રોયલ્ટી વગર ખેડૂતોને માટી આપનારૂં ગુજરાત દેશનું પ્રથમ રાજય: CM વિજય રૂપાણી

PC: Khabarchhe.com

મુખ્યમંત્રી વિજય રૂપાણી નવનિર્મિત દેવભૂમિ દ્વારકા જિલ્લાના બરડીયા ગામ ખાતે ઉપસ્થિત રહયા હતા અને શ્રમદાન કર્યુ હતુ.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ‘‘સુજલામ્ સુફલામ્ જળ અભિયાન-2018’’ને દેશનું સૌથી મોટું જળ અભિયાન ગણાવી તેનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કરતાં ઉમેર્યું હતું કે, તરસી ધરતીને તૃપ્ત કરવા માટે આરંભાયેલું આ અભિયાન તેના અંતિમ તબક્કામાં છે, ત્યારે રાજયભરની જનતાની આ અભિયાનમાં થઇ રહેલી સામેલગીરી રાજયસરકાર માટે પ્રોત્સાહક પુરવાર થઇ રહી છે.

તળાવની પવિત્ર માટીથી રાજયભરનાં લીલાછમ્મ બનશે, એવો આશાવાદ વ્યક્ત કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અભિયાનમાં લોકોએ આપેલા શ્રમદાન અને સમયદાનના ભરપેટ વખાણ કર્યા હતા.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ‘‘સુજલામ્ સુફલામ્ જળ અભિયાન-2018’’ ને દેશનું સૌથી મોટું જળ અભિયાન ગણાવતાં કહયું હતું કે, પક્ષાપક્ષીથી પર રહીને રાજયની સીત્તેર ટકા જનતાના કલ્યાણ માટે ઉપાડેલા આ અભિયાન થકી આવનારી પેઢી લાભાન્વિત થશે, જે આ યોજનાની સૌથી મોટી સફળતા સાબિત થશે.

રાજયના નાગરિકોને વગર રોયલ્ટીએ માટી આપવાની આ યોજનાને લોકોમાં સાંપડી રહેલા પ્રતિસાદ બદલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાગરિકોનો ખરા દિલથી આભાર પ્રગટ કર્યો હતો. અને આ અભિયાનથી થનારા ભવિષ્યના લાભો વર્ણવ્યા હતા. રાજયના અન્ય જળાશયોમાં ચાલી રહેલા જળસંચય અભિયાનની વિગતો મુખ્યમંત્રીએ વકતવ્યમાં વણી લીધી હતી. રૂપાણીએ જણાવ્યું હતું કે આ અભિયાનના પ્રારંભે થયેલી કાર્યવાહીની સાપેક્ષે અત્યારે આ અભિયાન ખૂબ ઝડપથી આગળ વધી રહયું છે, ત્યારે પાણીના પુર્નવપરાશ અંગે રાજય સરકાર ટૂક સમયમાં જ નવી નીતિ ઘડવામાં આવશે,એવો અણસાર પણ મુખ્યમંત્રીએ આપ્યો હતો

મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા અન્ય આમંત્રિતોના હસ્તે દિપપ્રાગટયથી કાર્યક્રમનો શુભારંભ થયા બાદ કલેકટર જે.આર.ડોડિયાએ સ્વાગત પ્રવચનમાં સુજલામ્ સુફલામ્ જળ અભિયાન-2018 યોજનાની ટૂંકી વિગતો રજૂ કરી હતી. કાર્યક્રમના પ્રારંભે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું ગ્રામજનો તથા પુષ્પગુચ્છ, પાઘડી, ભરત ભરેલી કોટી, તલવાર વગેરેથી પરંપરાગત રીતે સ્વાગત કર્યું હતું.

જિલ્લાના પ્રભારી મંત્રી વાસણ આહિરે સુજલામ્ સુફલામ્ જળ અભિયાન-2018માં જોડાયેલા ખેડૂતો તથા સેવાભાવી સંથાઓએ નાગરિકો પ્રત્યે ધન્યતાની લાગણી રજૂ કરી હતી.

મુખ્યમંત્રી રૂપાણી સહિત આ પ્રસંગે ઉપસ્થિત સૌ કોઇએ જળસંચય અંગેના શપથ ગ્રહણ કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર દ્વારકા જિલ્લામાં મે માસ દરમિયાન સુજલામ્ સુફલામ્ જળ અભિયાન-2018 અન્વયે થયેલા છે, અને ૪3પ કામો પ્રગતિમાં છે. 11 નહેરોની સફાઇ કરવામાં આવી છે. 872 એર વાલ્વ નિરીક્ષણ અને 872 સ્ટ્રકચર સફાઇના કામો કરવામાં આવી રહયા છે.

આ પ્રસંગે ધારાસભ્ય પબુભા માણેક, સંસદસભ્ય પૂનમબેન માડમ, સરપંચ લાભુબેન, જિલ્લા વિકાસ અધિકારી આર.આર.રાવલ, જિલ્લા પોલિસ અધિક્ષક રોહન આનંદ, પૂર્વ ધારાસભ્ય મુળુ બેરા અને મેઘજી કણઝારિયા, અગ્રણી કાળુ ચાવડા તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા. આભારદર્શન ક્ષાર અંકુશ વિભાગના કાર્યપાલક ઇજનેર ઘેટિયાએ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp