સુરતમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના 12 અધિકારી, 150 કેમેરાએ 50 કલાકમાં કર્યુ આ કામ

PC: khabarchhe.com

સુરતમાં 6 એપ્રિલના રોજ પાંડેસરા વિસ્તારમાં એક બાળકીની લાશ મળી, લાશ ઉપર અસંખ્ય ઈજાના નિશાન હતા, પોલીસને લાશનું પંચનામુ કરી લાશને સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી, ત્યારે સુરત પોલીસ માટે બીજા આઘાતજનક સમાચાર હતા કે બાળકી ઉપર અસંખ્ય વખત બળાત્કાર પણ થયો છે, મીડિયાને કારણે બનાવની ગંભીરતામાં વધારો થયો, સુરતના પોલીસ કમિશનર સતીષ શર્માએ સુરત ક્રાઈમ બ્રાન્ચને કામે લગાડી, સુરત ક્રાઈમ બ્રાન્ચના આસિસ્ટન્ટ રાજેન્દ્રસિંહ સરવૈયાની ટીમ પણ કામે લાગી પોલીસ માટે સૌથી પહેલી સમસ્યા એવી હતી કે આ બાળકી કોણ છે, કારણ બાળકીની ઓળખ થાય થાય તો ગુનાનો ભેદ ઉકેલી શકવાનું કામ સહેલુ બને તેમ હતું. 

સુરતની પોલીસે ઠેર ઠેર તપાસ કરી પહેલા તો બાળકીના માતા પિતા મળે તે જરૂરી હતું, આખા સુરત શહેરમાં સંભવીત તમામ સ્થળે બાળકીની ઓળખ માટે પોલીસ ફોટોગ્રાફ લઈ ફરતી રહી, બાળકીના પહેરવેશથી તે ગુજરાત બહારની હોવાની શક્યતા હતી, તેના કારણે બીજા તમામ રાજ્યોને ફોટોગ્રાફ મોકલી તપાસ શરૂ થઈ, દેશભરમાંથી ગુમ થયેલા બાળકોની ફરિયાદ પોલીસે ચેક કરી પણ ક્યાંય આ બાળકી કોણ છે તેનો પત્તો લાગ્યો નહીં, બાળકી કોણ છે અને બળાત્કાર કરી હત્યા કરનાર કોણ છે તે દિશામાં કઈ વાત આગળ ચાલી નહીં. જેના કારણે ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા ઉપર દબાણ વધી રહ્યું હતું.

પ્રદિપસિંહ જાડેજાએ DGP શીવાનંદ ઝાને બોલાવી જે કઈ થઈ શકે તે પગલાં લઈ બળાત્કારી અને હત્યારાને શોધી કાઢવા આદેશ આપ્યો, DGP શીવાનંદ ઝાએ સુચન કર્યું કે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમને સુરત પોલીસની મદદમાં મોકલવી જોઈએ કારણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પાસે આ પ્રકારના ગુનો ઉકેલી શકવાની એક્સપર્ટાઈઝ છે, જેના ભય સ્થાનો પણ હતા કારણ સુરત પોલીસને આ વાત પસંદ પડે તેવી નહોતી, આવું પોલીસ વિભાગમાં થતું હોય છે, પણ ગુનાનો ભેદ ઉકેલાય તે જરૂરી હતો. શીવાનંદ ઝાનો આદેશ થયો.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના એડિશનલ ડેપ્યુટી પોલીસ કમિશનર રાજદિપસિંહ ઝાલા પોતાના પોલીસ ઈન્સપેક્ટર વિજય મલ્હોત્રા, કિરણ ચૌધરી અને જયેશ ચાવડા સાથે સુરત પહોંચ્યા તેમની સાથે મદદમાં ત્રણ પોલીસ સબઈન્સપેક્ટર અને પાંચ કોન્સ્ટેબલો હતા, આ ટીમની વણઉકેલાયેલા ગુનોનો ભેદ ઉકેલવામાં માહિરતા હતી, તેમણે સુરત પોલીસનો સંપર્ક કરી સૌથી પહેલા ગુનો કેવી રીતે બન્યો અને ઘટના સ્થળની મુલાકાત લીધી, પહેલા સુરતની ભુગોળ સમજવાની જરૂર હતી, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પાસે પણ પહેલો પ્રશ્ન બાળકી કોણ છે તેની તપાસનો હતો. તા 15મી એપ્રિલ હતી એટલે કે બનાવના સાત દિવસ થઈ ગયા હતા.

અમદાવાદના પોલીસ ઈન્સપેક્ટર જયેશ ચાવડાએ કોલ્ડસ્ટોરેજમાં રહેલી બાળકીની લાશની થમ ઈમ્પ્રેશન લીધી, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ આ પ્રયોગ પહેલી વખત કરવા જઈ રહી હતી, પોલીસનું અનુમાન હતું કે જો બાળકીનું આધારકાર્ડ નીકળ્યુ હોય તો તેના આધારકાર્ડના આધારે તેની ઓળખ થઈ શકે તેમ હતી, પોલીસ પાસે બાળકીનો આધાર નંબર નહોતો, પણ તેના હાથની છાપ હતી. ઈન્સપેક્ટર જયેશ ચાવડાએ તેના હાથની છાપ લઈ સુરતની ડિસ્ટ્રીકટ કોર્ટમાં એક અરજી કરી કોર્ટને વિનંતી કરી કે બાળકીને ઓળખ માટે જો આંગળાની છાપથી અમને તેના આધારની વિગત મળે તો બાળકીને ઓળખી શકાય, સુરતની કોર્ટે સંબંધીત એજન્સીને બાળકીની છાપના આધારે તેની ઓળખ થઈ શકે માટે આધારની વિગત આપવા આદેશ કર્યો.

પરંતુ આધારની વિગતો જેની પાસે હોય છે તે ભારત સરકારની એજન્સીએ કોર્ટનો આદેશ હોવા છતાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બાળકીની આધાર વિગત આપવાનો ઇનકાર કરી દીધો અને કારણ આપ્યું કે આધાર વિગતો વ્યક્તિગત હોય છે અને હાલમાં આ મામલો સુપ્રીમ કોર્ટ આધીન છે તેથી તેની વિગત આપી શકાય નહીં., આમ ક્રાઈમ બ્રાન્ચની તપાસ ફરી અટકી ગઈ, હવે નવા રસ્તે પસાત કરવાની હતી, સુરત પોલીસ તમામ CCTV ફૂટેઝ જોઈ ચૂકી હતી, પણ ઘણી વખત એવું બનતુ હોય છે કે એક જ દૃશ્ય બે માણસો અલગ અલગ રીતે જોતા હોય છે. સુરત પોલીસે જોઈ લીધેલા ફૂટેઝ જોવાની અમદાવાદ પોલીસે શરૂઆત કરી. 150 કરતા વધુ કેમેરાના ફૂટેઝ સુરત પોલીસ પાસે હતા.

અલગ-અલગ કેમેરાના ફૂટેઝ જોવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના 12 પોલીસ અધિકારીઓ બેઠા, લગભગ 50 કલાક કરતા વધુ સમય ફૂટેઝ જોયા, તેમાં એક કેમેરા જે ઘટના સ્થળેથી 600 મીટર દૂર હતો, તેમાં કંઈક દેખાયુ, પણ કેમેરા ખૂબ દૂર હતો, પરંતુ સવારના સાડા ચાર વાગ્યાના સમયમાં રાઈના દાણા જેવા બે લાલ ટપકા સ્ક્રીન ઉપર નજરે પડ્યા, લાલ ટપકા કે દેખાઈ રહ્યા છે તે જોવા માટે અનેક વખત ફૂટેઝ ફોરવર્ડ અને રીવર્સ કરી જોયા ત્યારે એવો ખ્યાલ આવ્યો કે લાલ ટપકા દેખાય છે તે કોઈ કારની ટેલ લાઈટ છે, આ લાલ લાઈટ બનાવના સ્થળે 56 સેકન્ડ સુધી રોકાય છે.

આ પહેલી કડી મળી હતી, જેનો અર્થ સવારે સાડા ચાર વાગે બનાવના સ્થળે એક કાર આવી હોવાનું અનુમાન હતું, હવે તે રસ્તા ઉપરની એન્ટ્રી અને એક્ઝીટના તરફ કેમેરા હતા તેના ફૂટેઝ જોયા, વહેલી સવારનો સમય હતો જેના કારણે ભાગ્યે જ એકાદ બે વાહન પસાર થયા હતા, જેમાં એક કાળા રંગની કાર નજરે પડે છે. આ કાળા રંગની કાર પહેલા શંકાના દાયરામાં આવી, કાળા રંગની કારનો નંબર જોવા માટે ફૂટેઝ ઝૂમ કર્યા અને કારનો નંબર મળ્યો, આરટીઓમાંથી કાર માલિકનું નામ સરનામું શોધી ક્રાઈમ બ્રાન્ચ ત્યાં પહોંચી પણ તેણે તો કાર વેંચી મારી હતી, પોલીસ કાર ખરીદનાર સુધી પહોંચી તો તેણે માહિતી આપી કે તેની કાર 6 એપ્રિલના રોજ રાજસ્થાનના ગંગાપુરનો હર્ષસહાય ગુર્જર લઈ ગયો હતો અને તે કાર મૂકી પોતાના પરિવાર સાથે રાજસ્થાન જતો રહ્યો.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની શંકા વધુ દૃઢ થઈ, તરત અમદાવાદથી એક ટીમ ગંગાપુર પહોંચી અને રાજસ્થાન પોલીસ સાથે મળી તેમણે આરોપી ઉપાડી લીધો. આમ ઓપરેશન સુરત પાર પડ્યું, અમદાવાદ પોલીસની કામગીરી ઉત્તમ હતી તેમાં કોઈ શંકા નથી, પરંતુ સુરત પોલીસ કમિશનર માની રહ્યા છે કે અમદાવાદ પોલીસને પીઠ મેં થાબડી હોત તો વધારે સારું થતુ પણ તેના બદલે અમદાવાદ પોલીસે જાતે જ પોતાની પીઠ થાબડી સુરત પોલીસને ઓપરેશનમાંથી બાકાત કરી દીધી.

(પ્રશાંત દયાળ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp