સરકારમાં સોશિયલ મીડિયાનો સર્વોત્તમ પ્રયોગ શરૂ થયો છે

PC: khabarchhe.com

ગુજરાતના રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી (સ્વતંત્ર વિભાગ) શંકર ચૌધરીએ એક અનુકરણિય કદમ ઉઠાવ્યું હતું જેને સચિવાલયમાં ભારે લોકચાહના મળી હતી. તેમણે ટ્વિટર પર આવેલા એક મેસેજને ગંભીરતાથી લઇને કેન્સર પેન્શનને મા અમૃતમ યોજના હેઠળ મળતા સરકારી લાભ અપાવી વધુ દામ વસૂલ કરનારા સામે તપાસ શરૂ કરવાનો આદેશ કર્યો હતો.

ડિજીટલ ગુજરાતમાં આજે સચિવાલય અને સરકારી કચેરીઓમાં લાઇવ સંપર્ક આવશ્યક બન્યો છે અને તેના માટે સોશ્યલ મિડીયા એ અસરકારક માધ્મયો બન્યાં છે. પારદર્શક વહીવટની વાતો વચ્ચે સરકારે તેના પબ્લિક ડિલીંગ છે તેવા વિભાગોને સોશ્યલ માધ્યમથી લાઇવ બનાવવાની આવશ્યકતા છે. નવી સરકારના કેબિનેટ મંત્રીઓ જો આટલી જાગૃતતા દાખવશે તો પાંચ વર્ષે ચૂંટણી પ્રચારમાં રૂપિયા ખર્ચવાની જરૂરત નહીં પડે.

રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી શંકર ચૌધરીએ તાજેતરમાં તેમની ઓફિસનું જીવંત પ્રસારણ કરીને રાજ્યની કેબિનેટને ચોંકાવી દીધી હતી. કેન્દ્ર સરકારમાં સુષ્મા સ્વરાજ અને સુરેશ પ્રભુ એવા બે મંત્રીઓ છે કે જેઓ ટ્વિટરના કન્વર્જેશન અથવા મેસેજ જોઇને અરજદારોના પ્રશ્નોને ઉકેલવાના શરૂ કરે છે તેમ શંકર ચૌધરીએ પણ આવો પ્રયોગ ગુજરાતમાં શરૂ કર્યો હતો પરંતુ તે માત્ર એક જ દિવસ પૂરતો મર્યાદિત રહ્યો હતો.

જો ગુજરાતમાં પબ્લિક ડિલીંગ કરતા વિભાગોના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ ફેસબુક અને ટ્વિટરના માધ્મયથી લોકોના પ્રશ્નો અને ફરિયાદોનો નિકાલ કરે તો સામાન્ય જનતાને રાહત મળી શકે છે. આપણા પ્રજાના પ્રતિનિધિઓ તેમજ સચિવાલયનો વહીવટ કરતી બ્યુરોક્રેસી ઓનલાઇન બને તો ફાઇલોના નિકાલમાં ઝડપ આવે અને અરજદારોની ફરિયાદો ઉકેલવામાં મહિનાઓનો વિલંબ થતો અટકી શકે છે. આજે સચિવાલયમાં રજૂઆતકર્તાઓના વિવિધ પ્રશ્નો મહિનાઓથી પેન્ડીંગ પડી રહ્યાં છે. હાલ રેવન્યુ વિભાગના અગ્રસચિવ પંકજકુમાર તેમના વિભાગો માટે ટ્વિટર અને ફેસબુકનું માધ્મય વાપરી રહ્યાં છે. એટલું જ નહીં વોટ્સઅફ મેસેજ દ્વારા જન જનને રિપ્લાય કરી પ્રશ્નનું નિરાકરણ લાવવા જિલ્લા વહીવટી તંત્રને આદેશ કરે છે.

ગુજરાતમાં આરોગ્ય ઉપરાંત ગૃહ, પંચાયત, શહેરી વિકાસ, ઉદ્યોગ, ટ્રાન્સપોર્ટેશન, શ્રમ, રોજગાર, શિક્ષણ, મહેસૂલ, કૃષિ અને તેના જેવા એક ડઝન વિભાગો એવા છે કે જેમાં પબ્લિક ડીલીંગ વધારે જોવા મળે છે. રોજબરોજ લોકોની ફરિયાદો વિવિધ વિભાગોમાં આવતી હોય છે. આપણા પ્રજાના પ્રતિનિધિઓ સોશ્યલ માધ્યમનો ઉપયોગ તો કરે છે પરંતુ સાથે સાથે જો તેઓ નિયમિત લોકોના મેસેજ વહન કરે તો સચિવાલયમાં મુલાકાતીઓની ભીડ ઓછી થાય અને લોકોના પ્રશ્નો સ્થળ પર ઉકલી શકે છે. લાંચના કેસોમાં તો આ માધ્યમો ખૂબ જ અસરકારક નિવડે છે.

સ્કૂલ કે કોલેજમાં વિદ્યાર્થીનીની છેડતી થઇ હોય, શિક્ષણમાં કોઇ વિદ્યાર્થીને ઇન્સ્ટીટ્યુટમાંથી ખરાબ અનુભવ થાય, સરકારની સહાય યોજનાઓમાં કોઇ અધિકારી વિલંબ કરે અથવા લાંચની રકમ માટે કે કોઇ જગ્યાએ અકસ્માત થયો હોય અને ત્વરીત મદદની જરૂર હોય તો- તેવા સંજોગોમાં ટ્વિટર, ફેસબુક અને વોટ્સઅપ માધ્મય ફાયર ફાઇટરનું કામ કરે છે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોશ્યલ મિડીયાના ચાહકો છે અને તેમણે સોશ્યલ મિડીયાથી લોકોના પ્રશ્નો ઉકેલવાનું શરૂ કર્યું છે ત્યારે રૂપાણીએ તેમના કેબિનેટ મંત્રીઓને એવો આદેશ કરવો જોઇએ કે તમામ સભ્યોએ સોશ્યલ માધ્યમનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ કરવો અને લોકોની ફરિયાદોનો ત્વરીત નિકાલ કરવો. ભૂતકાળમાં જયનારાયણ વ્યાસ એવા મિનિસ્ટર હતા કે જેમણે તેમની ઓફિસમાં ઓપીડી શરૂ કર્યું હતું. મુલાકાતીઓ અને ફરિયાદીઓની માહિતી એકત્ર કરીને તેના નિકાલની સમયમર્યાદા બાંધી હતી અને લોકોને યસ ઓર નો નો જવાબ કારણ સાથે મળી જતો હતો.

ગુજરાતમાં ટ્વિટર અને ફેસબુક હેન્ડલ કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી, મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને શંકર ચૌધરીએ સરાહનિય કાર્યો કર્યા છે. તેમની જેમ આપણી બ્યુરોક્રેસીમાંથી પંજક કુમાર, વિજય નહેરા, અજય ભાદુ, રાજીવકુમાર ગુપ્તા જેવા અધિકારીઓ ફેસબુક અને ટ્વિટરનો પોઝિટીવ ઉપયોગ કરે છે. તેમની આ પ્રવૃત્તિ મિડીયા જ નહીં સચિવાલયમાં પણ લોકપ્રિય બની છે. શંકર ચૌધરીએ તેમના સાથી સભ્યો માટે એક નવી જ દિશા ખોલી આપી છે જે મોદી સરકારના કેટલાક મંત્રીઓ અને અધિકારીઓ કરી રહ્યાં છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp