PM મોદીની 'હવાઇ ચપ્પલથી હવાઇ જહાજ' યોજના ગુજરાતમાં કેમ હવાઇ ગઇ?

PC: youtube.com

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી ઉડાન યોજનામાં ગુજરાતની પ્રગતિ અવરોધાઇ છે, કારણ કે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં નવા એરપોર્ટ બની શક્યા નથી. મુસાફરો સસ્તી હવાઇ સફર કરી શકે તે માટે ઉડાન યોજના બનાવવામાં આવી છે પરંતુ ગુજરાત સિવિલ એવિયેશનમાં હજી ઘણું પછાત છે. રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં હેલીકોપ્ટર ઉડી શકે છે પરંતુ એરક્રાફ્ટ નહીં.

મોદીની મહત્ત્વાકાંક્ષી યોજના ‘હવાઈ ચપ્પલ થી હવાઈ જહાજ’ પણ ખોરંભે ચઢી છે. વાસ્તવમાં, નાના શહેરો માટે હવાઈ સફર શરૂ કરવા માટે જરૂરી એરપોર્ટ તૈયાર કરવાનું કામ જ મંથર ગતિએ ચાલે છે. આ યોજનાનું નામ ‘ઉડાન’ છે. મોદી સરકારની ઈચ્છા છે કે ભારતના નાગરિકો હવાઈ ચપ્પલ પહેરીને સામાન્ય લોકો પણ હવાઈ સફર કરી શકે. જો કે ગુજરાત સરકારની વાયબ્રન્ટ સમિટ માત્ર તાયફા સમિટ બની રહી છે, એવિયેશન સેક્ટરમાં મૂડીરોકાણ આવતું નથી.

ઉડાન યોજના પ્રમાણે જૂના એરપોર્ટમાં સુધારા કરવાની સાથે નવા એરપોર્ટના નિર્માણનું કામ સામેલ છે. આ સાથે જ એરલાઈન્સને પણ કેટલીક સુવિધાઓ મળશે. જોકે, એવિયેશનના એક અધિકારીએ કહ્યું હતું કે અમે પ્રયાસ કરીએ છીએ પરંતુ એવિયેશન સેક્ટરની કંપનીઓ ગુજરાતમાં મૂડીરોકાણ કરતી નથી. નાના શહેરોમાં નવા એરપોર્ટ બનાવવા અને જૂના એરપોર્ટ અપગ્રેડ કરવાનું કામ ઝડપથી આગળ વધતું નથી. એવામાં આગામી પાંચ વર્ષમાં 10 કરોડ વધુ પ્રવાસીઓને જોડવાનો સરકારનો હેતુ માર્યો જાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રીજયોનલ કનેક્ટિવિટી સ્કીમ (આરસીએસ) અંતર્ગત સરકારે 2017ના અંત સુધીમાં 31 નવા એરપોટ્‌ર્સ શરૂ કરવાની યોજના બનાવી હતી પરંતુ તેમાંથી માત્ર 16 જ એરપોર્ટ શરૂ થઈ શક્યા હતા.

સિવિલ એવિયેશનના એક અધિકારીએ કહ્યું હતું કે કેટલાક રાજ્યોનાં કહેવા પ્રમાણે તેમની પાસે સામાન્ય ઉપકરણો ખરીદવા માટે પણ ફંડ નથી. કેટલાક અન્ય કેસમાં એર ટ્રાફિક કંટ્રોલ ટાવર્સ, ટર્મિનલ બિલ્ડીંગ, સિક્યુરિટી સિસ્ટમ્સ તૈયાર કરવામાં વધુ સમય લાગી રહ્યો છે. રાજ્યમાં 14 એરપોર્ટ બનાવવાના થતાં હતા પરંતુ મોટાભાગના પ્રોજેક્ટ વિલંબમાં ચાલી રહ્યાં છે, એકમાત્ર ઘોલેરા એરપોર્ટ પર કેન્દ્ર અને રાજ્ય સરકારે વિશેષ ધ્યાન આપ્યું છે.

ઉડાન યોજના અંતર્ગત 500 કિમીના અંતરમાં એટલે કે એક કલાકની ફ્‌લાઈટ કે 30 મિનિટની હેલિકોપ્ટર યાત્રા માટે 2500 રૂપિયા આપવાના રહેશે. કુલ 70 એરપોર્ટને ઉડાન યોજના સાથે જોડવામાં આવશે. દેશમાં 31 એરપોર્ટ એવા છે કે જેનો બિલકુલ ઉપયોગ નથી જ્યારે 12નો ઓછો ઉપયોગ થઇ રહ્યો છે. ઉડાન યોજના દેશમાં અને ગુજરાતમાં તદ્દન નિષ્ફળ થઇ છે, કેમ કે એવિયેશન કંપનીઓ દેવાંમાં ડૂબેલી છે અને નવું મૂડીરોકાણ કરવા તૈયાર નથી.

ગુજરાતમાં પણ મોટા શહેરોની વચ્ચે આવી જ નાના પ્લેનની સેવાઓ રાજય સરકાર દ્વારા શરૂ કરાઈ હતી પરંતુ તે પૈકીની મોટાભાગની સેવાઓનું બાળમરણ થયું છે. હાલ સુરત, ભાવનગર, રાજકોટ અને જામનગર સુધીની હવાઇ સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે પરંતુ તેમાં ટ્રાફિકનો પ્રશ્ન છે.

રાજ્યની સૌથી મોટી જીઆઇડીસી આવેલી છે તે અંકલેશ્વર એક ઉત્તમ એરપોર્ટ બની રહે તેમ છે છતાં આ અંગેની કાર્યવાહી મંથર ગતિએ ચાલે છે. રાજ્યમાં માત્ર અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતના એરપોર્ટ પર ટ્રાફિક જોવા મળે છે પરંતુ બીજા નાના એરપોર્ટ પર ટ્રાફિક નહીં હોવાથી કોઇ કંપનીઓ મૂડીરોકાણ કરવા તૈયાર નથી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp