જસદણમાં કોળી સમાજનું મહાસંમેલન, કુંવરજી બાવળિયા અને ભોળા ગોહિલ રહ્યા ગેરહાજર

PC: sanjsamachar.net

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અનેક સમાજ પોતાની પડતર માંગોને લઈને સંમેલનો કરી રહ્યા છે. અનેક સમાજના મોભીઓ દ્વારા પોતાના સમાજની નોંધ લેવામાં આવે તેવો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે, ત્યારે રાજકોટના જસદણ તાલુકામાં આવેલ બાખલવડ ગામ ખાતે બુધવારના રોજ કોળી સમાજનું એક મહાસંમેલન મળ્યું હતુ. આયોજિત આ મહાસંમેલન જસદણ કોળી સમાજના પ્રમુખ શામજી ડાંગરની આગેવાનીમાં યોજાયું હતું. મહાસંમેલનમાં જસદણ, વિછિયા સહિતના વિસ્તારોમાંથી કોળી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આયોજિત આ મહાસંમેલનમાં જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયા અને પૂર્વ ધારાસભ્ય ભોળા ગોહિલ ગેરહાજર રહેતાં સમાજના આગેવાનોમાં ભારે નારાજગી ઊઠવા પામી હતી.

અમારા સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે

મહાસંમેલનમાં હાજર રહેલા જસદણ કોળી સમાજના પ્રમુખ શામજી ડાંગરે જણાવ્યું હતું કે, અમે સરકારમાં રજૂઆત કરવાના છે કે અમારો સમાજ મોટો અને પછાત હોવાથી ઠાકોર વિકાસ નિગમમાં જે ગ્રાન્ટ આપવામાં આવે છે એ ખૂબ ઓછી છે, જેથી અમારા સમાજને 5 હજાર કરોડની ગ્રાન્ટ આપવી જોઈએ. અમારા સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે. અમારા સમાજમાં જે કુરિવાજો છે એને દૂર કરવા અને સમાજના તમામ વિદ્યાર્થીઓને મદદ કરવી એ આ સંમેલનનો હેતુ છે. અમે કુંવરજી બાવળિયા અને ભોળા ગોહિલ બંનેને આમંત્રણ આપ્યું હતું, અમે આ સંમેલનમાં સમાજના તમામ લોકોને જાહેર આમંત્રણ આપ્યું હતું. છતાં પણ કુંવરજીભાઈ કેમ હાજર રહ્યા નથી એ તેમનો પ્રશ્ન છે. અમારા સમાજની નવ માંગણી પડતર છે, જેને સરકાર તાત્કાલિક સ્વીકારે એવી અમારી માંગણી છે. જસદણ અને વીંછિયા તાલુકાના કોળી સમાજના લોકો મોટી સંખ્યામાં આ સંમેલનમાં ઊમટી પડ્યા હતા.

એવી જરૂર ઈચ્છા રાખું છું કે શામજી ડાંગર પણ રાજકારણમાં જોડાય: વિક્રમ સોરાણી

આ સંમેલન અમારા સમાજમાં જે કુરિવાજો છે એને દૂર કરવા અને સમાજના તમામ વિદ્યાર્થીઓને મદદ કરવા માટે યોજાયું છે, તેવું વાંકાનેર AAPના નેતા વિક્રમ સોરાણીએ જણાવ્યું હતું. આ સાથે જ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમારા સમાજની નવ માગણી પડતર છે, જેને સરકાર તાત્કાલિક સ્વીકારે એવી માંગ કરવામાં આવી હતી. આ સાથે જ શામજી ડાંગરને લઈને તેઓને પૂછવામાં આવ્યું હતુ કે, જો શામજી ડાંગર ભાજપમાં જોડાશે તો તેઓ શું કરશે? જે સવાલનો જવાબ આપતા વિક્રમ સોરાણીએ જણાવ્યું હતું કે, હું વાંકાનેરમાં મારા મતવિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરીશ અને એવી જરૂર ઈચ્છા રાખું છું કે, શામજી ડાંગર પણ રાજકારણમાં જોડાય.

આવનારી વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોળી સમાજનું મહાસંમેલન યોજાતાં રાજકારણ ગરમાયું હતું. આ સાથે જ કોળી સમાજના મહાસંમેલનને જોતા ભાજપના ગઢમાં ગાબડાં પડવાની સંભાવનાઓ પણ વર્તાઈ રહી છે. કોળી સમાજના મહાસંમેલનમાં કોળી સમાજના આગેવાન શામજી ડાંગર, વિક્રમ સોરાણી, અવસર નાકિયા સહિતના કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp