નાઇટ કર્ફ્યૂને લઈને નવો નિર્ણય, લગ્નમાં હવે આટલા લોકો આવી શકશે, જાણો નવો આદેશ

PC: Khabarchhe.com

મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે ઉપસ્થિત રહી, આગામી નવરાત્રી પર્વ નિમિત્તે શેરી ગરબામાં મહત્તમ 400 અને લગ્ન પ્રસંગમાં 150 થી વધારીને 400 વ્યક્તિઓને હાજર રહેવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો. આ નિર્ણય થકી નાના અને મધ્યમ વર્ગના વેપારીઓને રોજગારીનો લાભ મળશે.

તેમણે કહ્યું કે, રાજ્યમાં આગામી નવરાત્રિ તહેવારો તેમજ લગ્ન પ્રસંગોની સાંસ્કૃતિક ધરોહર મુજબ ઉજવણી થાય તે હેતુથી અને આવા પ્રસંગો સાથે સંકળાયેલા નાના વ્યવસાયકારોના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને જનહિતમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.

- મુખ્યમંત્રીએ લીધેલા આ નિર્ણયો અનુસાર રાજ્યના જે 8 મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જુનાગઢ, જામનગર અને ગાંધીનગરમાં હાલ રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે ત્યાં તા.25/9/2021ના રાત્રિના 12 કલાકથી તા.10/10/2021 સવારે 6 વાગ્યા સુધી દરરોજ રાત્રિ કર્ફ્યૂ અમલમાં રહેશે.

- રાત્રિ કર્ફ્યૂની સમય મર્યાદા અત્યારે રાત્રિના 11 થી સવારે 6 વાગ્યા સુધીની છે તેમાં એક કલાકનો ઘટાડો કરીને હવે રાત્રિના 12 થી 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ રહેશે. 

આગામી દિવસોમાં રાજ્યમાં નવરાત્રિ પર્વની ઉજવણી થવાની છે તે સંદર્ભમાં મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રીએ માત્ર શેરી ગરબા, સોસાયટી અને ફલેટના ગરબા, દુર્ગાપૂજા, વિજ્યાદશમી ઉત્સવ, શરદપૂર્ણિમા ઉત્સવ જેવા આયોજનો 400 વ્યક્તિઓની મર્યાદામાં યોજવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે.

- લગ્ન પ્રસંગોમાં  અગાઉ 150 વ્યક્તિઓની જે મર્યાદા હતી તેમાં વધારો કરીને હવે 400 વ્યક્તિઓની છુટછાટ આપવામાં આવી છે.

- આવી ઉજવણીઓમાં ભાગ લેનારા દરેક વ્યક્તિએ કોરોના વેકસીનના  બે ડોઝ લીધા હોય  તે હિતાવહ રહેશે

- આવા આયોજનોમાં લાઉડ સ્પીકર/ધ્વની નિયંત્રણ અંગેના સુપ્રિમ કોર્ટના આદેશોનું પાલન કરવાનું રહેશે.

- રાજ્યમાં  પાર્ટી પ્લોટ, કલબ, ખૂલ્લી જગ્યાએ કે કોઇ પણ જગ્યાએ કોમર્શીયલ રીતે નવરાત્રિની ઉજવણીની પરવાનગી આપવામાં આવશે નહિ.

- અંતિમક્રિયા-દફનવિધિમાં અગાઉની 40 વ્યક્તિઓની મર્યાદામાં વધારો કરીને હવે 100 વ્યક્તિઓની મર્યાદા રહેશે.

 રાજ્યમાં રેસ્ટોરન્ટ રાત્રિના 10 કલાક સુધી અગાઉ ક્ષમતાના 60% સાથે ચાલુ રાખવાની મંજૂરી હતી તેમાં વધારો કરીને હવે ક્ષમતાના 75% સાથે ચાલુ રાખી શકાશે.

- રાજ્યમાં જાહેર બાગ બગીચા અગાઉ રાત્રિના 9 વાગ્યા સુધી ખુલ્લા રહેતા હતાં તે પણ હવે રાત્રિના 10 વાગ્યા સુધી ખૂલ્લા રાખી શકાશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp