ચના પૂરીમાં મરેલો મંકોડો હતો, એક પત્રકારની પહેલે 6 કરોડો લોકોને ફાયદો કરાવ્યો

PC: khabarchhe.com

દિવાળીના તહેવાર દરમિયાન અમદાવાદના આનંદનગર 100 ફૂટ રોડ પર આવેલી જાણીતી  હોકો ઈટરી ખાતે ચના પુરીની ડીશમાં ગ્રાહકને મરેલો મંકોડો મળી આવ્યો હતો. આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરવામાં આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું. ગ્રાહકે આપેલી વિગતો અને માહિતીને આધારે મનપાના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. હોકો ઇટરીના સંચાલકોને નોટિસ પાઠવવામાં આવી હતી. તેમજ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તો સાથે સાથે ગ્રાહકને હોકો ઇટરીના સંચાલકોએ રસોડમાં તપાસ કરવાની મનાઈ કરવામાં આવતા રાજ્યના આરોગ્ય વિભાગે આ વાતની ગંભીર નોંધ લઈને મહત્વનો હુકમ કર્યો હતો કે રાજ્યમાં આવેલી તમામ રેસ્ટોરન્ટ ના રસોડામાં ગ્રાહકો તપાસ કરી શકશે અને હોટલના રસોડામાં નો એન્ટ્રી નું બોર્ડ પણ હટાવી લેવા હુકમ કર્યો હતો.

તો બીજી તરફ મકોડો મળવાની ઘટના બાદ આનંદનગર હોકો ઇટરીને બંધ  કરવાની ફરજ પડી છે. હાલ ત્યાં તાળા વાગી ગયા છે. મનપાના સૂત્રોએ જણાવ્યું કે તેમની તપાસમાં રસોડામાં ચોખ્ખાઈનો અભાવ જોવા મળ્યો હતો. જેના કારણે નોટિસ સાથે કાર્યવાહી કરવામાં આવી હતી.  તેના પગલે તાળા વાગી ગયા છે.  જેના કારણે રાજ્યની સાડા છ  કરોડ જનતાને ફાયદો થયો હતો અને  રાજ્યની તમામ રેસ્ટોરન્ટના રસોડામાંથી  નો એન્ટ્રીના બોર્ડ ઉતરી ગયા હતા. આ થયું હતું પત્રકાર હીરેન ઉપાધ્યાયના કારણે. 

એક જાગૃત પત્રકારના કારણે સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો હતો. હવે રેસ્ટોરામાં જમતા પહેલા હોટલનું રસોડું તપાસવુ તે ગ્રાહકનો અધિકાર છે. પહેલા પણ નિયમ હતો પણ તેનો અમલ નહોતો થતો. 

શું કહે છે પત્રકાર હીરેન ઉપાધ્યાય  

પહેલા હેવમોર અને હવ હોકો ઇટરીના નવા નામે ઓળખાતી ગુજરાતની જાણીતી ફુડ ચેઇનના ચના પુરી સિગ્નેચર ડીસ છે.  આનંદનગર ચાર રસ્તા પાસે આવેલી હોકો ઇટરીથી બે પ્લેટ ચનાપુરી પાર્સલ કરાવ્યા અને જેના 380 રુપિયા ચુકવ્યા. ઘરે આવ્યા બાદ  એક પાર્સલના ચનાપુરી ખાધા અને બાદમાં જ્યારે બીજા પાર્સલનું કન્ટેઇનર ખોલ્યુ તો તેમાં ઉપરના ભાગે કાળા રંગની કોઇ વસ્તુ હતી. પ્રથમ નજરે તે કાળી મરી જેવુ લાગ્યું. પણ જ્યારે મારા પત્ની માનસીએ ચમચીથી તપાસ્યુ તો ચોંકી ઉઠ્યા. કારણ કે તે મકોડો હતો. જેથી તાત્કાલિક પહેલા મોબાઇલમાં ફોટો લઇને હોકો ઇટરી પર પહોંચ્યો. જ્યાં હાજર કેશીયર કમ મેનેજરને  ચના મસાલાનું કન્ટેઇનર બતાવીને મકોડો હોવાની ફરિયાદ કરી. ત્યારે તેણે ભુલ કબુલીને બીજા ચણા પુરી પાર્સલ લઇ જવા માટે કહ્યું.

પણ જે રસોડામાંથી આ પ્રકારની જીવાત નીકળી હોય ત્યાંનું ફુડ લેવાનું યોગ્ય ન લાગતા મે મારા એક ચનાપુરીના પૈસા પરત માંગ્યા. જો કે ઇટરીના સંચાલકોનો આગ્રહ હતો કે ચના પુરી નહી તો પુલાવ પાવભાજી લઇ જાવ. તો અન્ય એક સ્ટાફ મેમ્બરે આઇસક્રીમ ઓફર કરીને વાતને ઠંડી કરવા પ્રયત્ન કર્યો. ત્યારે મે રજુઆત કરી કે મને એક પ્લેટના નાણાં પરત કરો અને રસોડાની ચોખ્ખાઇ અંગે પણ પ્રશ્ન કરીને તપાસવાનું કહ્યું. તો તેમાંથી પણ મને કહેવામાં આવ્યું કે સોરી સર રસોડામાં એન્ટ્રી નહી મળી શકે. જો કે દુરથી જોતા લાગ્યું કે જે પ્રમાણે હોટલનું નામ છે તે પ્રમાણે ચોખ્ખાઇનો અભાવ હતો. બાદ તેમના એરીયા મેનેજર યશંવત રુપાલાનો મોબાઇલ ફોન લઇને તેમની સાથે વાત કરતા તેમણે પણ ભુલ સ્વીકારીને કહ્યું કે તમે અમારા વેલ્યુએબલ ગ્રાહક છો. તમને પડેલી મુશ્કેલી બદલ માફી માંગીએ છીએ.ભૂલ કરનાર રસોયાને અમે છુટો કરી દઇશુ. જેથી ભવિષ્યમાં આવી કોઇ ઘટના ન બને. પણ મારો સવાલ એ હતો આ ભૂલ માત્ર રસોયાની નહોતી પણ અન્ય સ્ટાફની પણ હતી.

આ ગંભીર બાબતને અવગણવી ન જોઇએ. આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સુધી પણ આ વાત પહોંચવી જોઇએ. જેથી મે મારા ટ્વીટર હેન્ડલ મારફતે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા , મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ અને મેયર બીજલ પટેલને ટેગ કરીને સમગ્ર ઘટના વર્ણવી. સાથે સાથે ફુડમાં આવેલા મકોડાના ફોટો પણ અપલોડ કર્યા.

જો કે વાત હવે માત્ર ભૂલ નહોતી પણ અહીયા ફુડ અને સેફ્ટીના સ્ટાન્ડર્ડનો પણ ભંગ થતો હતો. કારણ કે નિયમ મુજબ દરેક ગ્રાહકનો હક છે કે તે જે હોટલ કે રેસ્ટોરન્ટમાં જમવા માટે જાય છે. ત્યાંનું રસોડું તપાસી શકે છે. જેથી આ અંગે ગાંધીનગર આરોગ્ય વિભાગ અને અન્ય અધિકારીઓને ઇ મેઇલ કરીને જાણ કરી.

ત્યારે મને આનંદ છે કે મારી આ રજૂઆતને ગંભીરતાથી લઇને સરકારે મહત્વનો નિર્ણય લીધો કે હવે રસોડામાં ગ્રાહક જોઇ શકે તેવું રાખવું. નો એડમીશન વિધાઉટ પરમીશન જેવા બોર્ડ તાત્કાલિક રીતે હટાવી લેવા. આમ, મોટી મોટી બ્રાંડમાં માત્ર નામ સાંભળીને જ તેના ફુડને સારુ ગણવા કરતા રુબરુ જઇને તપાસ કરવી કરીને કે પોતાના ઓર્ડર થયેલી ચીજ વસ્તુઓને તૈયાર થતી જોઇ શકાશે. તેવો નિર્ણય આવતા હવે ગ્રાહકોને સારુ ફુડ મળશે અને હોટલોના સંચાલકો ચોખ્ખાઇ રાખશે.તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે મારી વિધીસરની ફરિયાદ લઇને ખાતરી આપી છે કે તે હોકો ઇટરી સામે કાર્યવાહી કરશે. અને જરુર પડ્યે સીલ પણ મારશે..

હું ફરિયાદ ન કરુ તે માટે દબાણ પણ લાવવામાં આવ્યું જો કે આજે મારી એક ફરિયાદને પગલે રાજ્યનું આરોગ્ય વિભાગ જાગ્યુ તે વાતને લઇને ખુશી છે. હવે આ રેસ્ટોરા પણ બંધ થઈ છે. 

 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp