દીપડા તમારા ઘર સુધી પહોંચી ગયા છે, સરકાર આટલું કરે તો તમને બચાવી શકે છે

PC: khabarchhe.com

 છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં દીપડાની વસતી ગણતરી મુજબ તેમની વસ્તીમાં 20.25% ની વૃદ્ધિ થઇ રહી છે.  2011માં ગુજરાતમાં દીપડાની વસ્તી 1,160 હતી અને 2016માં તે વધીને 1,395 થઈ ગઈ છે. 2018માં 1500થી 1600 દીપડા ગુજરાતમાં હોવાનો અંદાજ છે. આજે જે 2000 જેટલા હોઈ શકે છે. જેમાંથી 70 ટકા દીપડા જંગલની બહાર ખેતર કે રેવન્યુ વિસ્તારમાં રહે છે, તેને ખેતર સૌથી વધુ પસંદ પડે છે. એકાંત અને ઠંડક હોય છે અને શિકાર આસાન રીતે મળી રહે છે. તેથી તે હવે ખેડૂતો માટે ખતરનાક બની ગયો છે. ગુજરાતના 18 જિલ્લામાં 11 લાખ જેટલા ખેતરોમાં દીપડો પોતાનો શિકાર શોધવા ભટકે છે જેમાં ખેડૂતો પર હુમલા કરતો હોવાથી ખેડૂતો ભયભીત બની ગયા છે.

ગુજરાત સરકાર છેલ્લા પાંચ વર્ષમાં સરકાર ખેડૂતોની માંગની સરખામણીએ 50 ટકા વિજળી આપી છે. બીજી બાજુ ઉદ્યોગોને બમણી વિજળી આપી રહી છે.  165702 મીલીયન યુનિટની માંગ સામે ખેતી માટે રાત્રીના સમયે 107138 મીલીયન યુનિટ જ વિજળી આપી છે. એટલે કે 60,000 મી.યુ. ઓછી વિજળી સરકારે ઉપલબ્ધ કરાવી.પાંચ વર્ષમાં ઉદ્યોગોને દિવસે 165702 મીલીયન યુનિટની વીજળી આપી છે. તેથી ખેડૂતો વીજ ખાધ પૂરી કરવા માટે રાતના સમયે સિંચાઈ કરવા ખેતરોમાં જવું પડે છે. વળી, દિવસે વીજળી ન આપવામાં આવતી ન હોવાથી રાતના જવું પડે છે.

2017ના અંતમાં જુનાગઢ જિલ્લામાં 354 દીપડા હતા. 2018માં 400 જેવા અને 2019માં 407 દીપડા પકડાયા હતા. તેમ છતાં ગુજરાતની ભાજપ સરકારે ખેડૂતોને કોઈ સુરક્ષા પુરી પાડી નથી. તેથી ખેડૂતો માંગણી કરે છે કે, રખડતાં ઢોર અને ભુંડને પકડીને દીપડાના ખોરાક તરીકે આપો.

2016માં 34% એટલે કે 470 દીપડાઓ માનવીય વસવાટની નજીક રહેતાં જોવા મળ્યા હતા. અંદાજ મુજબ ડિસેમ્બર 2018માં 1500 દીપડામાંથી 40 ટકા દીપડાઓ માનવ વસતી નજીક આવી ગયા છે. જે લગભગ 610 દીપડા આવીને વસી ગયા છે.

સૌથી વધુ વસ્તી જૂનાગઢમાં 354 છે. બીજા નંબર પર ડાંગ 126 દીપડા છે. અમરેલીમાં 111 દીપડા છે જે ત્રીજા નંબરે છે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં દીપડાની વસ્તી છે અને એ વસ્તીમાં ઝડપ થી વધારો થઇ રહ્યો છે.

દીપડાના શિકારમાં રોજ 1500 નાના મોટા પશુઓનો શિકાર કરીને પોતાનું પેટ ભરે છે. જંગલમાં ખોરાક ન મળે ત્યારે માનવ વસતી કે ખેતરોમાં બાંધેલા પશુઓનો શિકાર કરે છે. એક અંદાજ પ્રમાણે એક વર્ષમાં 200થી વધારે દીપડા જંગલ છોડીને માનવ વસતીમાં શિકાર કરવા આવે છે. દીપડા પાલતૂ દુધાળા કે ખેતીમાં કામ કરતાં બળદ કે વાછરડાનો શિકાર કરે છે. જેના કારણે બે હજારથી વધુ પશુના મોત થાય છે તેથી ખેડૂતોને વર્ષે 10 કરોડથી વધારાની કિંમત ધરાવતાં હોય એવા પશુ ગુમાવવા પડે છે. જેમાં બાળકો અને વૃદ્ધોને પણ શિકાર બનાવે છે.

85ના મોત

ગુજરાતમાં 2016મા 50 અને 2017માં 56 દીપડાની હત્યા થઈ હતી. જેમાં મોટા ભાગે માનવ અને પાલતુ પ્રાણી પરના હુમલાઓના કારણે થઈ હતી. ગીર-સોમનાથ, તાપી, ભાવનગર, અમરેલી, ડાંગ જિલ્લામાં દીપડાઓનો ત્રાસ વધતાં માણસો સાથે તે સંઘર્ષમાં આવી રહ્યાં છે. આદિવાસી વિસ્તારોમાં દીપડાના શિકાર રહ્યાં નથી. તેથી તે માનવ વસતીમાં આવીને પાલતૂ પ્રાણીઓનો શિકાર કરે છે. જેથી તેની હત્યા થાય છે.

દીપડાના હુમલા

ગુજરાતમાં ડિસેમ્બર 2018ના એક વર્ષમાં આદમખોર દીપડાના 50 હુમલા કર્યા હોવાની ઘટનાઓ અખબારોમાં આવી છે. 2019માં 61 હુમલા થયા છે. જેમાં મોટાભાગે તો બાળકો અને અશક્ત વૃદ્ધોનો શિકાર કરે છે. જ્યારે પશુઓના શિકારનો કોઈ હિસાબ નથી. તેમ છતાં એક અંદાજ પ્રમાણે 200 જેટલાં દીપડા માનવ વસાહતમાં રોજ ભટકતાં હોય છે અને એટલા શિકાર કરે છે.ખેતરોમાં તે સંખ્યા 1 હજારની આસપાસ હોવાનો અંદાજ વન વિભાગના નિવૃત્ત અધિકારી જણાવી રહ્યાં છે.

વિધાનસભાની વિગતો

ડિસેમ્બર 2017ની છેલ્લા બે વર્ષની સ્થિતીએ ગીર જંગલ વિસ્તારમાં હિંસક પ્રાણીના હુમલામાં 834 પ્રાણીઓ પશુઓના મોત નિપજયા હતાં. તેમાં ગીર સોમનાથ જંગલ વિસ્તારમાં છેલ્લા બે વર્ષમાં 728 પ્રાણીઓ અને અને માણસો પર હુમલા કે શિકાર કર્યાં હતા. 2019માં 500 પ્રાણીઓ અને માણસો ઉપર હુમલા થયા હોવાની વિગતો વન વિભાગ પાસે છે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp