતને વધુ વ્યાપક સ્તરે પ્રસિધ્ધી આપવા શાળા-કોલેજના બાળકો-વિદ્યાર્થીઓની નિબંધ સ્પર્ધા-પેઇન્ટીંગ હરિફાઇ, ૧ મિનીટની ટૂંકી મોબાઇલ ફિલ્મની સ્પર્ધા થાય અને શ્રેષ્ઠ કૃતિઓને ઇનામ-પુરસ્કાર અપાય તેનું માર્ગદર્શન આપ્યુ હતું. 

મુખ્યમંત્રીએ વિશ્વના અને ભારતના  પૂરાતત્વ તજ્જ્ઞોની એક કોન્ફરન્સ અમદાવાદ મહાનગરમાં હેરિટેજ મહોત્સવ અંતર્ગત યોજવાનું તથા હેરિટેજ ઇમારતો-સ્થાપત્યોને થીમ બેઇઝ આકર્ષક રોશની, લેસર-શો, લાઇટીંગથી સુશોભિત કરવાના  સમગ્રતયા આયોજનની બાબતે પણ દિશાસૂચનો કર્યા હતા.

તેમણે શાળા કોલેજોના યુવા વિદ્યાર્થીઓમાં હેરિટેજ સ્થાનો અંગે રૂચિ કેળવાય અને નવી પેઢી શહેરની વિરાસતથી માહિતગાર થાય તે માટે અલગ-અલગ દિવસોએ હેરિટેજ પ્લેસીસના પ્રવાસ યોજવા જોઇએ. આ ઉપરાંત નગરજનો પણ હેરિટેજ વોક માટે પ્રેરિત થાય તેવું વાતાવરણ નિર્માણ કરવા સૂચન કર્યુ હતું. વિજય રૂપાણીએ  મહાનગરમાં ઝોન વાઇઝ અને વિધાનસભા વિસ્તાર દીઠ હેરિટેજ સેમિનાર યોજીને મહત્તમ જનભાગીદારી પ્રેરિત કરવાના આયોજનની ભૂમિકા આપી હતી. 

સમગ્ર મહાનગરમાં આ ઉત્સવ ઉજવણીનું વાતાવરણ બને તે માટે લોકસંસ્કૃતિના કાર્યક્રમો, સાંસ્કૃતિક કાર્યક્રમો, સર્કલના સુશોભન, સ્વછતા સફાઇ ઝૂંબેશ, સ્થાપત્યોના જાળવણીની જાગરૂકતા માટેના વિવિધ કાર્યક્રમો લોક સહયોગથી યોજવા તેમણે મહાપાલિકાના તંત્રવાહકોને પ્રેરિત કર્યા હતા. 

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામેલા સ્થળો ઉપરાંત મહાનગરના અન્ય પૂરાતત્વીય સ્થળો હઠીસીંગના દેરા, અડાલજ વાવ, ડચહોમ, નગીના વાડી, વોરાનો રોજો, દાદા હરિની વાવ અને માતા ભવાની વાવને પણ સુશોભિત કરીને સમગ્ર મહાનગરમાં જનઉત્સવનો માહોલ ઊભો કરવામાં આવશે.આ મહોત્સવનું ભવ્ય સમાપન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે થાય તેવું પણ તેમણે સૂચવ્યું હતું. 

આ બેઠકમાં ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજ્યમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, મેયર ગૌત્તમભાઇ શાહ, ડેપ્યુટી મેયર પ્રમોદાબહેન, સ્ટેન્ડીંગ કમિટી અધ્યક્ષ પ્રવિણભાઇ પટેલ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, કમિશનર મૂકેશકુમાર, શહેરી વિકાસ અગ્ર સચિવ મૂકેશ પૂરી, યુવક સેવા રમત-ગમત સચિવ વી. પી. પટેલ, અમદાવાદ કલેકટર અવંતિકા,ઓએસડી ડી. એચ. શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp