સુરતના સુવાલી દરિયામાં શું ખરેખર માયાવી શક્તિ છે?
સુરત નો સૌથી સુંદર દરીયા કિનારો એટલે સુવાંલી. પરંતુ આ જેટલો આકર્ષક છે તેટલો જ ખતરનાક પણ છે. સુવાંલીના દરીયામાં કેમ અજાણ્યા લોકો જ ડૂબે છે.. કેમ યુવાનો જ ડૂબે છે.. દરીયામાં નહાતી વખતે દરીયો કેમ આકર્ષે છે. શું દરીયામાં ખરેખર માયાવી શક્તિ છુપાયેલી છે કે પછી સાયન્સ છે. આ અંગે ખબર છે.કોમની ટીમે ગામના લોકો પાસેથી જાણવાની કોશીષ કરી તો આવી હકીકતો સામે આવી.
ભારતમાં અંગ્રેજો સુરતના સુવાંલીના દરીયા કિનારેથી આવ્યા હતા. કહેવાય છે કે તેઓ જ્યારે આવ્યા ત્યારથી આ દરીયો ગોઝારો બન્યો છે. આ અંગે ગામના ભૂતપૂર્વ સરપંચ બાબુભાઇ આહીર કહે છે, દરીયો વિશાળ છે અને આકર્ષક છે. જ્યારે ભરતી આવે ત્યારે ત્યાં બનેલા નાના નાના બેટ સહેલાણીને આકર્ષકતા હોય છે. પરંતુ અજાણ્યા લોકો સમજતા નથી.અહીંના સ્થાનીકો દ્વારા લોકોને અટકાવવામાં આવે છે પણ જે લોકો માનતા નથી તેઓ જ મોતને ભેટતા હોય છે. આવો જ એક કિસ્સો 2014માં બન્યો હતો, જ્યારે એલ એન્ડ ટી કંપનીના ચારેક જેટલા એન્જિનીયરો કામ પતાવીને ફરવા આવ્યા હતા. અહીંના લારીઓ વાળા અને સ્થાનિકો દ્વારા તેઓને આગળ જવાની ના પાડવામાં આવી હતી તેમ છતા પણ તેઓ ગયા અને કહ્યુ કે તેઓને તરતા આવડે છે એટલે વાંધો નહીં આવે. પરંતુ દરીયામાં ભરતીનું પાણી એટલું કરન્ટ આપતી હોય છે કે તે સૌ કોઇને ખેંચી જાય છે.
ખરેખર દરીયો માયાવી છે
આ અંગે બાબુભાઇ કહે છે, દરીયામાં અમુક જગ્યાએ ભરતીના પાણીથી બેટ જેવો વિસ્તાર થઇ જાય છે. એટલે જ્યારે પાણી આવે ત્યારે લોકો કિનારા પર જ્યાં ખાડા હોય ત્યાં છબછબીયા કરવા જાય અને તે ખરેખર આકર્ષક લાગતુ હોય છે. પણ પછી ત્યાંથી થોડું પાણી ભરાવાનું ચાલુ થાય ત્યારે નીકળી જવાનું હોય પણ લોકો માનતા નથી. કારણ કે એ ખાડામાં પાણીનો કરન્ટ એટલો જોરદાર હોય છે કે ત્યાં ભમર સર્જાય છે અને એ ભમરમાં તરતા આવડતા લોકો પણ ફસાઇ જાય છે.
શું દરીયાને ચેલેન્જ કરે તે લોકો જ ડૂબે છે
આ અંગે સરપંચ કહે છે, ગામમાં ચાલીસ થી વધુ ઘરો હળપતિ સમાજના છે કે જેઓ માછીમારીનું કામ કરે છે પણ તેઓના ઘરમાં ક્યારેય આ દુર્ઘટના ઘટી નથી. અમુક મુસાફરો જે વાત નથી માનતા અને ઓવરકોન્ફીન્ડસમાં રહે છે તે લોકો ખરેખર દરીયાનો ભોગ બને છે. અમે તેઓને સમજાવવાની કોશીષ કરીએ તો તેમાંના ઘણા લોકો અમારી સાથે ઝઘડો પણ કરતા હોવાથી અમે બહુ દબાણ કરતા નથી ફક્ત સમજાવીએ જ છીએ.
દરીયો સુવાલી બહારના લોકોને જ ભરકે છે
હા, દરીયાની અંદર જે બેટ બનવાની પ્રક્રિયા છે તે મૌસમ પ્રમાણે બદલાતી રહે છે એટલે જેમ જેમ મૌસમ બદલાય તેમ તેમ જે ખાડો છે તે પોતાનું સ્થાન બદલી નાખે છે. આ માહીતી આપતા આપતા બાબુભાઇએ કહ્યુ કે, ગામ લોકોને આ પ્રક્રિયાની જાણ છે તેથી અમે લોકો એ જગ્યાએ નથી જતા પરંતુ જે નોન ગુજરાતી છે અને અજાણ્યા છે તેઓ બોર્ડ પર લખેલી સૂચનાઓની અવગણના કરે છે અને અંતે મોતને ભેટે છે. અહીં પાણી એટલું સ્વચ્છ અને રેતી એટલી સુંવાળી હોય છે કે કોઇ પણ વ્યક્તિ દરીયાની માયા માં આવી જાય. પણ જો સાવચેતી રાખે તો દરીયો કંઇ કરતો નથી.
શું તમે આ અંગે સરકારને જોગવાઇ કરી છે.
હા, આ અંગે ઘણી બધીવાર સરકારને રજૂઆત કરી છે પરંતુ અમને એવો જવાબ મળ્યો છે કે ત્યાં કોસ્ટગાર્ડ રાખવા માટે અત્યારે પૈસા નથી. હવે અમારા થી બનતા પ્રયત્નો અમે કરીએ છીએ કે લોકો આગળ ન જાય પરંતુ અમુક લોકો અમારી સાથે ઝઘડો કરી બેસે ત્યારે અમે લાચાર બની જઇએ છીએ.
ગામના સરપંચ અને લોકોના કહેવા પ્રમાણે સુવાંલીમાં કોઇ ભૂતપ્રેત કે આત્માનો વાસ નથી પરંતુ હા દરીયો આકર્ષક જરૂર છે તેથી લોકો વધુને વધુ દરીયામાં નહાવા માટે દૂર જતા રહે અને પછી કયારેયા પાછા આવતા નથી. ઉલ્લેખનીય છે કે 18 વર્ષમાં સુવાંલીના દરીયામાં 39 યુવાનોનો ભોગ લેવાયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp