કોરોનાથી PG બિઝનેસને ફટકો, અમદાવાદમાં લાખો લોકોએ શહેર છોડ્યું

PC: bhaskarassets.com

ભાગ્યે એવું કોઈ સેક્ટર રહ્યું હશે જેને કોરોનાના ગ્રહણની અસર ન થઈ હોય. અમદાવાદ અભ્યાસ કરવા અને બે પૈસા કમાવવા આવતા લોકો ભાડે અથવા PGમાં રહેતા હોય છે. પણ શહેરમાં ધમધમતો PGનો બિઝનેસ એકાએક વેન્ટિલેટર પર આવી ગયો છે. કારણ કે, અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ અમદાવાદ છોડીને ચાલ્યા ગયા છે.

PG ચલાવતા અમદાવાદના વેપારીઓએ જણાવ્યું હતું કે, સમગ્ર શહેરમાં 2 લાખ જેટલા PG ધમધમે છે. 15 લાખ જેટલા છોકરા-છોકરીઓ તથા નોકરી કરતા લોકો અહીં રહે છે. એક વ્યક્તિદીઠ બે ટાઈમનું જમવાનું અને 2 ટાઈમની ચા-નાસ્તા સહિત ઓછામાં ઓછા 5 હજાર રૂપિયા સંચાલકો લેતા હતા. એટલે મહિને રૂ.750 કરોડ રૂપિયાનો આ વ્યાપાર અત્યારે ડચકા ખાઈ રહ્યો છે. જ્યારથી લોકડાઉન થયું ત્યારથી PGમાં રહેતા 70 ટકા લોકો રૂમ ખાલી કરીને જતા રહ્યા છે. અત્યારે 20થી 30 ટકા લોકો જ અહીંયા રહે છે. મોટાભાગના લોકો અમદાવાદ છોડીને ચાલ્યા જતા મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ઘણા બધા લોકો આ એક જ વ્યવસાય પર આધાર રાખતા હતા. એમના પરિવારની સ્થિતિ પણ કફોડી થઈ ગઈ છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધારે PG સેટેલાઈટ, વસ્ત્રાપુર, ગુરૂકુલ, સોલા, સાયન્સ સિટી, નારણપુરા, ગુજરાત યુનિવર્સિટી, ઘાડલોડિયા, પાલડી, વાસણા, આંબાવાડી વિસ્તારમાં ચાલતા હતા.

યુનિવર્સિટી વિસ્તારમાં આ વ્યાપાર કરતા જાનકીબહેને જણાવ્યું કે, હું દાદા સાહેબના પગલાં પાસે અને યુનિવર્સિટી વિસ્તારમાં PG ચલાવું છું. જેમાં માત્ર સેપ્ટ યુનિવર્સિટીના છોકરાઓ જ રહેતા. પણ લોકડાઉન થયું ત્યારથી છોકરીઓ ઘરે જતી રહી છે અને PG સંપૂર્ણ રીતે બંધ છે. તેથી ભાડાની આવક પણ બંધ થઈ ગઈ છે. અમારે તો મકાન માલિકને પૂરેપૂરૂ ભાડું આપવું પડે છે. ભાડામાફીની વાત કરીએ તો મકાન ખાલી કરાવી દેવાની ધમકીઓ આપે છે. રાજકોટ શહેરમાં 70 હજાર લોકો PGમાં રહેતા હતા. જેમાં વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સનો સમાવેશ થાય છે. રાજકોટમાં વ્યક્તિદીઠ રૂ.1500થી 2000નું ભાડું છે. એટલે વાર્ષિક 14 કરોડ રૂપિયાનું ટર્નઓવર. PG ચલાવીને ગુજરાન ચલાવતા પાયલબેન પાઠક કહે છે કે, વિધવા છું અને દીકરા સાથે રહું છું. લોકડાઉન થયું ત્યારથી ભાડું ચૂકવી શકતા નથી. બીજી તરફ મકાન માલિકો ભાડું માફ કરવા માટે તૈયાર નથી. હાલમાં અમદાવાદ શહેરમાં મોટા ભાગના PG બંધ થઈ ગયા છે.

જ્યારે સોસાયટીમાં ચાલતા PGને કારણે આસપાસના સ્થાનિકોએ હાશકારો મેળવ્યો છે.અમદાવાદના મેમનગરમાં શિરિન એપાર્ટમેન્ટમાં 78 ફ્લેટ છે જેમાંથી 61 ફ્લેટ બિલ્ડરે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને કેબ સર્વિસવાળાને ભાડે આપ્યા છે. આ છોકરાઓના ત્રાસને કારણે માત્ર 4 પરિવારો અહીં રહેતા હતા. ભાડે અપાયેલા આ ફ્લેટ ખાલી થતા અમે હાશકારો મેળવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp