CM રૂપાણીને બદલવાની કોઈ સંભાવના અને શક્યતા નથીઃ ભરત પંડ્યા

PC: Khabarchhe.com

ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ પ્રદેશ કાર્યાલય- કમલમ્‌ ખાતે ઈલેક્ટ્રોનિક મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં પ્રદેશ કાર્યાલય ખાતે ભાજપા પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી. 17 અને 18 એમ બે દિવસ ચાલનારી આ બેઠકમાં તા. 17ના રોજ 37 તાલુકા પંચાયત અને તા. 18ના રોજ 48 તાલુકા પંચાયત માટેના પદાધિકારીઓની નિયુક્તિ માટેના નામોની ચર્ચા-વિચારણા કરવામાં આવશે. તેમજ તા. 18ના રોજ સાંજે 4.30 કલાકે પ્રદેશ કોર ગ્રુપ, લોકસભા ચૂંટણી સમિતિ અને પ્રદેશ મહામંત્રીઓની એક સંયુક્ત બેઠક રાખવામાં આવી છે. આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા, પ્રદેશ મહામંત્રીઓ સહિત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો ઉપસ્થિત રહેશે.

પંડ્યાએ ભાજપાના આગામી કાર્યક્રમોની માહિતી આપતાં જણાવ્યું હતું કે, આગામી તા. 20 જૂન સવારે 9 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશભરના કિસાનો સાથે નમો એપ તેમજ અન્ય માધ્યમો દ્વારા સીધી વાત કરવાના છે. ભાજપા કિસાન મોરચા દ્વારા ગુજરાતભરમાં શક્તિકેન્દ્રો પર ખેડૂતો સાથે સામુહિકતામાં સાંભળવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

આગામી 21 જૂનના રોજ ચોથા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 27 સપ્ટેમ્બર, 2014ના દિવસે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યોગ દિવસ માટેની દરખાસ્ત મૂકી હતી. જેને 11 ડિસેમ્બર, 2014ના રોજ મંજુરી આપવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે 21 જૂનના રોજ વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે ગુજરાતભરમાં ભાજપાના કાર્યકર્તાઓ/ આગેવાનો જીલ્લા અને મંડલ સ્તર સુધીના કાર્યક્રમોમાં ભાગ લેશે.

આગામી 23 જૂનના રોજ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિને ભાજપા દ્વારા બલિદાન દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે ગુજરાતભરમાં ભાજપા કાર્યકરો દ્વારા દેશની રક્ષા કાજે શહિદ થયેલા શહિદવીરોને શ્રદ્ધાંજલી તેમજ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના જીવનકથન અંગેના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. 

આગામી 24 જૂનના રોજ પ્રધાનમંત્રી મનકી બાત કાર્યક્રમ દ્વારા દેશની જનતા સાથે સંવાદ કરશે. ભાજપાના કાર્યકરો દ્વારા સમગ્ર ગુજરાતના શક્તિકેન્દ્રો પર સામુહિક રીતે સાંભળવાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. આગામી 24-25 જૂનના રોજ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની વિશેષ ઉપસ્થિતિમાં એસજીવીપી, અમદાવાદ ખાતે ચિંતન બેઠક યોજાશે. જેમાં પ્રદેશ પ્રભારી ભુપેન્દ્રજી યાદવ, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પ્રદેશ અગ્રણીનેતાઓ ઉપસ્થિત રહેશે.

રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ઉપસ્થિતિમાં તા. 26 જૂનના રોજ અમદાવાદ ખાતે મીસાવાસીઓના સન્માનનો કાર્યક્રમ ભાજપા દ્વારા યોજવામાં આવ્યો છે. તા. 25 જૂન, 1975ના રોજ ઈન્દીરા ગાંધીએ પોતાની સત્તા ટકાવી રાખવા માટે દેશભરમાં ગેરબંધારણીય રીતે કટોકટી લગાવી દેશને બાનમાં લીધેલ હતો અને હજારો નિર્દોષ નાગરિકોને મીસાના કાયદા હેઠળ જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા. 25 જૂનના દિવસને લોકશાહીના કાળા દિવસ તરીકે મનાવવામાં આવે છે.

પ્રશ્નના જવાબમાં પંડ્યાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામાં અંગે અફવા/અપપ્રચાર એ કોંગ્રેસનું સંયુક્ત કારસ્તાન છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીને બદલવાની કોઈપણ પ્રકારની સંભાવના, શક્યતા નથી. હાર્દિક બહુ થયુ. વાસ્તવમાં તેણે જુઠ્ઠાણાં-વેર-ઝેર ફેલાવવાનો પોતાનો સ્વભાવ બદલવાની જરૂર છે. કોંગ્રેસ અને કોંગ્રેસની બી ટીમની ભાષા અરાજકતા, હિંસા અને વેર-ઝેર ફેલાવવાની છે. હમણાં જ કોંગ્રેસના એક ધારાસભ્ય દ્વારા જે હિંસાત્મક અને વેર-ઝેરની ભાષા બોલવામાં આવી છે, તેનાથી જ કોંગ્રેસનું ચાલ-ચરિત્ર ગુજરાતની જનતા ઓળખી ચૂકી છે. કોંગ્રેસને સત્તાનો વિયોગ અને વિરહ છે તેથી જ તે વિષાદમાં વાદ-વિવાદ-વેર-ઝેર ફેલાવે છે. કોંગ્રેસમાં તીવ્ર આંતરીક જુથબંધી અને નારાજગી છે. અનેક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કોંગ્રેસ સત્તામાંથી દૂર થઈ છે. અમરેલી જીલ્લામાં કોંગ્રેસે 3 નગરપાલિકા ગુમાવી છે. આ બધા વિષય પરથી લોકોનું ધ્યાન હટાવવા આ પ્રકારના ગતકડાં કોંગ્રેસ ચલાવી રહી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી ભ્રષ્ટાચાર સામે લડાઈ લડી રહ્યા છે. ખેડૂતો અને ગુજરાતની જનતા માટે દેશનું સૌથી મોટું અને લાંબુ સુજલામ સુફલામ જળ અભિયાન ચલાવી રહ્યા છે. ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિને અકસ્માત થાય તો તાત્કાલિક સારવાર માટે હૉસ્પિટલનો રૂ. 50 હજાર સુધીનો ખર્ચ સરકાર દ્વારા ચૂકવવામાં આવે. આવા અનેક સંવેદનશીલ નિર્ણયો પ્રજાહિતમાં લઈ રહ્યા છે. ગુડ ગવર્નન્સ માટે કુલ 26 વિભાગો અને 1700 પેરામીટર્સ સાથેના મોનીટરીંગ માટે “સીએમ ડેસ્કબોર્ડ” વ્યવસ્થાનો શુભારંભ કર્યો છે. તાજેતરમાં જ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ગામડામાં જઈને બાળકો અને વાલીઓને શિક્ષણ અંગે પ્રોત્સાહન આપવા ઝુંબેશ ચલાવી છે ત્યારે કોંગ્રેસ અને તેની બી ટીમ જુંઠ્ઠાણાં અને વેર-ઝેર ફેલાવવાના કાર્યક્રમો બંધ કરે તેમ પંડ્યાએ જણાવ્યું હતું.

પંડ્યાએ જણાવ્યુ હતું કે, તાજેતરમાં જ સૌની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર માં મોગલ વિશે કરવામાં આવેલ અભદ્ર ટીપ્પણીને ભાજપા સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે. તેમજ વિઠ્ઠલાપુર ખાતે એક યુવાનને માર મારવાની ઘટનાને વખોડી કાઢીએ છીએ. આ બાબતે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની સૂચનાથી પોલીસ તંત્ર કડક કાર્યવાહી કરી રહી છે. ભવિષ્યમાં આવા બનાવો ન બને અને સોશીયલ મીડિયા એ એન્ટી સોશીયલ મીડિયા કે વેર-ઝેર ફેલાવવાનું માધ્યમ ન બને તે માટે ભાજપાની અપીલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp