રાજકોટની મોદી સ્કૂલે પહેલા ધમકીભરી નોટીસ અને પછી LC ઘરે મોકલી દીધું

PC: career360.com

જકોટમાં ખાનગી શાળાઓની દાદાગીરી વધી રહી છે. મોદી સ્કૂલની મનમાની સામે આવતા ફરી ખાનગી શાળાઓના નિર્ણય અંગે ચર્ચા થઈ રહી છે. ધો. 7માં અભ્યાસ કરતા વિદ્યાર્થિનીના ઘરે મોદી સ્કૂલે લિવિંગ સર્ટિફિકેટ મોકલી દીધુ હતું. માહી મણવર નામની વિદ્યાર્થિનીના વાલીએ રૂ.8483 જેટલી બાકી રહેલી ફી ન ભરતા મોદી સ્કૂલે આ પગલું ભર્યું છે.

જોકે, લિવિંગ સર્ટિફિકેટ સામે આવતા વાલી પણ થોડા સમય માટે લાચાર બન્યા હતા. અન્ય વાલીઓએ એવી માગ કરી છે કે, મોદી સ્કૂલની આવી દાદાગીરી સામે સરકાર જાગે. તા.21 મે ના રોજ મોદી સ્કૂલે કુલ 20 પાનાની એક શૉ કોઝ નોટીસ મોકલી હતી. આ મામલે વિદ્યાર્થિનીના વાલીએ જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી છે. મોદી સ્કૂલે આપેલા લિવિંગ સર્ટિફિકેટમાં કુલ 16 મુદ્દાઓની છણાવટ કરાઈ છે. મુદ્દા નં.13માં ફી ભરાયેલી છે કે બાકી છે એની વિગત દર્શાવી છે. 14 નંબરના મુદ્દામાં શાળા છોડવા પાછળના કારણમાં તા.8 જુનના નિર્ણય મુજબ એવું લખાયું છે. પ્રશ્ન એ થાય છે કે, આ નિર્ણય કોના દ્વારા લેવાયો અને એ નિર્ણય આખરે શું છે? જે શાળા છોડવા પાછળનું કારણ દર્શાવી દેવાયું છે. આ મામલે વાલી સુશીલભાઈએ જણાવ્યું હતું કે, દીકરી ધો.7માં અભ્યાસ કરે છે. મોદી સ્કૂલની એક વર્ષની કુલ 30,000 રૂ. ફી છે. સરકારી નિર્ણય અનુસાર દીકરીની ફી 25 ટકા માફ કરી દેવામાં આવી છે. એમાંથી રૂ.14000ની ફી ભરી દીધી છે. ગત વર્ષે ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવ્યું હતું. પંદર દિવસ પહેલા પણ રાજકોટની મોદી સ્કૂલ આ રીતે મોટા વિવાદમાં આવી હતી. મોદી સ્કૂલ્સના સંચાલકોએ વોટ્સએપ પર વાલીઓ માટે એક ગ્રૂપ બનાવ્યું છે.

જેમાં ગ્રૂપ અંદર મોદી સ્કૂલ તરફથી થઈ રહેલા અન્યાય અંગે વાતચીત કરવામાં આવી હતી. આ અંગેની જાણ સ્કૂલના સંચાલકોને થતા વાલીઓને શૉ કોઝ નોટીસ આપવામાં આવી હતી. આ મામલો હવે જિલ્લા શિક્ષણાધિકારી સુધી પહોંચ્યો છે. મોદી સ્કૂલના સંચાલકો અને વાલીઓ વચ્ચેનો આ સંઘર્ષ નવો નથી. વાલીઓ અને સંચાલકો વચ્ચે અવારનવાર કોઈના કોઈ મુદ્દે ઘર્ષણ થાય છે. એટલું જ નહીં ધમકી એવી ઉચ્ચારવામાં આવી છે કે, સાત દિવસમાં વર્તન સુધારો, સ્કૂલની છબીને નુકસાન પહોંચાડવાની પ્રવૃતિ કરશો તો અને નોટીસનો જવાબ નહીં આપો તો દીકરીને સ્કૂલ એડમિશનમાંથી રદ્દ કરી દેવાશે.

રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં આવેલી અંબિકા ટાઉનશિપમાંની મોદી સ્કૂલના વાલી સુશીલભાઇને તા. 21 મેના રોજ સ્કૂલ તરફથી નોટીસ મળી હતી. જેમાં તેણે અન્ય વાલી સાથે મળી સોશિયલ મીડિયાના એક ગ્રૂપમાં શાળાના વિરોધમાં ઉશ્કેરણીજનક મેસેજ પોસ્ટ કરી માનહાનિ ભર્યા મેસેજ પોસ્ટ કર્યા હતા. આ મુદ્દે તેઓ કહે છે કે, સત્ય સામે અવાજ ઊઠાવો તો સ્કૂલ આવા પગલાં ભરે છે. શાળા તરફથી નોટીસ મળે છે. આવી ખોટી રીતે નોટીસ ઈસ્યુ કરવામાં આવે છે. જિલ્લા શિક્ષણાધિકારીને અપીલ કરે છે કે, આવી શાળા સામે કડક પગલાં લેવામાં આવે. આ સ્કૂલ અગાઉ ગેરકાયદેસર બાંધકામ અંગે પણ વિવાદમાં આવી ચૂકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp