શ્રી ખોડલધામ મંદિર આ તારીખથી શ્રદ્ધાળુઓ માટે ખુલશે

PC: khabarchhe.com

કોરોના વાઇરસની બીજી લહેરમાં કોરોના વાઇરસનું સંક્રમણ ન ફેલાય તે માટે છેલ્લા બે મહિનાથી સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ખોડલધામ મંદિર બંધ રાખવામાં આવ્યું હતું. હવે રાજ્ય સરકાર દ્વારા 11 જૂનથી ધાર્મિક સ્થાનોને કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે ખોલવાની પરવાનગી આપવામાં આવતા શ્રી ખોડલધામ મંદિર ખોલવાનો નિર્ણય લેવાયો છે.

સરકારે રાજ્યભરના ધાર્મિક સ્થાનોને 11 જૂનથી ખુલ્લા રાખવાની પરવાનગી આપતા શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશ પટેલ સહિતના ટ્રસ્ટીમંડળ દ્વારા નિર્ણય લઈને તમામ ગાઈડલાઈનનું પાલન કરીને મંદિર પરિસર ખોલવાનું નક્કી કર્યું છે. ટ્રસ્ટના આ નિર્ણયને ભાવિકો પણ આવકારી રહ્યા છે.

ગત તારીખ 10 એપ્રિલ-2021થી શ્રી ખોડલધામ મંદિર કોરોના વાઇરસના પગલે દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવાયું હતું. હવે જ્યારે બે મહિના બાદ 11 જૂનથી શ્રી ખોડલધામ મંદિર ખુલી રહ્યું છે ત્યારે દર્શનાર્થીઓના અંતરમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે. જો કે હવે દર્શન વ્યવસ્થામાં અનેક પ્રકારના ફેરફાર સાથે મંદિર ખુલશે તેની દરેક ભક્તજનોએ નોંધ લેવી.11 જૂનથી ભક્તો માટે સવારના 7-00 થી સાંજનાના 7-00 વાગ્યા સુધી જ મંદિર પરિસર દર્શન માટે ખુલ્લું રહેશે. મંદિરના પ્રવેશદ્વાર પર થર્મલ ગનથી તમામ ભક્તોના શરીરનું તાપમાન માપવામાં આવશે. ઉપરાંત મુખ્ય પ્રવેશદ્વાર પર હાથ સેનિટાઈઝ કરીને જ પ્રવેશ આપવામાં આવશે. મંદિર પરિસરમાં પ્રવેશનાર દરેક ભક્તોએ માસ્ક પહેરવું ફરજિયાત રહેશે અને અંદર પ્રવેશ્યા બાદ સોશિયલ ડિસ્ટન્સીંગનું ખાસ પાલન કરવું પડશે. આ ઉપરાંત ટ્રસ્ટ દ્વારા પણ મંદિર પરિસરમાં ભક્તો વધુ સંખ્યામાં એકઠાં ન થાય તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવશે અને દર્શન ગૃહમાં દર્શનાર્થી વચ્ચે જરૂરી અંતર જળવાઈ રહે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવાઈ છે.

હાલ મંદિરે થતાં ધ્વજારોહણ કાર્યક્રમમાં ફક્ત 50 લોકો જ ઉપસ્થિત રહીને ધ્વજારોહણ કરે તે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે. આગામી સમયમાં સરકાર દ્વારા જે નિયમો જણાવવામાં આવશે અને ટ્રસ્ટી મંડળ દ્વારા જે નિર્ણય લેવાશે તે પ્રમાણે મંદિર પરિસરનું સંચાલન થશે જેની સર્વ ભક્તોએ નોંધ લેવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp