CMએ હસ્તે કૃષિ વૈવિધ્યકરણ યોજનાનું ઇ લોન્ચીંગ, જુઓ ખેડૂતોને કેવી રીતે થશે ફાયદો

PC: Khabarchhe.com

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વનબંધુ-આદિજાતિ વિસ્તારના ખેડૂતોને પરંપરાગત ખેતીને સ્થાને ટેકનોલોજીના વિનિયોગથી આધુનિક ખેતી તરફ વળવાની માનસિકતા કેળવવા માઇન્ડ સેટ બદલવા અનુરોધ કર્યો છે. મુખ્યમંત્રી રાજ્યના અંબાજીથી ઉમરગામ વિસ્તારના 14 આદિજાતિ જિલ્લાના 53 તાલુકાઓના 76 હજારથી વધુ વનબંધુ કિસાનોને કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત રૂ. 35 કરોડના ખાતર-બિયારણ કિટના વિતરણના ઇ લોન્ચીંગ અવસરે સંબોધન કરી રહ્યા હતા.

આદિજાતિ કલ્યાણ મંત્રી ગણપતસિંહ વસાવા, રાજ્યમંત્રી રમણ પાટકર આ ઇ લોન્ચીંગ વેળાએ ગાંધીનગરથી મુખ્યમંત્રી સાથે જોડાયા હતા. રાજ્યના વનબંધુ ક્ષેત્ર છોટાઉદેપૂર, દાહોદ, સુરત અને વલસાડના ગ્રામીણ ક્ષેત્રોમાં સાંસદો, ધારાસભ્યો અને જિલ્લા-તાલુકા પ્રમુખો તથા વનબંધુ લાભાર્થીઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. મુખ્યમંત્રીએ આ બિયારણ-ખાતર કિટ વિતરણના ઇ લોન્ચીંગને કોરોના સામે-કોરોના સાથે રોજિંદી પ્રવૃત્તિઓ શરૂ કરીને કોરોનાને હરાવવાની ગુજરાતની પ્રતિબદ્ધતા રૂપ અવસર ગણાવ્યો હતો.

તેમણે કહ્યું કે, વિકાસની મુખ્ય ધારામાં વનબાંધવો પણ આવી જાય અને સર્વગ્રાહી વિકાસની સંકલ્પના પાર પડે તે માટે તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરીને આદિજાતિઓને પણ શિક્ષણ, આરોગ્ય, વીજળી, કૃષિ-સિંચાઇના અનેક અવસરો પૂરા પાડયા છે.

મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, જ્યાં સુધી વંચિત વનબંધુઓ-છેવાડાના અંતરિયાળ વિસ્તારના આદિજાતિઓ વિકસીત ન થાય ત્યાં સુધી વિકાસ અધૂરો છે. વિજય રૂપાણીએ આ સંદર્ભમાં ઉમેર્યુ કે, આ સરકારે પણ વનબંધુઓના વિકાસને વધુ ગતિ આપવા પેસા એકટનો અમલ કરીને વનબાંધવોને જમીન માલિક બનાવ્યા છે. એટલું જ નહિ, આદિજાતિ વિસ્તારોમાં મેડીકલ કોલેજ, એકલવ્ય શાળાઓ, વીજળી સિંચાઇ સુવિધાઓ આપીને વનબંધુઓને સમયાનુકૂલ વિકાસની નવી દિશા આપી છે એમ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતને આત્મનિર્ભર બનાવવા અને ખેડૂતોની આવક બમણી કરવાની જે ભાગીરથ પહેલ કરી છે તેમાં આ રૂ. 35 કરોડની ખાતર-બિયારણ સહાય ગુજરાતના વનબંધુઓને ઉપયુકત બનશે. વિજય રૂપાણીએ એમ પણ કહ્યું કે, કૃષિ વૈવિધ્યકરણ યોજના રાજ્યના નાના અને સીમાંત આદિવાસી ખેડૂત ઓ બહેનોને આત્મનિર્ભર બનાવવાની દિશામાં આદિજાતિ વિભાગનો એક મહત્વપૂર્ણ કાર્યક્રમ છે.

આ યોજના અંતર્ગત આદિજાતિ ખેડૂતોને 1 એકર જમીન માટે સુધારેલ જાતના શાકભાજીના બિયારણ અથવા મકાઇના પાક માટેના બિયારણનો લાભ આપવામાં આવે છે. ખેડૂતોને ખાતરમાં યુરિયા 45 કિ.ગ્રામ, એન.પી.કે.50 કિ.ગ્રામ અને એમોનીયમ સલ્ફેટ 50 કિ.ગ્રામની કીટ આપવામાં આવે છે. આદિવાસી ખેડૂતો માત્ર પરંપરાગત ખેત પદ્ધતિ ઉપરજ નિર્ભર ન રહેતા સુધારેલ મકાઇ તથા શાકભાજીના બિયારણ તથા ખાતર અને ખેતીને લગત આવશ્યક તાલીમ મેળવી વધુ ખેત ઉપજ અને વધુ આવક રળતા થાય અને તેમનું જીવનધોરણ સદ્ધર થાય તેવા ઉદેશ્યથી શરૂ થયેલી આ યોજનામાં અત્યાર સુધીમાં આશરે પાંચ લાખ આદિજાતિ ખેડૂતોને લાભો આપવામાં આવ્યા છે.

મુખ્યમંત્રીએ કોરોના-કોવિડ-19 સંક્રમણની સ્થિતિમાં જે વનબંધુ-આદિજાતિ શ્રમિકો પોતાના વતન જતા રહ્યા હતા તેવા શ્રમિકો કામકાજના સ્થળે પાછા આવે ત્યારે તેમને આવાસ મળી રહે તે માટે ગુજરાત આત્મનિર્ભર પેકેજમાં ખેતમજૂરો અને શ્રમિકોના આવાસ માટે રૂ. 350 કરોડની મકાન સહાય સબસિડીની જોગવાઇ કરીને આવાસથી વંચિત આદિવાસી ખેતમજૂરો અને શ્રમિકોને આવાસ સુવિધા આપવાની સરકારની નેમ પણ દર્શાવી હતી.

આદિજાતિ કલ્યાણ મંત્રી ગણપતસિંહ વસાવાએ નાના-સિમાંત વનબંધુ ખેડૂતો સારા ખાતર-બિયારણથી વધુ સારી ઉપજ મેળવી શકે અને પોતાની પેદાશના ઊંચા ભાવ મેળવી શકે તેવા ઉદાત્ત ભાવથી આ કૃષિ વૈવિધ્યકરણ યોજના શરૂ થઇ છે તેની ભૂમિકા આપી હતી. તેમણે વનબંધુ ખેડૂતો સહિત અંબાજીથી ઉમરગામ સુધીની સમગ્ર આદિજાતિ પટ્ટીમાં વસતા વનબાંધવોના સર્વગ્રાહી વિકાસ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રતિબદ્ધતાના ઉદાહરણ આપતાં કહ્યું કે, વનબાંધવોના બાળકોને ઉચ્ચશિક્ષણ, મેડીકલ કોલેજની સુવિધા અને પેસા એકટથી સ્થાનિક વિકાસમાં આદિજાતિ સમાજની ભાગીદારી જેવા સંવેદનાસ્પર્શી આયામો મુખ્યમંત્રીએ અપનાવ્યા છે.

કૃષિ વૈવિધ્યકરણ યોજના તહેત ખેડૂતોને બિયારણ ખાતર કિટની વિતરણ વ્યવસ્થા આદિજાતિ વિકાસ વિભાગના સાનિધ્ય-સહયોગથી ગુજરાત સ્ટેટ ફર્ટીલાઇઝર કોપોરેશનની પેટા કંપની ગુજરાત સ્ટેટ ફર્ટીલાઇઝર એગ્રો ટેક લીમીટેડ GATL દ્વારા વનબંધુ જિલ્લાઓમાં હાથ ધરવામાં આવશે. આ અવસરે છોટાઉદેપૂર, વલસાડ, દાહોદ અને સુરતના અંતરિયાળ ગામોના વનબંધુ લાભાર્થીઓએ પોતાને કિટ મળતાં થયેલા લાભ અને આર્થિક જીવનધોરણમાં આવેલા બદલાવની વાત પોતાના સહજ પ્રતિભાવમાં વ્યકત કરી હતી. GSFCના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર અરવિંદ અગ્રવાલ, આદિજાતિ વિકાસ સચિવ અનુપમ આનંદ, ડી-સેગના CEO આર. એસ. નિનામા વગેરે આ ઇ લોન્ચીંગમાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp