નવી સિવિલના તબીબોએ કોરોના દર્દીઓને કરાવી સ્પાઈરોમેટ્રી કસરત, જાણો ફાયદા

PC: Khabarchhe.com

સુરતની નવી સિવિલ હોસ્પિટલના તબીબોએ કોરોના સંક્રમિત દર્દીઓના ફેફસાંને મજબૂત કરવા ‘સ્પાઈરોમેટ્રીની કસરત’ અપનાવી છે. સ્પાઈરોમીટર નામના મશીન દ્વારા કસરત કરાવવાના કારણે શ્વાસોચ્છવાસની પ્રક્રિયા સુગમ બને છે અને ફેફસાંને ઓક્સિજન પૂરતી માત્રામાં મળી રહે છે. તબીબી વિશ્વમાં બ્રિધીંગ એક્સરસાઈઝ તરીકે પ્રચલિત આ પ્રકારની કસરતને નવી સિવિલ હોસ્પિટલ દ્વારા કોરોના દર્દીઓના ફેફસાં મજબૂત કરવા માટે અપનાવવામાં આવી છે.

સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના રેસિડેન્ટ ડૉ. અજય પરમારે જણાવ્યું હતું કે, કોરોના વાઇરસ ફેફસાંને અસર કરે છે, અને શ્વસનમાં મુશ્કેલી ઊભી કરે છે. પરિણામે વાયુકોષોની વાયુની આપ-લે કરવાની ક્ષમતા રહેતી નથી. જેને તબીબી ભાષામાં 'પલ્મોનરી ફાઈબ્રોસિસ' થયું તેમ કહે છે. ફેફસાનાં જેટલા ભાગનાં વાયુકોષોમાં ફાઈબ્રોસિસ થાય છે તેટલો ભાગ નિષ્ક્રિય બની જાય છે. ફેફસાનું મુખ્ય કાર્ય શ્વસનનું છે. જેના દ્વારા ઓક્સિજન મેળવી લોહી દ્વારા સંપૂર્ણ શરીરનાં કોષોને પહોંચાડે છે. કોરોનાથી ફેફસા નબળા થયાં હોય અને ફ્રાઈબ્રોસિસની અસર થઈ હોય તેવા દર્દી માટે ‘સ્પાઈરોમેટ્રીની કસરત’ સંજીવની સમાન સાબિત થાય છે. જે દર્દીઓને ઓક્સિજન લેવામાં મુશ્કેલી પડતી હોય તેમણે એક મહિના સુધી સ્પાઈરોમેટ્રી કસરત ચાલુ રાખવાથી નોંધપાત્ર સુધારો જોવા મળે છે.

ડૉ.પરમારે વધુમાં જણાવ્યું કે, હાલમાં જ સુરત જિલ્લાના માંડવીના રહેવાસી અને માંડવીના માર્ગ અને મકાન વિભાગમાં પ્યુન તરીકે ફરજ નિભાવતા 56 વર્ષીય નટવરભાઈ મોરેને આ કસરત નિયમિતપણે કરાવવાથી તેમના સ્વાસ્થ્યમાં ઘણો સુધારો થયો છે. અને ઝડપી રિકવરી લાવવામાં ફાયદો થયો છે. કોરોનાની 24 દિવસની સારવાર બાદ તેમને સિવિલમાંથી રજા આપવામાં આવી છે. આ પ્રકારના ઘણાં દર્દીઓને આ કસરત કરાવવામાં આવે છે. જેના સારા પરિણામો મળ્યા છે.

શું છે સ્પાઈરોમીટર?

શરીરનાં નાના-મોટી પ્રત્યેક જૈવરાસાયણિક ક્રિયાઓ માટે ઓક્સિજન મહત્વનો ભાગ ભજવે છે. આથી જ માણસ જમ્યા અને પાણી વગર અમુક સમય રહી શકે છે. તે દરમ્યાન શરીરમાં જમા થઈ રહેલી ચરબીમાંથી આપણે આવશ્યક ઉર્જા મેળવી શકીએ છીએ. એટલે જ શ્વાસ દ્વારા લેવામાં આવતા ઉપયોગી વાયુને ‘પ્રાણવાયુ’ કહેવાય છે. ફેફસા ઓક્સિજન મેળવ્યા બાદ શરીર માટે બિનઉપયોગી વાયુ તથા મેટાબોલિક વેસ્ટ ઉચ્છવાસ દ્વારા બહાર કાઢીને સફાઈનું પણ કામ કરે છે.

કોરોનાના ગંભીર કેસોમાં શ્વાચ્છોશ્વાસની ક્રિયામાં રૂકાવટ થતા શરીરને મળતો ઓક્સિજન પુરવઠો અટકવાથી જીવિત રહેવું શક્ય બનતું નથી. એટલે દર્દીને શ્વસન ક્રિયા સુગમ બને તે માટે સ્પાઈરોમીટર ઉપયોગી બને છે. આ એક ખાસ બનાવટનું મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, જે ફેફસાં દ્વારા વેન્ટિલેશન, શ્વાસ અને ઉચ્છવાસમાં લેવાયેલી હવાની ગતિને માપે છે અને ધીમા અને ઊંડા શ્વાસ લેવામાં મદદરૂપ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp